આજે ગાંધી જયંતીની ઉજવણી સમગ્ર દેશમાં ધામધૂમથી થઈ રહી છે. આ ઉજવણીમાં ગાંધીવિચારની ફિલસૂફીનો સમન્વય થતો જોવા મળી રહ્યો છે. વર્તમાન સમયમાં આર્થિક વ્યવહારમાં પ્રામાણિકતા અને અહિંસા જેવા સિદ્ધાંતો ભૂલી જવાયા છે. ત્યારે ગાંધીજીના પ્રાકૃતિક ચિકિત્સાને વિચારને વ્યવહારમાં અમલી બનાવવા માટે ભારત સરકારના ખાદી ગ્રામોદ્યોગ વિભાગે પ્રયાસ કર્યો છે.
દેશભરમાં ગાંધી જયંતીની ઉજવણી
ગાંધી વિચારની ફિલસૂફી ભૂલાઇ
ખાદી ગ્રામ ઉદ્યોગે છાણમાંથી કુદરતી સાબુ તો બનાવ્યો પરંતુ અતિશય મોંઘો
ખાદી ગ્રામોદ્યોગ દ્વારા રજૂ કરાઇ અનોખી પ્રોડક્ટ
ગાંધીવિચાર આજના સમયમાં જેટલો વિસરાતો જાય છે એટલો જ એ બળવત્તર બનીને આજના સમયની તાતી જરૂરિયાત બની ગયો છે. સત્ય, અહિંસા, અપરિગ્રહ, ખાદી જેવા અનેક વિચારોની જેમ નિસર્ગોપચાર પણ આજની જરૂરિયાત બની ગયો છે.
પરંતુ આ દરેક વિચારો ગાંધી જયંતીના અવસરે લોકો વચ્ચે ધામધૂમ સાથે રજૂ કરાય છે પરંતુ તે ટકાઉ બનીને લોકામાનસમાં ઉછરતો નથી. ત્યારે ભારત સરકારના ખાદી ગ્રામોદ્યોગ વિભાગે ગાંધીજીના નિસર્ગોપચાર વિચારને પોતાની પ્રોડક્ટ દ્વારા જનતા વચ્ચે વચ્ચે વહેતો મૂક્યો છે.
ગાયના છાણમાંથી બનાવવામાં આવ્યો સાબુ
આજે લોકો પોતાના રોજિંદા જીવનમાં ખાવા પીવાની ચીજ વસ્તુઓથી લઈને શરીરની સાફ સફાઈ માટે રાસાયણિક પદાર્થોથી બનેલી ચીજવસ્તુઓના બદલે પ્રાકૃતિક પદાર્થોથી બનેલી વસ્તુઓને મહત્વ આપી રહ્યા છે. આવી જરૂરિયાતમાં એક જરૂરિયાત સાબુ પણ છે. હજુ સુધી લોકો નહાવા માટે સુગંધિત કેમિકલ દ્વારા બનાવેલા સાબુનો ઉપયોગ કરે છે.
પરંતુ હવે લોકો કુદરતી રીતે ગાયના છાણમાંથી બનાવેલા સાબુનો પણ ઉપયોગ કરી શકે છે. તમને સવાલ થશે કે, સાબુ અને તે પણ ગાયના છાણ માંથી બનાવેલો? આવું શક્ય છે? પરંતુ હા આ વાત સાચી છે. આ પ્રકારના સાબુને ભારત સરકારના ખાદીગ્રામોદ્યોગ વિભાગે બનાવ્યો છે અને સામાન્ય નાગરિકો માટે કેદ્રીય મંત્રી નીતિન ગડકરીએ તેને લોન્ચ પણ કર્યો છે.
સાબુ કિંમત રાખવામાં આવી છે 125 રૂપિયા
જો કે એ વાત સારી છે કે, પ્રાકૃતિક પદાર્થોથી બનેલા સાબુથી આરોગ્યની જાળવણી કરી શકાય છે અને કેમિકલના ખતરાથી બચી શકાય છે. પરંતુ આજકાલ આ પ્રકારના પ્રાકૃતિક ઉત્પાદનોની કિંમત એટલી વધારે હોય છે કે, તેની પાછળનો ગાંધીવિચાર છેવાડાના માનવી સુધી પહોંચતા પહેલાં જ અધવચ્ચે અટકી જાય છે.
આ નવા લોંચ કરાયેલા પ્રાકૃતિક સાબુની જ વાત કરીએ તો. બજારમાં મળતા સામાન્ય સાબુ લોકોને 30થી 40 રૂપિયામાં મળી જાય છે. પરંતુ જો તમે ગોબરથી બનેલો સાબુ ખરીદવા જશો તો તમારે તેમાં એક સાબુની કિંમત 125 રૂપિયા ચૂકવવી પડશે. નીતિન ગડકરીએ માત્ર પ્રાકૃતિક સાબુ જ નહીં વાંસથી બનેલી પાણીની બોટલને પણ લોંચ કરી. આ પાણીની બોટલ સંપૂર્ણ રીતે પ્રાકૃતિક તત્વોથી બનેલી છે. પરંતુ તેની કિંમત પણ થોડી વધારે જ હશે તે નિશ્ચિત છે.
છેવાડાના લોકો સુધી સરળતાથી ન પહોંચી શકે તે ગાંધી વિચાર હોઈ ન શકે
પ્રાકૃતિક પદાર્થો માંથી બનાવેલી ચીજ વસ્તુઓ મનુષ્યના શરીરને હાનિકારક રાસાયણિક તત્વોની અસરથી બચાવે છે. પરંતુ તે પણ એટલું જ જરૂરી છે કે, આ પ્રકારની ચીજવસ્તુઓ સામાન્ય લોકોને પરવડે તેવી કિંમતે ઉપલબ્ધ થાય કેમકે છેવાડાના લોકો સુધી સરળતાથી ન પહોંચી શકે તે ગાંધી વિચાર હોઈ ન શકે.