શામળાજી રતનપુર બોર્ડર પરથી 1 કરોડ 21 લાખનું ચરસ ઝડપાયું છે. કારમાં ગુપ્ત ખાનું બનાવી 24 કિલો ચરસ છુપાવાયું હતુ. આ મામલે શામળાજી પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. દિલ્હી પાર્સીંગની કાર સહીત 1 કરોડ 23 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ચરસના આ જથ્થા સાથે હરિયાણા અને હિમાચલ પ્રદેશના 2 આરોપી ઝડપાયા છે. જયારે જમ્મુના બે શખ્સો ફરાર થઇ ગયા છે. નાર્કોટિક્સ ડ્રગ એક્ટ અન્વયે પોલીસ કાર્યવાહી હાથ ધરી છે. કાશ્મીરી ચરસથી યુવાનોને નશાના રવાડે ચડાવવાનું ષડયંત્ર જડપાયું છે. આ રીતે ગુજરાતમાં નશીલા પદાર્થોને ઠાલવવાનો પ્રયાસ હતો.
નારકોટીક્સ વિભાગ દ્વારા ચલાવાઇ રહ્યું છે જાગૃતિ અભિયાન
જમ્મુ-કાશ્મીર, યુપી, બિહાર, રાજસ્થાન થઇને ગુજરાતમાં નશીલા પદાર્થો મોટાપાયે ઘુસાડવામાં આવી રહ્યા છે. જોકે ગુજરાતના યુવાઘનને નશાની આદતથી દુર રાખવા માટે નારકોટીક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે.
કોલેજોમાં તેના પિરિયડ પણ ભણાવવાની સાથે એન્ટિ ડ્રગ્સ કમિટીની રચના કરાઇ છે. જેના થકી કોલેજના વિદ્યાર્થીઓને નશાની લતે ચઢાવતા તત્વોને ઝડપવામાં તેમજ તેમના નેટવર્કને પકડવામાં સફળતા મળી છે.
શું છે ચરસ ?
કેનાબીસ ઈન્ડિકાના માદા છોડના ફૂલમાંથી ગાંજો બનાવવામાં આવે છે. એમાં 15થી 25 ટકા જેટલા નશીલા દ્રવ્યનો સમવેશ થાય છે. આ પદાર્થ મરીજુઆના તરીકે પણ ઓળખાય છે. જે ધૂમ્રપાન વાટે ઉપયોગમાં લેવામાં આવતો હોય છે.
આપને જણાવી દઇએ કે, હુકકા કે પાઈપમાં આ ચરસ નાખીને એનો ધુમાડો શ્વાસમાં ભરી લેવામાં આવે છે. મોં વાટે ભાંગ કે મજુન લીધા પછી અડધા કલાકમાં એની અસર શરૂ થાય અને બે-ત્રણ કલાક સુધી રહે છે. શ્વાસમાં ગાંજો કે ચરસ લીધા પછી તરત એની અસર શરૂ થઈ જાય છે અને અડધા-એક કલાક સુધી રહે છે.