સોમનાથથી કોડીનાર સુધી 40 કિલોમીટરનું કામ એગ્રો લિમિટેડ કંપનીને સોંપવામાં આવ્યું છે. કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી નેશનલ હાઈવેનું મેન્ટેનન્સ કંપનીએ કરવાનું હતું પરંતુ નેશનલ હાઈવે પર મેન્ટેનન્સ ન કરાતા આખા હાઈવે પર ખાડા પડી ગયા છે. જેને લઈને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. આથી તેમણે રસ્તો રોકીને ચક્કાજામ કર્યો હતો. મહત્વનું છે કે, 2 વર્ષથી શરૂ થયેલ રોડનું કામ હજુ સુધી પૂર્ણ નથી થયું.
સોમનાથથી ભાવનગર હાઈવે બિસ્માર
ઘૂળની ડમરીઓથી સ્થાનિકો ત્રાહિમામ
સ્થાનિકોએ ચક્કાજામ કરી કર્યો વિરોધ
સોમનાથ ભાવનગર ફોર ટ્રેક હાઇવેને લઈને ફરી વિવાદ સર્જાયો છે. સોમનાથથી ભાવનગર હાઈવે બિસ્માર બન્યો છે. જેને લઈને કોડીનાર સોમનાથ વચ્ચે અમરાપુર ફાટક પાસે 7 ગામના લોકો ભેગા થયા હતા અને ચક્કાજામ કર્યો હતો. એગ્રો કંપની અને સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. ચક્કાજામને પગલે વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો.
આથી પોલીસે ઘટના સ્થળે પહોંચીને 10 જેટલા લોકોની અટકાયત કરી હતી. જો કે સ્થાનિકોએ વહેલી તકે રોડ રિપેર નહીં થાય તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી હતી. નેશનલ હાઈવે પર મોટા ખાડા પડતા વાહન ચાલકોની મુશ્કેલી વધી છે. તેમજ નેશનલ હાઈવેનું કામ હજી પુરૂ થયું નથી અને ઘૂળની ડમરીઓથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે.
2017માં શરૂ થયેલું કામ 2019 સુધીમાં પૂર્ણ કરવાનું હતું પરંતુ...
જેતપુરથી સોમનાથ સુધી રોડ ત્યાર થઈ ચૂક્યો છે અને હવે સોમનાથથી ભાવનગર સુધી કામ ચાલી રહ્યું છે. સરકારે 50 કિલોમીટરના અંતરે અલગ અલગ ખાનગી કંપનીઓને કામ સોપ્યું છે. જેમાં સોમનાથથી કોડીનાર સુધી 40 કિલોમીટરનું કામ એગ્રો લિમિટેડ કંપનીને સોંપવામાં આવ્યું છે. લગભગ ફેબ્રુઆરી 2017માં રોડનું કામ સોંપાયું છે જે કામ 2019 પહેલા પૂર્ણ કરવાની ડેડલાઈન હતી. એટલે કે 30 મહિનામાં કામ પૂર્ણ કરવાનું હતું.
સાથે જ એ શરત હતી કે જયાં સુધી ફોરટેકનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી નેશનલ હાઇવેનું મેન્ટનેસ જે તે કંપનીએ કરવું. પરંતુ સમય મર્યાદામાં સોમનાથ કોડીનાર ફોરટેકનું કામ એગ્રો લિમિટેડ દ્વારા પૂર્ણ ન કરાયું. એટલું જ નહીં નેશનલ હાઇવે પણ મેઇન્ટેનસ ન કરાતા આંખે આખો હાઇવે રફ રોડ બની ગયો. પરિણામે ઉબડ ખાબડ રસ્તો અને ધૂળની ડમરીઓથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યાં છે.