ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપની મેચ ચાલી રહી હતી અને ભારત જીતવાના આરે હતું ત્યારે પાકિસ્તાને સરહદ પર નાપાક હરકત કરીને યુદ્ધવિરામનો વધુ એક વખત ભંગ કરીને જમ્મુ-કાશ્મીર સરહદના પુંચ સેક્ટરમાં મોર્ટાર ઝીંકતાં ત્રણ નાગરિકો ઘાયલ થયા હતા.
દરમિયાન આજે સવારે જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઇ હતી. અનંતનાગમાં આતંકીઓ છુપાયા હોવાના ઇનપુટ મળતાં સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી બેથી ત્રણ આતંકીઓને ઘેરી લીધા હતા. આ લખાઇ રહ્યું છે ત્યારે અથડામણ જારી છે.
જમ્મુ-કાશ્મીરના પુંચ સેક્ટરમાં અંકુશરેખા નજીક પાકિસ્તાને ફાયરિંગ શરૂ કરીને પુંચનાં કેટલાંક ગામ અને અગ્રહરોળની ચોકીઓને નિશાન બનાવી હતી. પાકિસ્તાનના ફાયરિંગ અને મોર્ટારમારામાં ૧૧ વર્ષની કિશોરી સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા.
આ અગાઉ પણ રવિવારે સાંજના ૭-૦૦ વાગ્યે પાકિસ્તાની સેનાએ કોઇ પણ જાતની ઉશ્કેરણી વગર યુદ્ધવિરામનો ભંગ કરીને અંકુશરેખા નજીક મોર્ટાર ઝીંક્યા હતા. ભારતે પણ તેનો વળતો જવાબ આપ્યો હતો.