સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગુજરાતને વધુ એક ગૌરવભરી સિદ્ધિ હાંસલ થઈ છે. પ્રથમ જ્યોતિર્લિંગ અને પવિત્ર યાત્રાધામ સોમનાથ સ્વચ્છ આઇકોનિક પ્લેસ જાહેર થયું છે. આ માટે આગામી 6-સપ્ટેમ્બરે દિલ્હીમાં એવોર્ડ એનાયત થશે. ત્યારે જોઈએ આ અંગેનો અહેવાલ.
ગુજરાતનાં પવિત્ર યાત્રાધામ સોમનાથ મંદિરને (Somnath Temple) શ્રેષ્ઠ સ્વચ્છ તીર્થધામ તરીકેનો એવોર્ડ ભારત સરકારનાં જળશકિત, પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ ગૌરવ માટે સોમનાથ યાત્રાધામ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને અભિનંદન પાઠવ્યાં છે. આગામી, તા.6-સપ્ટેમ્બર-ર019 શુક્રવારે નવી દિલ્હીનાં વિજ્ઞાન ભવન ખાતે યોજાનારા એક સમારોહમાં ગુજરાતને આ એવોર્ડ અર્પણ કરવામાં આવશે. સોમનાથ મંદિર તેમજ પરિસરને બેસ્ટ સ્વચ્છ આઇકોનીક પ્લેસનો (clean iconic place award) એવોર્ડ મળતાં યાત્રાળુઓમાં પણ ખુશીની લહેર ફેલાઈ છે.
વેસ્ટમાંથી બેસ્ટ તૈયાર કરવાનું સોમનાથ ટ્રસ્ટે પુરવાર કર્યું
આપને જણાવી દઈએ કે, ભારત સરકારનાં જલશકિત, પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયે સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતા-સફાઇની ઉત્કૃષ્ટતા અને નવા પ્રયોગો માટે જે માપદંડો નક્કી કર્યા છે તેમાં બેસ્ટ સ્વચ્છ આઇકોનીક પ્લેસ તરીકે યાત્રાધામ સોમનાથની પસંદગી કરવામાં આવી છે. આ સંદર્ભે સતત જાગૃત રહી આકરા નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેતું હોય છે. સતત 24 કલાક સમગ્ર મંદિર પરિસર સ્વચ્છ રાખવાનું તેમજ સૂકો, ભીનો અને ઘન કચરો જ્યાં ત્યાં ન ફેકતા આ કચરાનો ઉપયોગ કરી વેસ્ટમાંથી બેસ્ટ કેમ તૈયાર કરવું તે સોમનાથ ટ્રસ્ટે પુરવાર કરી બતાવ્યું હતું..જેના ફળ સ્વરૂપે બેસ્ટ સ્વચ્છ આઇકોનીક પ્લેસ નો એવોર્ડ મેળવી શકાયો છે.
રાજ્યનાં યાત્રા-પ્રવાસન ધામોને ચોવીસે કલાક સ્વચ્છ-સુઘડ રાખવાનું અભિયાન તા. 1 એપ્રિલ-ર017થી રાજ્યના દ્વારકા, સોમનાથ, અંબાજી, પાલિતાણા, શામળાજી, ગિરનાર અને પાવાગઢ સહિતના યાત્રાધામોમાં હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે ગીર સોમનાથ ખાતે આવેલા પ્રથમ જ્યોતિર્લિંગનાં સ્વચ્છતા વિકાસ તેમજ યાત્રાળુઓની સુખાકારી માટે સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટીગણ સહિત દરેક કર્મચારીઓ પણ હંમેશા તત્પર રહ્યાં છે. તો જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા પોલીસ વિભાગ પણ એટલું જ હકદાર બને છે.