પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની લોકપ્રિયતામાં સતત વધારો થઈ રહ્યો છે. મહાદેવનાં પ્રિય ગણાતા શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓએ સોમનાથ પર કરોડો રૂપિયાનો વરસાદ કર્યો છે. સોમનાથ મહાદેવ મંદિર અને ટ્રસ્ટને છેલ્લા એક માસમાં 5.89 કરોડ રૂપિયાની આવક થઈ છે.
સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી પી.કે.લેહરી એ જણાવ્યું કે, શ્રાવણ માસમાં 18 લાખ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવ મંદિરની મુલાકાત લીધી છે. શ્રાવણ માસ દરમ્યાન સોમનાથ મહાદેવને 236 ધ્વજારોહણ, 131 તત્કાલ મહાપુજા, 63 સવાલક્ષ બિલ્વ પુજા કરવામાં આવી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કરોડો લોકોએ શ્રાવણ દરમ્યાન સોશિયલ મીડિયાનાં માધ્યમથી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ વખતે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી..જો કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષ વરસાદનાં કારણે શ્રદ્ધાળુઓની સંખ્યામાં નજીવો ઘટાડો થયો છે. સાથો સાથ સોમનાથની આવકમાં પણ 10 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે.
થોડા સમય પહેલા 110 કિલો સોનાનું દાન આવ્યું હતું સોમનાથ મહાદેવને
અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઇના લખી પરિવારે ભૂતકાળમાં 110 કિલો સોનું સોમનાથ મહાદેવને દાન આપ્યું. જેમાંથી મંદિરના ગર્ભગૃહ, ત્રિશૂલ, ડમરું, નાગ દંશ, પિલરો દરવાજા સહિત અનેક ભાગો સુવર્ણ જડિત કરવામાં આવ્યા છે.
ત્યારે વધારે એક મંદિરનો ભાગ હવે સુવર્ણ જડિત થવા જઈ રહ્યો છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા 2200 થી 2500 યાત્રિકો માટે રહેવા અને જમવાની સુવિધા આપી રહ્યું છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે.