જો વિશ્વમાં ક્રૂડ ઓઈલનો ભાવ બેરલ દીઠ 380 ડોલર પર પહોંચી જશે તો ભારતમાં એક લીટર પેટ્રોલની કિંમત 385 રુપિયા થશે તેવું અનુમાન એક રિપોર્ટમાં દર્શાવાયું છે.
શું દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 300 રૂપિયા પ્રતિ લીટરના આંકડાને પાર કરી શકે છે? કલ્પના કરો કે જો પેટ્રોલ-ડીઝલ આટલા મોંઘા થઈ જાય તો આપણા ખિસ્સા પર કેટલો બોજ વધશે. હાલ દેશમાં પેટ્રોલના ભાવ 100થી 110 રૂપિયાની આસપાસ છે અને ડીઝલ 100 રૂપિયા પ્રતિ લીટરની આસપાસ વેચાઈ રહ્યું છે. દેશમાં પેટ્રોલના ભાવ કાચા તેલના દર અનુસાર નક્કી કરવામાં આવે છે. કાચા તેલ પર એક રિપોર્ટ આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કાચા તેલની કિંમત 380 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે.
ક્રૂડ ઓઈલ 380 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચશે
જેપી મોર્ગન ચેઝ એન્ડ કંપનીના વિશ્લેષકોએ ચેતવણી આપી છે કે, જો અમેરિકા અને યુરોપિયન દેશો રશિયા પર સ્ક્રૂ વધુ કડક કરશે તો તેનાથી ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં પાંચ મિલિયન બેરલ સુધીનો ઘટાડો થઇ શકે છે. આ કારણે સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઈલ 380 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી જશે. યૂક્રેન પર થયેલા હુમલા બાદ અમેરિકા અને યૂરોપીય દેશોએ રશિયા પર કડક આર્થિક પ્રતિબંધ લગાવ્યા છે.
ભારતમાં કેટલો વધશે ભાવ?
ભારત સૌથી વધુ કાચા તેલની આયાત કરનારા દેશોમાંથી એક છે. જો ભારતમાં વધેલા કાચા તેલની કિંમતોની અસર પડશે તો પેટ્રોલ 385 રૂપિયા પ્રતિ લીટરે વેચાશે. જો વધેલા ભાવની તુલના 110 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ અને 111 ડોલર પ્રતિ બેરલ ક્રૂડ ઓઇલની કરવામાં આવે તો પેટ્રોલ લગભગ સાડા ત્રણ ગણું મોંઘું થઈ જશે. જ્યારે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ 380 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી જશે, ત્યારે ભારતમાં પેટ્રોલ 385 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાશે.
ભારત રશિયાથી આયાત કરે છે ક્રૂડ ઓઈલ
એપ્રિલથી અત્યાર સુધીમાં ભારતે રશિયા પાસેથી 50 ગણું વધારે ક્રૂડ ઓઇલ ખરીદ્યું છે. ભારતની કુલ ક્રૂડ ઓઈલની આયાતમાં રશિયાનો હિસ્સો 10 ટકા થઈ ગયો છે. યુક્રેન સાથે યુદ્ધની શરૂઆત પહેલા ભારત રશિયા પાસેથી માત્ર 0.2 ટકા તેલ ખરીદતું હતું. એપ્રિલમાં તે વધીને 10 ટકા થઇ ગઇ હતી. જેપી મોર્ગનના નિષ્ણાતોનું કહેવું છે કે જો રશિયા ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં 30 લાખ બેરલ પ્રતિદિન કાપ મૂકશે તો લંડન બેન્ચમાર્ક પર ક્રૂડ ઓઇલના ભાવ 190 ડોલર સુધી પહોંચી જશે. સાથે જ રશિયા તેને વધારીને પાંચ મિલિયન કરી દેશે, ત્યારબાદ કાચા તેલનો દર 380 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી જશે. હવે સવાલ એ છે કે આ વધારાની ભારતમાં કેટલી અસર પડશે.