બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDA ની જીત બાદ મુખ્ય પ્રધાન નીતિશ કુમારે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે મુખ્યમંત્રી પદ માટે પૂછેલા સવાલ પર એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે, તેમણે જવાબ આપ્યો કે મેં મુખ્યમંત્રી પદ માટે દાવો કર્યો નથી. બિહારના મુખ્ય પ્રધાન કોણ હશે તે અંગે NDA સાથે સંકળાયેલા પક્ષો નિર્ણય લેશે. તેમણે કહ્યું કે મારી તરફથી કોઈ દબાણ નથી, CM પદ માટે NDA ની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.
બિહારમાં NDA ને મળી છે બહુમતી
નીતિશ કુમારે કરી હતી પ્રેસ કોન્ફરન્સ
CM પદ વિશે કહ્યું, "NDA ની બેઠકમાં નિર્ણય થશે"
મહત્વનું છે કે 243 બેઠકોવાળી બિહાર વિધાનસભામાં NDA ને 125 બેઠકો મળી છે. BJP ને 74 બેઠકો મળી અને JDU ને 43 બેઠકો મળી. તે જ સમયે, RJD ને 75 બેઠકો મળી છે અને તે બિહાર નો સૌથી મોટો પક્ષ બનીને ઉભરી આવ્યો છે, જ્યારે તેની સાથી કોંગ્રેસ પાર્ટીને 19 અને ડાબેરી પક્ષોને 16 બેઠકો મળી છે. મહાગઠબંધન ને કુલ 110 બેઠકો મળી છે.
અગાઉ તેમણે કહ્યું હતું કે જનતાએ NDA ને બહુમતી આપી છે અને અમે સરકાર બનાવીશું. શપથ ગ્રહણ કરવા અંગે તેમણે કહ્યું કે શપથ ગ્રહણ છઠ કે દિવાળી પછી થશે કે કેમ તે અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. અમે પરિણામોની સમીક્ષા કરી રહ્યા છીએ. સાથે જ તેમણે કહ્યું કે આવતીકાલે ચારેય પક્ષના નેતાઓ બેઠક કરશે.
નીતિશ કુમાર સોમવારે શપથ લઈ શકે છે
નીતિશ કુમાર આવતા અઠવાડિયે તેમના ચોથા કાર્યકાળ માટે બિહારના મુખ્ય પ્રધાન તરીકે શપથ લે તેવી સંભાવના છે, પરંતુ શપથ લેવાની તારીખ હજી નક્કી થઈ નથી. રાજકીય વર્તુળોમાં એવી અટકળો છે કે તેઓ સોમવારે શપથ લેશે.
"ભાઈ બીજ" ઉત્સવ તે જ દિવસે ઉજવવામાં આવશે, જે એક શુભ દિવસ માનવામાં આવે છે. નીતિશ કુમાર ના એક નજીકના સાથીએ કહ્યું કે તેઓ આવતા અઠવાડિયે ચોથા કાર્યકાળ માટે બિહાર ના મુખ્ય પ્રધાનની શપથ ગ્રહણ કરી શકે છે, પરંતુ હજુ સુધી તારીખ નક્કી થઈ નથી.
નીતિશ કુમાર એ હજુ રાજ્યપાલને રાજીનામું આપવાનું બાકી છે
નીતિશ કુમાર એ ફરીથી શપથ લેતા પહેલા રાજીનામું રાજ્યપાલને આપવું પડશે. NDA ના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક હજી ઔપચારિક રૂપે મળવાની બાકી છે અને NDA એ તેમને ઔપચારિક રીતે તેમના નેતાઓ જાહેર કર્યા નથી.
જો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના ટોચના નેતાઓએ નીતિશ કુમાર ની મુખ્યપ્રધાન પદે વરણીને ટેકો આપ્યો છે. દરમિયાન, મુખ્ય ચૂંટણી અધિકારી એચ આર શ્રીનિવાસ ગુરુવારે રાજભવન ગયા હતા અને વિધાનસભાની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોની યાદી રાજ્યપાલને સુપરત કરી હતી.