સોશિયલ મીડિયા પર ફરી અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની માંગ ઉઠી છે. તો બીજી તરફ નામ બદલવા અંગે CMએ કોંગ્રેસના ધારસભ્યને લેખિતમાં જવાબ આપ્યો છે.
અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની માંગ ઉઠી
સોશિયલ મીડિયામાં #WeWantKarnavati નામનું હેશટેગ ટ્રેન્ડ થયું
અમદાવાદનું નામ કર્ણાવતી કરવા કોઈ માગણી કે દરખાસ્ત મોકલવામાં આવી નથીઃ CM રૂપાણી
ગુજરાતમાં ચૂંટણી આવે કે પછી અમદાવાદનો જન્મદિવસ આવે એટલે દર વખતે અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવાનો મુદ્દો ઉઠતો રહે છે. ત્યારે હવે ટ્વિટર પર ફરી એક વખત ગુજરાતના શહેર અમદાવાદનું નામ કર્ણાવતી રાખવાની માંગ ઉઠી છે. અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની માંગ સાથે અનેક લોકોએ પોસ્ટ મુકી છે.
બુધવારે ટ્વિટર પર #WeWantKarnavati ટ્રેન્ડ કરી રહ્યું છે. યૂઝર્સનું કહેવું હતું કે, અમદાવાદનો પાયો અહમદશાહે નહીં પરંતુ રાજા કર્ણદેવે રાખ્યો હતો. એટલા માટે શહેરનું નામ તેમના નામ પર હોવું જોઇએ.
અમદાવાદનું નામ કર્ણાવતી કરવા માટે રાજ્ય સરકારે કોઇ જ દરખાસ્ત નથી કરીઃ CM રૂપાણી
ભાજપ વર્ષોથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની વાતો કરે છે. ભાજપની પ્રેસનોટમાં પણ અમદાવાદનો ઉલ્લેખ કર્ણાવતી તરીકે કરવામાં આવે છે. તેમ છતા ભાજપ સરકારને શહેરનું નામ બદલવામાં કોઇ રસ ન હોવાનું સામે આવ્યું છે.
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરના એક પ્રશ્નમાં જવાબમાં CM વિજય રૂપાણીએ લેખિતમાં જવાબ આપ્યો હતો. CM વિજય રૂપાણીએ કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા અમદાવાદનું નામ કર્ણાવતી કરવા કોઈ માગણી કે દરખાસ્ત મોકલવામાં આવી નથી.
મહાભારતના યુધિષ્ઠિરે પણ અમદાવાદનું નામ બદલવાની કરી માંગ
તો મહાભારતના યુધિષ્ઠિર ગજેન્દ્ર ચૌહાણે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકીને અમદાવાદનું નામ બદલવાની માંગ કરી છે. તેમણે ટ્વીટ કરીને સરકારને રજૂઆત કરી કહ્યું કે જે શહેરનું અસલી નામ છે તે તેને પાછું આપવામાં આવે.
ગજેન્દ્ર ચૌહાણે કહ્યું કે, મારી દેશના પ્રધાનમંત્રી મોદી પાસે માંગ છે કે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરી દેવામાં આવે. તેમણે એમ પણ લખ્યું છે કે, સૂત્રોના હવાલાથી ખબર છે કે માર્ચ મહિનામાં કદાચ અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની તૈયારી છે.
સોશિયલ મીડિયા પર અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની માંગ ઉઠી છે. ટ્વિટર પર #WeWantKarnavati હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યો છે.