ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેરમાં ફરીથી વર્ષ 2020ની જેમ મંદિરો બંધ થઈ રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં ફરવા જવાનો પ્લાન કરી રહ્યા હોય તો થોડા સમય માટે મુલતવી રાખવો જોઇએ.
કોરોના મહામારી વચ્ચે આવ્યા મોટા સમાચાર
સૌરાષ્ટ્રમાં ફરવા જવાનું વિચારતા હોય તો હમણા માંડી વાળજો
કાગવડનું ખોડલધામ અને તુલસીશ્યામ મંદિર કરાયા બંધ
ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણ વધતા પટેલ સમાજનું આસ્થા કેન્દ્ર ખોડલધામ અને ગીરનારની તળેટીમાં આવેલ તુલસી શ્યામ મંદિર આગામી 30 એપ્રિલ સુધી ભક્તોના દર્શન માટે બંધ કરવામાં આવ્યું છે.
કાગવડનું ખોડલધામ મંદિર રહેશે બંધ
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા 30 એપ્રિલ સુધી મંદિર પરિસર સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 30 એપ્રિલ સુધી શ્રદ્ધાળુઓ મા ખોડલના પ્રત્યક્ષ દર્શન નહીં કરી શકે. શ્રદ્ધાળુઓ માટે મંદિરના દ્વાર સંપૂર્ણ બંધ રહેશે.
ઓનલાઈન પૂજા વિધિ માટે ટ્રસ્ટે કરી વ્યવસ્થા
જો કે, સોશિયલ મીડિયાના માધ્યમથી મા ખોડલના દર્શન કરી શકાશે. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ઓનલાઈન પૂજા વિધિ કરી ધ્વજારોહણ કરી શકાય તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ સાથે જ માસ્ક અને સામાજિક અંતરનું પાલન કરવા ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા અપીલ કરવામાં આવી છે.
તુલસીશ્યામ મંદિર બંધ
આવતીકાલથી સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ તુલસીશ્યામ મંદિર બંધ રહેશે. આગામી 30 એપ્રિલ સુધી મંદિરને બંધ રાખવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના વધતા સંક્રમણને લઇ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મહત્વનું છે કે અગાઉ પણ કોરોનાની પ્રથમ લહેરમાં મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે ફરી કોરોનાના કેસ વધતા 30 એપ્રિલ સુધી મંદિર બંધ રાખવા નિર્ણય લેવાયો છે. આપને જણાવી દઇએ કે ગીર જંગલ વચ્ચે આવેલા આ મંદિરની ખાસ વિશેષતા છે. સૌરાષ્ટ્રવાસીઓ માટે આ મંદિર એક આસ્થાનું સ્થળ ગણાય છે.
કોરોનાને લઇ પાવાગઢ મંદિર ટ્રસ્ટની જાહેરાત
ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. પહેલી લહેર કરતાં પણ વધારે કેસ અત્યારે સામે આવી રહ્યા છે ત્યારે ગુજરાતના 20 જિલ્લામાં નાઈટ કર્ફ્યૂ સહિતના નિર્ણય લેવામાં આવ્યા છે. એવામાં હવે ચૈત્રી નવરાત્રી આવી રહી છે ત્યારે ગુજરાતના પ્રસિદ્ધ પાવાગઢ મંદિરમાં નવરાત્રી પહેલા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
પાવાગઢ મંદિર બંધ કરવાનો નિર્ણય
ચૈત્રી નવરાત્રીમાં માતાજીના મંદિરોમાં ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. પાવાગઢમાં પણ લાખો શ્રદ્ધાળુઓ નવરાત્રીમાં માતાજી સામે શીશ નમાવવા આવે છે ત્યારે કોરોના વાયરસના વધતાં કેસના કારણે મંદિરને દર્શનાર્થીઓ માટે મંદિર 12 એપ્રિલથી 28 એપ્રિલ સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાવાગઢનું મહાકાળી માતાજી મંદિર નવરાત્રીમાં બંધ કરવા માટે ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વાયરસના કારણે ભક્તો ઓનલાઈન દર્શનનો લાભ લઈ શકશે.
અંબાજીમાં અખંડ ધૂન બંધ રખાશે
13 એપ્રિલથી શરૂ થતી ચૈત્રી નવરાત્રીમાં અંબાજી મંદિરમાં પણ અખંડ ધૂન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી મંદિરના ટ્રસ્ટ દ્વારા અખંડ ધૂન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે નવરાત્રીમાં મંદિર સરકારની ગાઈડલાઇન અનુસાર ખુલ્લુ રહેશે અને શ્રદ્ધાળુઓએ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે.
ગુજરાતમાં કોરોના વાયરસ કેસ અપડેટ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 4541 કેસ નોંધાયા છે અને 2280 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,09,626 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
ભારતમાં અત્યાર સુધીના સૌથી વધારે કેસ
ભારતમાં એક જ દિવસમાં કોરોના વાયરસના 1,31,968 કેસ આવતા હડકંપ મચી ગયો છે. પહેલીવાર આટલા બધા કેસ સામે આવ્યા છે જ્યારે 24 જ કલાકમાં 780 લોકોના મોત કોરોના વાયરસના કારણે થયા છે. ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 9,79,608 થઈ ગઈ છે.