કોંગ્રેસના કેટલાક નેતાઓએ થરૂરને નામાંકન પાછું ખેંચવા માટે કહ્યું હતું. પરંતુ રાહુલ ગાંધીએ તેમ કરવાનો ઇનકાર કર્યો હોવાનો ઘટસ્ફોટ
કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે ચૂંટણી પહેલા શશી થરૂરનો ઘટસ્ફોટ
કેટલાક લોકો મને ચૂંટણી લડવાથી રોકવા માંગતા હતા: શશી થરૂર
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેઓ ઈચ્છે છે કે હું ચૂંટણી લડું : શશી થરૂર
કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે. આ પહેલા કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું હતું કે, કોંગ્રેસના કેટલાક નેતાઓ તેમને ચૂંટણી લડતા રોકવા માંગે છે. આ માટે તેમણે રાહુલ ગાંધી સાથે પણ વાત કરી હતી. જોકે રાહુલે તેમની વાત માની નહીં. શશિ થરૂરે કહ્યું કે, તાજેતરમાં જ તેઓ રાહુલ ગાંધીને મળ્યા હતા. આ દરમ્યાન રાહુલ ગાંધીએ પોતે તેમને કહ્યું હતું કે, કોંગ્રેસના કેટલાક નેતાઓએ તેમને થરૂરને નામાંકન પાછું ખેંચવા માટે કહ્યું હતું. પરંતુ રાહુલ ગાંધીએ તેમ કરવાનો ઇનકાર કર્યો હતો. થરૂરના કહેવા પ્રમાણે રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ આવું નહીં કરે.
કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે નેતા મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ શશિ થરૂર આમને-સામને છે. શશિ થરૂરે કહ્યું કે, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેઓ ઈચ્છે છે કે હું ચૂંટણી લડું. કારણ કે તેઓ માને છે કે, આનાથી પાર્ટીને જ ફાયદો થશે. થરૂરે એમ પણ કહ્યું હતું કે જે પક્ષના કાર્યકરો પૂરતા મજબૂત છે તેઓ તેમની પસંદગીને મત આપશે. તાજેતરમાં જ શશિ થરૂરે કહ્યું હતું કે, તેઓ આ પોસ્ટ પર ચર્ચા માટે તૈયાર છે. કારણ કે આનાથી પાર્ટીમાં લોકોનો રસ વધશે.
થરૂરે કહ્યું હતું કે, નેહરુ-ગાંધી પરિવારનું વિશેષ સ્થાન છે અને હંમેશા રહેશે. તેમના મહાન પૂર્વજો પાસેથી વારસામાં મળેલા મહાન વારસા ઉપરાંત તેમણે સતત વિવિધ જૂથો, વિચારધારાઓ, ભૌગોલિક પ્રદેશો અને સમુદાયોને એકસાથે લાવ્યા છે જે સામૂહિક રીતે કોંગ્રેસ પાર્ટી બનાવે છે.
આ સાથે થરૂરે મલ્લિકાર્જુન ખડગે વિશે કહ્યું હતું કે, અમે દુશ્મનો કે પ્રતિસ્પર્ધી નથી. અમે સાથી છીએ અને અમને પાર્ટીને આગળ વધારવામાં રસ છે. મલ્લિકાર્જુન ખડગે અમારી પાર્ટીના 'ભીષ્મ પિતામહ' છે. પક્ષના કાર્યકરોને કેવી રીતે આગળ વધવું તે નક્કી કરવા દો. તેમણે કહ્યું કે હું, ખડગે કે અન્ય કોઈ ઉમેદવાર વિશે કંઈ પણ નકારાત્મક કહીશ નહીં.