સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, કેટલાક લોકો કહી રહ્યા છે કરોડો રૂપિયા આદિવાસી માટે વપરાયા છે પણ લોકો સુધી પહોંચ્યા નથી હજુ પણ કેટલાક ધારાસભ્યો અને સંસદસભ્યો બોલતા નથી
'હમ બોલેગા તો બોલોગે કી બોલતા હૈ'-વસાવા
આદિવાસી નેતાઓ પર તમતમતાં આરોપ
ખાનગીકરણ થશે તો આદિવાસીઓને જ નુક્સાન-વસાવા
ગુજરાતના ફાયરબ્રાંડ આદિવાસી નેતા સાંસદ મનસુખ વસાવાએ રાજનીતિક ગલીઓમાં ફરી એકવાર વિવાદનો મધપૂડો છંછેડતું નિવેદન રાજપીપળામાં કર્યું છે.સાંસદ વસાવા રાજપીપળાના આદિવાસી એકતા સંમેલનને સંબોધી રહ્યા હતા.તેમણે કહ્યું કે, કેટલાક આદિવાસી ધારાસભ્યો અને સાંસદો માત્ર લેબલ લગાવવા જ વિધાનસભા કે લોકસભામાં જાય છે.હકીકતમાં કોઈ આદિવાસીઓના હામી નથી.
ટીકીટ મળે કે ના મળે,સમાજ માટે કામ કરો
ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા કઈ પહેલી વાર જાહેરમાં બોલ્યા હોય તેવું પણ નથી, કઈ - કેટલાય મુદ્દે,વસાવાએ પોતાના સ્પષ્ઠવક્તા તરીકેનો પરિચય પાર્ટીના ધારાસભ્યો ,સાંસદો અને આદિવાસી સમાજને આપ્યો છે. સાંસદે, આદિવાસી સમાજને માત્ર સંગઠિત થવા અને પક્ષા-પક્ષીથી દૂર રહી કોઇના પણ દબાણ નીચે ન આવી જવા સમાજને હાકલ કરી હતી.તેમણે ઉમેર્યું હતું કે, માત્ર સમાજ ના લોકોનું ઉથ્થાન થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. સમાજમાંથી ચૂંટાયેલા પ્રતિનિધીઓને મીઠી ટકોર પણ કરી કે તમારી પાર્ટી ફરી ટિકિટ આપે કે ન આપે તમારે સમાજ માટે બોલતા રહેવું જોઈએ.
સત્ય વાત કહેવામાં મને કોઈ ડર નથી-વસાવા
સાંસદે માર્મિક ટકોર સાથે પોતાના જૂના સંસ્મરણો તાજા કર્યા હતા. તેમણે કહ્યું કે, લોકસભા કે વિધાનસભામાં કોઈ આદિવાસીનું સાંભળતું નથી મને યાદ છે કે, અડવાણીજીએ અટલજી ને કહ્યું હતું કે કોઈ પ્રશ્ન હોઈ તો આદિવાસી સમાજના પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિવારણ લાવવું જોઈએ. મનસુખ વસાવા,સામાન્ય સીટ પર થી ચૂંટાય છે પણ માત્ર આદિવાસીની તરફેણ કરે છે એવું કેટલાક લોકો કહી રહ્યા છે કરોડો રૂપિયા આદિવાસી માટે વપરાયા છે.પણ લોકો સુધી પહોંચ્યા નથી હજુ પણ કેટલાક ધારાસભ્યો અને સાંસદસભ્યો બોલતા નથી તેઓ રીઝર્વ સીટ પરથી ચૂંટાય તો છે પણ પરિણામ લાવવું હશે તો આકરું બોલવું પડે અને બોલું છું તો ખોટું લાગે છે. કેટલાક તો ખોટા આદિવાસી બની ને સરકારી નોકરીઓ ખોટા પ્રમાણપત્રો સાથે લઈ જાય છે. આદિવાસી ની દીકરીઓ સાથે લાવી ને લગ્ન કરે છે. હું બોલું છું પણ પાર્ટીમાંથી કોઈ દિવસ દબાણ આવ્યું નથી મનસુખ વસાવા એ કહ્યું કે સત્ય વાત કહેવામાં મને કોઈ ડર નથી.
ચૂંટાયા પછી પ્રોપર્ટી જ બનાવે છે -સાંસદનો આરોપ
સાંસદ વસાવાએ તમતમતાં આરોપ લગાવતા કહ્યું કે, ખોટા પ્રમાણપત્રો માટે કોંગ્રેસ કે ભાજપ બધી પાર્ટીના નેતાઓ લોબિંગ કરે જ છે. તમે રીઝર્વ બેઠક પરથી ચૂંટાયા છો તો સમાજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવું જોઈએ.એવા લોકો રીઝર્વ સીટ પરથી ચૂંટાયા હોવા છતાં પ્રોપર્ટી બનાવવામાંથી ઊંચા જ નથી આવતા. ખાનગીકરણ તરફ બધું જશે તો આદિવાસી ઓ ને જ નુકસાન થશે.
મારે હૈયે આદિવાસીનું હિત -સાંસદ
સમાજમાં આ એક જ વસાવા છે ,મનસુખ વસાવા,- જે માથે કફન બાંધી ને ફરે છે, સત્ય જ બોલે છે. ભાજપ હોય, કોંગ્રેસ કે પછી BTP નો કોઈ આગેવાન હોઈ તો સમાજના કાર્યક્રમમાં આવવું જ જોઈએ. તેમણે એવો પણ સીધો આરોપ જડી દીધો કે, માલ -મલિદો ખાવા હોઈ ત્યારે આગળ અને સમાજ નું કામ કરવું હોય તો પાછળ રહેનારાની આખી ફોજ છે.સાંસદ મનસુખ વસાવાના,સમાજિક કાર્યક્રમમાં આપેલા આવા નિવેદનથી સમાજમાં તો ઘેરા પ્રત્યાઘાત પડશે જ.સાથે ભાજપમાંથી કેવા 'રિ-એક્શન' આવે છે તેના પર સૌ કોઈની મિટ મંડાયેલી છે