ગીર સોમનાથનો નેશનલ હાઇવે ખખડધજ હાલતમાં હોવાથી મુસાફરોના મણકા ખસી જાય તેવી સ્થિતિ જન્મી છે આ અંગે ઘટતું કરવા લોકોમાં માંગ ઉઠી છે.
સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે બિસ્માર હાલતમાં
ઉનાથી વેરાવળ જવા માટે વાહન ચાલકોને હાલાકી
ભારે વરસાદના કારણે નેશનલ હાઇવે બિસ્માર હાલતમાં
સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે સ્થિતિ રોડમાં ખાડા નહિ પણ ખાડામાં રોડ હોય તેવી છે. સોમનાથથી ભાવનગર જતાં નેશનલ હાઇવેમાં હાલ રસ્તામાં ખાડા રાજ જોવા મળી રહ્યું છે. જોકે નેશનલ હાઇવે પર ખાડાઓએ કબ્જો જમાંવ્યો છે તે કોઈ નવાઈની વાત નથી. કારણ કે આ સમસ્યા વર્ષોથી છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગોકુળ ગતિએ ચાલતા નેશનલ હાઇવેના કામના કારણે આ હાલત થઈ છે. વર્ષ 2017 માં રોડનું કામ ચાલુ થયું અને ત્યારબાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી તેવામાં ફરી એક વખત ચુંટણી આવી રહી છે. બે વાર સરકાર બદલાય પરંતુ નેશનલ હાઈવેના બદલાયો હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સરકાર આ સમસ્યામાંથી ઉગારે તેવી લોકમાંગ
આ મામલે મુસાફરો અને સ્થાનિકોએ રોષભેર જણાવ્યુ હતું કે હાલ આ રોડ પર બે-બે ફૂટ ઊંડા ખાડા મોતનું મ્હોં ફાડીને ઊભા છે. વરસાદમાં તો આ ખાડા જાણે તળાવ બનતા હોય તેવું લાગી રહ્યું છે. ઊંડા ખાડા અને, ધૂળની ઊડતી ડામરીઓને લીધે રોજે રોજ વાહનોની કમાન્ડ તૂટવી અને ટાયર ફાટવા એ આમ બાબત બની ગઈ છે. જેને લઇને અવારનવાર અક્સમાત અને ટ્રાફીક જામ સર્જાય છે.મુસાફરોના જણાવ્યા અનુસાર 'અમે વેરાવળથી કોડીનાર 1 કલાકમાં પહોંચી જતા હવે 2 કલાક થાય છે'. અમુક લોકો તો ખાડા જોયને જવાનું પણ માંડી વાળે છે. આમ મુસાફરોને પરેશાનીનો કોઇ પર નથી છતાં પણ સબંધિત વિભાગના અધિકારીઓ સબ સલામતીના દાવા કરી રહ્યા છે. ત્યારે સરકાર વહેલી તકે આ વિસ્તારના લોકોની પરેશાની પારખી તેઓને આ સમસ્યામાંથી ઉગારે તેવું લોકો જણાવી રહ્યા છે.
ગીર સોમનાથમાં ધાર્મિક અને પ્રવાસન સ્થળ હોવા છતા રોડની સુવિધાના ઠેકાણા નથી
ગતિશીલ ગુજરાતનું ગીર સોમનાથ, જ્યાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ, પ્રવાસન સ્થળ દીવ, સાસણ, તુલશીશ્યામ સહિત આસપાસમાં અનેક ફરવા લાયક સ્થળો આવેલા છે. દેશ વિદેશમાંથી લોકો ગીર સોમનાથના આ તમામ સ્થળોની મુલાકાત લેતા હોય છે. પરંતુ અફસોસ આ પ્રવાસીઓને અને સ્થાનિકોને તંત્ર રોડની સુવિધા આપી શક્યું નથી. છેલ્લા 5 વર્ષથી વધુ સમય વીતવા છતાં સોમનાથ ભાવનગર નવીનીકરણ પૂર્ણ થયું નથી. તેવામાં અનેકવાર સ્થાનિક નેતાઓથી લઈ અનેક લોકોએ લેખિત તેમજ મૌખિક રજુઆત કરવા છતાં તંત્ર માત્ર આશ્વાસન શીવાઈ કઈ મળ્યું નથી.
80 કિમીનું અંતર કાપવામાં લાગે છે સાડા ત્રણ કલાકનો સમય
ઉનાથી વેરાવળ જવા માટે માત્ર 80 કિલો મીટર અંતર થાય છે, જે સામાન્ય ફોર વ્હીલમાં બે કલાક થાય છે. પરંતુ અહી 3 : 30 કલાકનો સમય લાગે છે. સોમનાથથી ભાવનગર જતો નેશનલ હાઇવે એટલે હદે બિસમાર થયો છે કે જ્યાં જુઓ ત્યાં ખાડા ખાબોચિયા જ દેખાય છે, તેમાં પણ સોમનાથથી કોડીનારના ડોળાસા સુધીનો રોડની હાલત આટલી બધી ખરાબ બની છે કે ટ્રક, ફોરવહીલ કે પછી એમ્બ્યુલન્સ, એસટી હોઈ સોમનાથથી કોડીનાર જવા માટે માત્ર એકાદ કલાકનો રસ્તો હાલ અઢી કલાક કલાકથી વધુ સમય લે છે. આથી ગામડાના માર્ગેને પણ વખણાવતા નેશનલ હાઇવેના કામ અંગે ઘટતું કરવા લોકોમાં માંગ ઉઠી છે.
સળગતા સવાલો
આવા ખખડધજ હાઇવે પર કેવી રીતે વાહન ચલાવવા?
શું આવો ખખડધજ નેશનલ હાઇવે ક્યાંય જોયો છે?
નેશનલ હાઇવેની જ આવી હાલત હોય તો બીજા રસ્તાની તો વાત જ શું કરવી?
આ ખખડધજ હાઇવે પર અકસ્માત થશે તો તેના માટે કોણ જવાબદાર?
વારંવાર હાઇવે તૂટવા છતાં કેમ કોઇ પગલાં નથી લેવાતા?
આ બિસ્માર હાઇવે માટે કોણ જવાબદાર છે?
આ બિસ્માર હાઇવે માટે જવાબદાર લોકો સામે ક્યારે પગલાં લેવાશે?
શું આવા હાઇવે માટે વાહન ચાલક ટોલ ટેક્સ ભરે છે?
શું હાઇવેનું સમારકામ નહીં થાય ત્યાં સુધી ટોલ ટેક્સ લેવાનું બંધ થશે?
જનતા પાસેથી માત્ર પૈસા જ ઉઘરાવશો, સુવિધા ક્યારે આપશો?