આજથી ભારતમાં રસીકરણની શરૂઆત થઇ ગઈ છે અને ભારત ભરમાં 3006 રસીકરણ સેન્ટરથી આ મહાઅભિયાનની પીએમ મોદીએ આજે સવારે શરૂઆત કરાવી હતી.
કોરોના વેક્સિન બનાવનારી કંપનીની જાહેરાત
હૈદરબાદની ભારત બાયોટેક બનાવે છે કોવાકસિન
રસી બાદ કોઇનામાં ગંભીર આડઅસર જણાય તો આપીશું વળતર : કંપની
જો કે અમુક ઘટનાઓને બાદ કરતા આજનું રસીકરણ અભિયાન વ્યવસ્થિત જ ચાલ્યું જ છે, પરંતુ અમુક લોકોમાં હજુ પણ ભારતની વેક્સિનને લઈને અસમંજસની સ્થિતિ છે, જો કે આ બધાની વચ્ચે કોવાકસિન બનાવનારી કંપની ભારત બાયોટેકે જાહેરાત કરી હતી કે તેની રસીનો ડોઝ લીધા પછી જો કોઈ વ્યક્તિમાં ગંભીર દુષ્પરિણામ જોવા મળે છે તો કંપની તરફથી તેને વળતર ચૂકવવામાં આવશે.
ભારતમાં બે વેક્સિનને મળી છે મંજૂરી
મહત્વનું છે કે ભારતમાં સર્વોચ્ચ ડ્રગ રેગ્યુલેટર સંસ્થા ડીસીજીઆઈ તરફથી ભારતમાં બે વૅક્સિનને મંજૂરી આપવામાં આવી છે, જેમાં સીરમ કંપનીની કોવીશીલ્ડ અને ભારત બાયોટેકની આઈસીએમઆરના સહયોગમાં બનાવાયેલી કોવાકસિનનો સમાવેશ થાય છે.
પીએમ મોદીએ રસીકરણ શરુ કરતા પહેલા મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં સંબોધન કરતા કહ્યું હતું કે રસીકરણ માટેની દરેક આડઅસરોને નોટિસ કરવામાં આવે, આ પછી મોદી સરકારે નિર્ણય કર્યો હતો કે જો કોઈ વ્યક્તિને કોઈ ગંભીર આડ અસર થાય છે તો તેને વળતર મળશે પરંતુ આ વળતર સરકાર નહિ પણ કંપની ચૂકવશે.
મહત્વનું છે કે એઈમ્સના ડિરેક્ટર ડો. ગુલેરીયાએ પણ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિને કોઈ ગંભીર આડઅસર જણાશે તો તેને વળતર આપવામાં આવશે, હવે આ ચીજને લઈને કોવાકસિન બનાવનારી કંપની ભારત બાયોટેક તરફથી મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
ભારત બાયોટેકે કહ્યું' વળતર ચૂકવીશુ'
ભારત બાયોટેકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેની રસી કોવાકસિનના ડોઝ પછી જો કોઈ વ્યક્તિમાં ગંભીર આડઅસર કે કોઈ દુષ્પરિણામ જોવા મળે છે તો કંપની તે વ્યક્તિને તેનું વળતર ચૂકવવા તૈયાર છે, પરંતુ આ પ્રકારની જાહેરાત બીજી કંપની સીરમ દ્વારા હજુ કરવામાં આવી નથી, મહત્વનું છે કે કોવાકસિનના ત્રીજા ફેઝના ટ્રાયલ ડેટાનું એનાલિસીસ હજુ બાકી છે, પરંતુ તેને ક્લિનિકલ ટ્રાયલ મોડમાં ઉપયોગ માટેની મંજૂરી મળી ચૂકી છે.
જો કે એક મહત્વની વાત એ છે કે રસી લીધા પછી પણ કોરોના સંબંધિત પ્રોટોકોલ અને નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે.