સુરતના સમાજ સેવક ઉદ્યોગ અને આપના પૂર્વ નેતા મહેશ સવાણીને ગત મોડી રાતે છાતીમાં દુખાવાની ફરિયાદ તેમના મિત્રો અને પરિવારજનોને કરી હતી.જેને લઈને તેમના પરિવારજનો તાત્કાલિક તેમને સુરતની પી. પી. સવાણી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતાં. જ્યાં ડોક્ટરોએ જણાવ્યું હતું કે, તેમને હાર્ટ એટેક આવ્યો છે..આ વાતની જાણ જ્યારે તેમના શુભેચ્છકોને થતાં તેઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે તેમની તબિયત જાણવા માટે પહોંચ્યા છે. જોકે ડોક્ટરોના કહેવા મુજબ હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.
મહેશ સવાણીએ તાજેતરમાં આમ આદમી પાર્ટી છોડી હતી.
ઉલ્લેખનીય છે કે, મહેશ સવાણીએ આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ તેમણે તાજેતરમાં જ એને છોડવાનો નિર્ણય કર્યો હતો. ફરીથી તેઓ સમાજસેવાના કાર્યમાં લાગી ગયા હતા. મહેશ સવાણીએ સુરતમાં પિતા વિહોણી દીકરીઓનાં લગ્ન કરાવવા માટે તેમણે ખૂબ જ મોટું કામ કર્યું છે, જેના થકી સમાજમાં તેમની એક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલી વ્યક્તિ તરીકેની ઓળખ ઊભી થઈ હતી.
પરિવાર સહિત શુભચિંતકોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ હતી.
મહેશ સવાણીની તબિયત એકાએક લથડતાં તેમના પરિવારના સભ્યો સહિત સૌ કોઈ ચિંતામાં મુકાઈ ગયા હતા. હાલ ડોક્ટરોની એક ટીમ દ્વારા સતત તેમનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જો કે, રાહતની વાત એ છે કે, સવારે ડૉક્ટરોએ તપાસ્યા બાદ તેમની સ્થિતિ સ્થિર હોવાનું કહેતાં પરિવારજનોમાં થોડો હાશકારો જોવા મળી રહ્યો છે.