ગીર-સોમનાથ: આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ત્યારે શ્રાવણ માસમાં ખાસ કરીને ભગવાન શિવનો અપાર મહિમા હોય છે. તો શ્રાવણ માસ નિમિત્તે સોમનાથ મંદિરના સમયમાં પણ કેટલોક ફેરફાર કરવામાં આવ્યો છે.
શ્રાવણ માસના આજે પ્રથમ દિવસે મંદિરના દ્વારા સવારે ચાર વાગ્યા ખૂલ્યા હતા. તો આવતીકાલે પણ મંદિરના દ્વાર સવારે ચાર વાગે ખૂલશે. વળી આજે શ્રાવણ માસનો પહેલો દિવસ હોવાથી મંદિરને ધજા પણ ચઢાવવામાં આવશે. એટલું જ નહીં સમગ્ર શ્રાવણ માસના દરેક સોમવારે મંદિરમાં પાલખીયાત્રા પણ નીકળશે.
ઉલ્લેખનીય છે કે શ્રાવણ માસ એટલે શિવપુજા માટેનો શ્રેષ્ઠતમ માસ દેવાધિદેવ મહાદેવની ઉપાસનાનો પવિત્ર માસ વ્રત જપ એકટાણા અને ઉપવાસ કરી મનને પવિત્ર કરવાનો માસ છે.
સમગ્ર વર્ષ દરમિયાન મનમાં બાજેલા મોહ-મમતા-વાસનાના વિકારોના પડાવોને ભગવાનની ઉપાસના કરીને દુર કરી ભગવાનની આરાધનામાં લીન થવાનો માસ એટલે શ્રાવણ માસ છે. રવિવારથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે આજે વહેલી સવારથી જ રાજ્યભરના શિવ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું.
દેશના 12 જ્યોતિર્લીંગ પૈકીના પ્રથમ સ્થાન પામેલ સોમનાથ મંદિરમાં આજે વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તો વળી કોઇ અઘટિત બનાવ ના બને તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી.