સોમનાથને શિવ ભક્તો દ્વારા જોરદાર પ્રતિસાદ મળ્યો છે. સોમનાથ મંદિર શિખર ઉપર 66 સુવર્ણ કળશો લગાવાયા છે. સોમનાથ મંદિર ઉપર ટ્રસ્ટ દ્વારા સુવર્ણ કળશ યોજના શરૂ કરતા ભાવિકોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે.
આજે સોમનાથ મંદિરને 10 કળશનું દાન
સોમનાથ મંદિર શીખર ઉપર કુલ 66 સુવર્ણ કળશો લગાવાયા
સોમનાથ મહાદેવ મંદિર પરના 1450થી વધુ કળશને સુવર્ણ જડિત કરાશે
દેશના પ્રથમ જ્યોતિલિંગ એવા દેવાધિદેવ સોમનાથ મહાદેવ મંદિરને સુવર્ણ જડિત કરવાનું કામ ચાલી રહ્યું છે. પ્રથમ 130 કિલો સોનામાંથી સોમનાથ મહાદેવનું ગર્ભગૃહ, ત્રિશુલ, દરવાજા અને પીલોર સહિતને સુવર્ણ જડિત કરાયા બાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા 1450થી વધુ મંદિર પરના કળશને સુવર્ણ જડિત કરવાનું આયોજન કરાયું હતું. શ્રદ્ધાળુઓને દાન આપવા યોજના કરાઇ હતી. અત્યાર સુધીમાં 500 દાતાઓ નોંધાઇ ચૂક્યા છે. શ્રદ્ધાળુઓ દ્વારા 400 જેટલા કળશને સુવર્ણ જડિત કરવા દાન અપાયું. લોકડાઉનમાં પણ શ્રદ્ધાળુઓએ દિલ ખોલી દાન આપ્યું છે. હાલમાં જ શ્રદ્ધાળુઓ દ્વારા 10 કળશ દાન કરતા તે સુવર્ણ કળશ મંદિર પર લગાવવાની કામગીરી હાથ ધરાઇ.
આજે સોમનાથ મંદિરને 10 કળશનું દાન
આજે શ્રદ્ધાળુઓ દ્વારા 10 કળશ દાન કર્યા છે. હાલની પરિસ્થિતિએ કળશની પૂજા માટે કળશ નોંધાવનાર યજમાનશ્રી રૂબરૂ આવી શકે તેમ ન હોવાથી ટ્રસ્ટ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઇન પૂજા કરાવવાની વ્યવસ્થા પણ ગોઠવી છે. જેમાં આજ રોજ યજમાનો દ્વારા 10 કળશની ઓનલાઇન વીડીયો કોલથી પુજા કરવામાં આવી છે.
એક કળશની કિંમત 1.11 લાખથી લઇને 1.51 લાખ સુધીની
ત્યારે આજ દિવસ સુધીમાં કુલ 66 યજમાનોએ કળશ પૂજાનો લાભ લીધેલ છે. આ કળશ મંદિર પર પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા છે. સોમનાથ મંદિર પર લગાવાય રહેલા કળશ ત્રણ પ્રકારના છે. જેને સુવર્ણ જડિત કરવાની અલગ અલગ કિંમતની સાઈઝ પ્રમાણે છે. નાનો કળશ 1 લાખ 11 હજાર, મધ્યમ કળશ 1 લાખ 21 હજાર અને સોંથી મોટા કળશની કિંમત 1 લાખ 51 હજાર છે.
સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અને સેક્રેટરી પી. કે. લહેરીએ જણાવ્યું કે, 2021ના અંત સુધીમાં મંદિરના ઘુમ્મટ પરના તમામ કળશને સોનાથી મઢવાની કામગીરી પૂર્ણ થઇ જશે. વધુમાં કહ્યું કે, કળશ મઢવાની કામગીરીમાં અત્યાર સુધીમાં 129 કિલોગ્રામથી વધારે સોનાનો વપરાશ થઇ ચૂક્યો છે.
દિલીપ લખી પરિવારે કર્યું હતું 110 કિલો સોનાનું દાન
આપને જણાવી દઈએ કે મુંબઇના દિલીપ લખી પરિવારે ભૂતકાળમાં 110 કિલો સોનુ સોમનાથ મહાદેવને દાન આપ્યું જેમાંથી મંદિરના ગર્ભ ગૃહ, ત્રિશુલ, ડમરુ, નાગ દંશ, પિલરો દરવાજા સહિત અનેક ભાગો સુવર્ણ જડિત કરવામાં આવ્યા છે.
કહેવાય છે કે સદિયો પહેલા સોમનાથ મંદિર સોનાનું હતું. જેથી તેના પર અનેકો વખત આક્રમણ થયા અને આખરે તે પથ્થરનું બન્યું પરંતુ હવે સોમનાથનો ફરી સુવર્ણ યુગ શરૂ થયો છે અને ધીમે ધીમે સોમનાથ મંદિર ફરી સોનાનું બની રહ્યું છે.