લોકસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે. હવે તમામ પક્ષના નેતાઓ બીજા તબક્કાના પ્રચારની તૈયારીમાં લાગી ગયા છે.ચૂંટણી પ્રચારના વિવિધ રંગો જોવા મળી રહ્યા છે. ત્યારે વોટની માગણી માટે પ્રચારકરવા નીકળેલા નેતાઓના અલગ અલગ મિજાજનો અનુભવ પણ જનતાને થઈ રહ્યો છે. ત્યારે કોણે સેવક દરજ્જો ભૂલી નાયક તરીકે કરીકે મતદારો પર છાંટયો રુઆબ અને મતદારોને વટથી વોટ આપવાનું કહેતા કહેતાં પોતાનો પણ દેખાડયો વટ જોઈએ આ અહેવાલમાં.
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે. હવે તમામ પક્ષો અને નેતાઓએ બીજા તબક્કાની પ્રચાર તૈયારી આરંભી દીધી છે. નેતાઓ જાહેરસભાઓથી માંડીને શેરી મુલાકાત માટે લોક-સંપર્ક અભિયાન આરંભી દીધું છે. જો કે આ પ્રચાર અભિયાન દરમિયાન ક્યાંક નેતાઓને જનતાના સવાલોથી કફોડી સ્થિતિમાં મુકાવવું પડી રહ્યું છે તો ક્યાંક જનતાને નેતાઓના તુમાખી મિજાજનો સામનો કરવો પડી રહ્યો છે.
ચૂંટણીપ્રચારમાં નીકળેલા નેતાઓ વાસ્તવમાં તો મત માગવા નીકળ્યા હોય છે, પરંતુ તેઓ જનતા વચ્ચે જ્યારે જાય છે ત્યારે રાજાપાઠમાં આવી જાય છે. તેઓ મત માગવા નીકળ્યા હોવાની વાત ભૂલી જાય છે અને જાણે રુઆબની લહાણી કરવા નીકળ્યા હોય તેવા મિજાજનો પરિચય કરાવે છે. ઉત્તર પ્રદેશના ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજ લોકસભાની ચૂંટણી માટે જનસંપર્કમાં વ્યસ્ત છે. સાક્ષી મહારાજ એક જનસભામા સંબોધન દરમિયાન સંયમ ખોઈ બેઠા, તેમણે કોપાયમાન ઋષિનો મિજાજ દાખવી કહ્યું, હું સન્યાસી છું તમારા દરવાજો ભીખ માગવા આવ્યો છું. જો તમે એક સંન્યાસીને ઈનકાર કર્યો તો તમારા પરિવારનું પુણ્ય હું લઈ લઈશ અને મારા પાપ તમને આપતો જઈશ. જે લોકો અમને વોટ નહીં આપે તેમને હું શ્રાપ આપીશ.
વાત માત્ર રાષ્ટ્રીય નેતાઓની નથી. વિકાસના નામે છાતી ઠોકીને ગણાવવા લાયક કોઈ મુદ્દો ન હોવાના કારણે રાજ્યના નેતાઓ પણ ગામડાઓમાં મતદારો વચ્ચે અકળામણ અનુભવી રહ્યા છે. રાજ્યના પાણીપુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા જસદણના કનેસરા ગામે તેઓ જનસંપર્ક માટે લોકો વચ્ચે ગયા તો ગ્રામજનોએ અનિયમિત પાણી મળતું હોવાની ફરિયાદ કરી. મંત્રી અને તેમની સાથે રહેલા જસદણના પૂર્વ ધારાસભ્ય ભરત બોઘરા પાસે આ સમસ્યાનું સમાધાન તો ન નીકળ્યું ઉલટાનું તેમણે આ સમસ્યાને ગામની આંતરિક ખટપટનું પરિણામ ગણાવ્યું. એટલું જ નહીં લોકોને મંત્રી કુંવરજી બાવળિયાએ એમ કહી દીધું કે, જો મને વધારે મત આપ્યા હોત તો ગામમાં વિકાસ થયો હોત. તમે માત્ર 45 ટકા જ મત આપ્યા છે.
મત માગવાની પણ એક કળા હોય છે. આ કવાયત એવી છે કે, જેમાં મતદારોની આશાઓ પર ફરી વળેલા પાણી પર વહાણ હંકારીને સત્તાના કિનારે પહોંચવાનું હોય છે, પરંતુ જ્યારે નેતાઓ પાસે જનતા સામે દર્શાવવા લાયક વિકાસની વાતો હોતી નથી ત્યારે ત્યારે સાક્ષી મહારાજની વાણી વણસે છે અને બાવળિયાના પાણી વરસે છે.