સોશ્યલ મીડિયા એક એવું વિષચક્ર છે જે ભલભલાની ઊંઘ હરામ કરી દે છે. અહીં બધા પોતપોતાના ઓપિનિયન્સ લઈને આવે છે, એના પર દલીલો કરે છે. પણ એ બધા વચ્ચે માનસિક શાંતિ જાળવવી પણ જરૂરી છે.
- મયૂર સોલંકી
તમને ક્યાંકથી જાણવા કે બટાટા વધારે ખાવાના કારણે ઓબેસિટી(સ્થૂળતા) થવાના ચાન્સીસ વધારે છે.ન્યુઝ વાંચીને ખબર પડે કે ગુજરાતમાં ઓબેસિટી અને ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે.વળી ગુજરાતીઓ પ્રમાણમાં બટાટા ખૂબ ખાય છે. બધા શાક બટાટાની સાથે બનાવીને ખાય છે. ભારતના અન્ય પ્રદેશોની સરખામણીમાં ગુજરાતી લોકો ખાધે પીધે સુખી છે અને ખાવાના શોખીન પણ છે એટલે બર્ગર ફ્રેંચ ફ્રાઇસ પણ અફોર્ડ કરી શકે.
એટલે હવે આટલું બધું જ્ઞાન આવી ગયા પછી તમારી અંદર લોકજાગૃતિનો કીડો સળવળાટ કરતો હોય તો તમે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ મુકશો. તમારો આશય અવશ્ય લોકોને જાગૃત કરવાનો હશે. તમે અમુક પ્રકારના રિસર્ચની લીંકસ પણ સાથે મુકશો. કે જુઓ! વધારે પડતા બટાટા ખાવાથી તમને કેવી કેવી તકલીફો થઈ શકે છે.ફલાણા રિસર્ચ પ્રમાણે તમને વજન વધી જવાનું રિસ્ક છે. ઢીકણાં રિસર્ચ પ્રમાણે તમને ડાયાબિટીસ કે હાર્ટ ડીસીઝીસ થવાનું રિસ્ક છે. આવી કેટલીયે વાતો લખીને પોસ્ટ વ્હેતી કરો.હેતુ? માત્ર બહુજન હિતાય બહુજન સુખાય.
થોડા સમય પછી એમાં કોમેન્ટ્સ આવશે. તમે તો પોસ્ટ કરીને ઓફીસ જતા રહો કે પોતાના ધંધે લાગી ગયા હો. પણ બની શકે કે તમને ખબરેય ન હોય એટલામાં ત્યાં કોમેન્ટ બોક્સમાં ધીંગાણા ખેલાઈ ગયા હોય. તમે ઘેર આવીને સોશ્યલ મિડિયા ઓપન કરો ત્યારે ખબર પડે કે એક નાનકડી વાતમાં નીચે બઘડાસટી બોલી ગઈ છે.જાતજાતના ઓપિનિયન લઈને લોકો તૂટી પડ્યા છે.
જેને બટાટા ખૂબ ભાવતા હશે એ લોકો તમારા વિરુદ્ધમાં તુટી પડશે. જુઓ બટાટામાં તો ફલાણા ન્યુટ્રિઅન્ટ્સ આટલા પ્રમાણમાં મળે છે. બટાટા ખાવાથી તો કાર્બોહાઇડ્રેટસ,પ્રોટીન્સ,વિટામિન્સ મળે છે.આ રહ્યા રિસર્ચ પેપર્સ. એ પણ થોડી ગુગલ્ડ લિંક્સ ઠપકારશે. બટાટાથી ફેટ અને કોલેસ્ટરોલ વધતા પણ નથી અને વિટામિન બી,સી વગેરે મળે છે. વળી વિટામિન સી તો અમુક પ્રકારના બોડી સેલ્સને નાશ થતા અટકાવે છે એટલે ઇમ્યુનિટી પણ વધારે છે. “બટાટા ખાવાથી ઇમ્યુનિટી વધે છે.”(પોઈન્ટ ટુ બી નૉટેડ યોર ઓનર!) અને પોતાની દલીલના સમર્થનમાં દસ પ્રકારની ગુગલ્ડ લીંકસ ચોંટાડશે. આ જુઓ. વાંચો આ. હાલી શું નિકળ્યા છો. ઉંહહ…લખતાં પહેલાં વિચાર તો કરવો જોઈએને. ઉંહહ… ખબરદાર જો બટાટા વિષે કંઈ એલફેલ લખ્યું છે તો…ઉંહહ ઉંહહઃ…
અમુક લોકો તમારા સમર્થનમાં ઉતરશે. આ ભાઈની વાત તદ્દન સાચી છે. ફલાણા ડોકટર અને ઢીકણા સાયન્ટિસ્ટ પણ આ વાતનું સમર્થન કરે છે. બટાટા ખાવા જ ન જોઈએ.ઉંહુ. બિલકુલ નહિ. અને મૂળ વાત તો એ કે એ આપણા દેશનો ખોરાક છે જ નહિ. આપણા શાસ્ત્રોમાં બટાટાનો ક્યાંય ઉલ્લેખ જ નથી. બટાટા ક્યાંય હતા જ નહીં. તો ક્યાંથી આવી ગયા? અંગ્રેજો લાવ્યા? અમેરીકામાંથી બટાટા ગ્લોબલાઈઝ કરવામાં આવ્યાં છે. આ પાશ્ચાત્ય સઁસ્કૃતિનો પ્રભાવ છે. આપણી આવનારી પેઢીને બટાટા ખવડાવી ખવડાવીને બટાટા જેવી કરી દેવા માટેનું કાવતરું છે. આ લોકો ડાયાબિટીસ,ઓબેસિટી અને કાર્ડિયાક ડિસઓર્ડર્સથી (કે વાછુટ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ,હાઇડ્રોજન,મિથેન, જેવા વાયુઓથી?) આપણા દેશને ખતમ કરવા માંગે છે. પશ્ચિમી દેશોનો આ એક લાંબો ગેમ પ્લાન છે. તમને અત્યારે નહિ સમજાય. આ મહાન દેશના ભવિષ્યને આ લોકો બટાટા દ્વારા ખતમ કરવા માગે છે.
પછી અમુક ભડલોક હોમ્સ લોકો પોતાની અગણિત થિયરીઓ રજૂ કરશે.જેમ કે… ફલાણા ફાઉન્ડેશનનો અમેરિકામાં બટાટાનો મોટો વ્યાપાર છે. એ દુનિયાભરમાં બટાટા એકસપોર્ટ કરે છે. મેકડોનાલ્ડ અને બર્ગર કિંગ જેવા જાયન્ટ્સ પણ એમની પાસેથી જ બટાટા ખરીદે છે. આ જ ફાઉન્ડેશનના એક માલિકનું નામ ડોલાન્ડ ઈબ્રાહીમ છે. આ ડૉલાન્ડ ઇબ્રાહિમનાં સાઢુભાઈ પાકિસ્તાનને વેપન્સ આપતી કંપનીમાં પણ પાર્ટનર છે. સમજો છો? સમજો છો ને? એટલે તમે એક બર્ગર ખાઈને પોતાના જ દેશના જવાનો વિરુદ્ધ બુલેટ્સ ફન્ડિંગ કરો છો. મૂર્ખાઓ. હવે સમજાયું લોજીક? અરે આટલું સિમ્પલ લોજીક સમજી ન શકતા હો તો તમારે મુર્ખીસ્તાન જતાં રહેવું જોઈએ. હજુ કરો મેક’ડીની ગુલામી. બટાટા ખાનાર તમામ એન્ટી નેશનલ્સ છે.
આવી બહબહાટી બોલશે એવી અપેક્ષા તમને સ્વાભાવિક રીતે જ ન હોય. કોમેન્ટ સેક્શનમાં ગાળાગાળી થતી હોય .તમને ખબર હોય કે બંને ખોટા છે અને તમે તમારો ઓપિનિયન અલગ હેતુથી મુક્યો હતો જે અહીં સિદ્ધ થતો નથી દેખાતો. ડિબેટ તમારા પોતાના મુદ્દાથી ઘણી આગળ નીકળી પોલિટિકલ થઈ ચૂકી હોય અને બંને પક્ષે તમારા મિત્રો જ હોય એટલે વધારે કાદવમાં ઘૂસવાના બદલે તમારે છેલ્લે તમારે પોસ્ટ ડીલીટ કરવી પડે અને પોસ્ટ ડીલીટ કરો તો કેટલાક લોકોને વર્લ્ડ વોર જીત્યા જેટલો આંનદ આવે.
આ અત્યારના સમયની વર્ચ્યુઅલ રિયાલિટી છે. દરેક બાબતના બે છેડા હોય. એક સિક્કાની જેમ બે બાજુ હોય પણ એક સત્યના અનેક પરસ્પેકટિવ હોય.
(પરસ્પેકટિવનું ગુજરાતી પરિપ્રેક્ષ્ય, અહીં બરાબર નથી લાગતું, પ્લીઝ ડોન્ટ માઈન્ડ!) તમારા દિમાગમાં આ પરસ્પેકટિવ બનવામાં તમારા જીવનમાં ઘટતી ઘટનાઓ તમારા ભૂતકાળ અને વર્તમાન કે તમારા પારિવારિક બેકગ્રાઉન્ડનો ખુબ મોટો ફાળો હોય છે. અમુક પરિસ્થિતિનો તમે સામનો કર્યો હોય ત્યારે તમારા દિમાગમાં જાણ્યે અજાણ્યે મત બંધાવા લાગે છે. એ તમે જ જોયું હોય એટલે બીજા કોઈને કહી કે સમજાવી શકાતું નથી. અને એકાદ ઘટનાના કારણે તમે કાયમી મત બાંધીને મનમાં દ્વેષ કે ઘૃણા લઈને જીવ્યા કરો એવું પણ હોઈ શકે. તમે દરેક ઘટનાને રાઈટ/લેફ્ટ, આસ્તિક/નાસ્તિક, ભૌતિક/આધ્યાત્મિક,ધાર્મિક/વૈજ્ઞાનિક,મિસોજીનીસ્ટ/ફેમિનિસ્ટ,બ્લેક/વાઈટ એવી જ કોઈ ફિક્સ ફ્રેમમાં જ જોયા કરો એવું પણ બને. તમે બધાને એકસરખા સ્ટીરિયોટાઈપથી જોવા લાગો.સામાં કાંઠાનું સત્ય તમને દેખાય જ નહિ. અને દેખાય તો પણ તમને વિશ્વાસ ન થાય એટલી હદે તમારી અંદર ઘૃણા અને તિરસ્કાર ભરેલા હોય. જાણ્યે અજાણ્યે આ બધું તમારા પોતાના વિકાસને તો અટકાવી જ દે છે, પણ તમારી માનસિક શાંતિની હત્યા કરે છે. તમે બીજાને બતાવી દેવા માટે, સમજાવી દેવા માટે,બદલાવી દેવા માટે,વટલાવી દેવા માટે મરણીયા બની જાઓ છો. તમને પોતે જાણે કોઈ ક્રાંતિકારી હો એવી અનુભૂતિ થાય છે. તમારા અંગૂઠા જાણે વર્ચ્યુઅલ ક્રાંતિ લાવી દેવા માટે બન્યા હોય એમ તમે ફોરવર્ડેડ તલવારબાજી કરો છો.
આ બધામાં અમુક લોકો એવા પણ હોય કે જે બાયસ થયા વગર દરેક વસ્તુને ન્યુટ્રલ રહીને લોજીકલી જોવાનો પ્રયત્ન કરે.એમને કદાચ ખબર હોય છે કે બે માંથી એકેય પક્ષના લોકો એમના ઘરે ધાન નાખવા નથી આવવાના. અને એમના સંઘર્ષમાં જરાય ફરક નથી પાડી દેવાના.એમને ખબર હોય કે રાઈટ કે લેફ્ટ બંનેમાંથી કોઈ પણ રાઈટ કે રોંગ હોઈ શકે છે. દરેક બાબતને રાઈટ કે લેફ્ટ વિંગ એવા દ્રષ્ટિકોણથી જોવાની જરૂર પણ નથી હોતી.પણ હવે આપણને દરેક બાબતને એ જ રીતે જોવાની આદત પડી ગઈ છે.જાણે દરેક માણસનું અંદરથી જ એક જિનર નક્કી હોય.પછી એમાં બીજું કંઈ વિચાર્યા વગર દલીલો જ કર્યે જવાની. લોજીક હોય કે ન હોય.અને દલીલ કરવા માટે જો વર્તમાન પૂરતો ન હોય તો ભૂતકાળમાં જઈને ખોદી લાવવાનું. એ સમયે કેમ ન્હોતા બોલ્યા? અત્યારે જ કેમ બોલ્યા.(એ સમયે હું ન્હોતો જન્મ્યો/ફેસબુક ન્હોતું/મને ઊંઘ અવતી’તી/મારા મોંઢામાં મગ ભર્યાતા. જા થાય એ કરી લે. એવું મનમાં થાય પણ કહી ન શકાય)
પોતે સાચા એવો આત્મસંતોષ ન મળે ત્યાં સુધી આ પ્રકારના લોકોની ખંજવાળ દૂર થતી નથી. એમને રાત્રે ઉંઘ નથી આવતી.બિચારા ધંધા પર કે પત્ની પર પણ ધ્યાન નથી આપી શકતા. એ લોકો ઉજાગરા કરીને એટલું સર્ફિંગ કરી લે છે કે એટલું વાંચે તો આઈએવાઈએસ બની જાય! ખરેખર તો આ એક જાતની બીમારી છે. કબજિયાત જેવી. માણસને શાંતિથી જીવવા ન દે.અંદર ભર્યું હોય એ બધું બહાર કાઢવું પડે.એ ન નીકળે ત્યાં સુધી મોટા મોટા અવાજે બકવાસ કર્યા રાખે. પણ એમાં સૌથી વધારે પીડાય છે “ન્યુટ્રલ,લિબરલ, એન્ડ રેશનલ થીંકર્સ”.
એક જ બાબતને ઘણી બધી રીતે જોઈ શકાય છે. બધા પોતપોતાના ઓપિનિયન્સ લઈને આવે છે. એ ઓપિનિયન સ્ટ્રોંગ થાય એ માટે પૂરતા પરિબળો એમને સોશ્યલ મીડિયા પર શોધવા જવા નથી પડતા. ઈન્ટરનેટ પર બધું જ અવેલેબલ છે. જે તમને જોઈતું હોય એ સર્ચ કર્યા વગર વારંવાર ફીડમાં દેખાયા કરે એવી વ્યવસ્થા છે. બ્રહ્માંડના સર્જનથી લઈ સૃષ્ટિના વિનાશ સુધી તમામ વિષયો પર થિયરીઝ છે. એ તમામ થિયરીઝ પર લોકોના ઓપિનિયન્સ છે. તમે એક વાત કરો તો એને કાઉન્ટર કરવા હજાર થિયરીઓ લઈને ઉતરી પડવા માટે લાખો નવરા લોકો પણ છે. એમને ન ગમતું કશુંક લખો તો અંગત મિત્રતા અને સંબંધો પણ ભૂલીને ઝગડા કરે એવા હજારો લોકો છે. પોતાનો જ કક્કો સાચો પુરવાર કરવા માટે આ લોકો કોઈ પણ સીમા સુધી જઇ શકે છે.
માત્ર પોતાના ઓપિનિયન સાચવવા માટે સોશ્યલ મીડિયા આજે જેને પૂજતું હોય એને કાલે કટ ટુ સાઈઝ કરી ચીતરી મૂકે એવું પણ બને છે. સોનુ સુદ આજે લોકોનો હીરો છે. પણ જો કોઈ રાજ્યની ગવર્મેન્ટના કામ પોતે કર્યા એ માટે ક્રેડિટ લેતું અને ગવર્મેન્ટની ટીકા કરતું એકાદ સ્ટેટમેન્ટ આપી દે તો લોકો એના પણ કપડાં ફાડશે.અથવા જો એ કોઈ ગવર્મેન્ટની તરફેણમાં બોલે તો ઓપોઝિશનવાળા પણ એ જ કરશે. આ હકીકત છે.સોશ્યલ મીડિયા પર કશું પરમેનેન્ટ નથી. કારણકે લોકો ઓપિનિયન બનાવતા પહેલા લોજીકલી નથી વિચારતા પણ વધારે પડતા ઇમોશનલી વિચારીને તુરંત રીએક્ટ કરી દે છે.
સરવાળે આ આ એક વિષચક્ર છે. જેમાંથી ક્યારેય બહાર આવી શકાતું નથી. દરેક વ્યક્તિનો પોતાનો અલગ ઓપિનિયન છે. એ ઓપિનિયનને સપોર્ટ કરનારા વોટ્સએપ ગ્રુપસ્ છે,પેજીસ છે,વેબસાઇટ્સ છે,ફોલોઅર્સ છે. આ તમામને એવુ જ લાગે કે અમે જ સાચા. અમેં જે કહીએ અને કરીએ એ જ સાચું.(ફિલસૂફ સિસેરોનું પેલું સ્ટેટમેન્ટ યાદ આવ્યું?) દુનિયામાં અમારા મતથી અલગ મત ધરાવનાર તમામ અધર્મી,કાફીર,નાપાક અને પાપી છે. એમના મતમાં સહમતિ પુરાવવા માટે વળી બધા એક નાનું મોટું ઝુંડ લઈને ફરતા હોય છે. સામાન્ય માણસ ભોળવાઇ જાય છે. એને બતાવવામાં આવેલા સપનાઓથી. એ ડરી જાય છે. ઝનુની ટોળાઓથી. એને મળતી ધમકીઓથી. એને કોઈ ક્રાંતિ કરવામાં રસ નથી. એને બે ટાઇમ રોટી કેવી રીતે મળે, પોતાના સંતાનોના પેટ કેવી રીતે ભરાય કે એમને સારું શિક્ષણ કઈ રીતે મળે અને એમના જીવનમાં સુખચેન કેવી રીતે વધે એમાં વધારે રસ હોય છે.
ઘણીવાર એમને રોટીની લાલચ આપીને એમના પાસેથી કામ કઢાવવા સરળ થઈ જાય છે. સંખ્યા બતાવવા માટે આવા નિર્દોષ માણસોનું ટોળું ઉભું કરવું હવે સરળ બની ગયું છે. ટોળા પાસેથી કંઈ પણ કરાવી શકાય. કોઈ પણ એજન્ડા પુરા કરાવી શકાય. અને આ બધામાં પણ જે વ્યક્તિ સવાલ પૂછે એને ગુનેગાર ઠેરવવામાં આવે છે. સવાલ પૂછવો, લોજીકલી કે ન્યુટ્રલી વિચારવું એ તો જાણે ગુનો છે. એવો ગુનો જે સોક્રેટિસે કર્યો હતો. એવો ગુનો જે કોઈ કાળે પ્રહલાદ કે નચિકેતાએ કર્યો હશે! પણ સરેરાશ માણસ પોતાને એવું ઐતિહાસિક કેરેક્ટર નથી માનતો. એટલે એ ચુપ રહેવાનું પસંદ કરે છે. કારણ કે આવા કાદવમાં પડીએ તો વધારેને વધારે ફસાતા જઈએ. માનસિક સ્વાસ્થ્ય જોખમાય. પારિવારિક જીવન પણ બગડે. કબજિયાત અને બળતરા એટલા અંદર સુધી ઘર કરી જાય કે જીવનનાં સારા પ્રસંગોમાં પણ આનંદ ન કરી શકાય. બધા જ કામમાં શંકા થાય. એજન્ડા દેખાય. સારા માણસની પરખ કરી એની કદર ન કરી શકાય અને ખરાબ માણસને એટલી જલ્દી દુર પણ ન કરી શકાય. આ એક રોગ જ છે. જેનાં કારણે ભય, ક્રોધ, સંશય અને માનસિક વિકારો કાયમ માટે પ્રવેશી જાય છે. આ ક્રોધ વિનાશ સુધી લઈ જાય છે.
આવું કશું આપણી સાથે ન થાય એ માટે આપણી આસપાસનું મિત્રવર્તુળ પ્રોડકટિવ,પ્રોગ્રેસીવ અને સ્કીલ્સ કે કરીઅર માટે પેશનેટ હોય એવું જ રાખવું. સોશ્યલ મીડિયા પર એવું જ કન્ટેન્ટ ફોલો કરવું. નૉલેજ બધું રાખવાનું. પણ પછી એનો સમતુલિત અભ્યાસ કરીને બંને કાંઠાનો વિચાર કરતા પણ શીખવાનું. ક્યારેક આપણા કરતા વધારે લોજીકલ વાત સાંભળવા મળે તો એનો સ્વીકાર કરતા શીખવાનું. સામે કોઈ બહુ જડ વ્યક્તિ મળી જાય તો સાચા સાબિત થઈ જવાની માથાકૂટ બહુ ન કરવી. ઇગુડી કન્ટ્રોલમાં રાખી પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કર્યે રાખવું. અને તોય ક્યારેક આવા આખલા સામે આવીને ભટકાય તો જરૂરી જવાબ આપીને બાકી બધું ઇગ્નોરાય નમઃ!
(Disclaimer : આ આર્ટિકલમાં લખાયેલા અને રજૂ કરાયેલા વિચારો અને મંતવ્યો લેખકના પોતાના અંગત છે. VTVGujarati.com આ વિચારો સાથે સહમત કે પ્રોત્સાહન આપતું નથી. માત્ર લેખક અને વાચકોના વિચારો રજૂ કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડે છે.)