સુરત આજે કોંક્રિટના જંગલોમાં ફેરવાઈ રહ્યું છે. શહેરનો ગ્રીન બેલ્ટ જાણે ખતમ થવાની આરે છે. ત્યારે સુરતમાં રહેતા એક પ્રકૃતિ પ્રેમીએ એક એવું ઘર તૈયાર કર્યું છે જેને જોઈને કુદરતની નજીક પહોંચ્યાંનો અનુભવ થાય છે. આ ઘર બીજા સામાન્ય ઘર કરતા ખૂબ અલગ છે.
પ્રકૃતિપ્રેમીનો લીલોછમ બંગલો
બંગલાનુ સર્જન,પર્યાવરણનું જતન
લૂમે છે, ઝૂમે છે, લતા અને વેલ
સુરતના પર્યાવરણ અને પ્રકૃતિપ્રેમી આ છે સ્નેહલભાઈ પટેલ. સુરતના આભવા ગામે તેમણે 16 હજાર સ્ક્વેર મીટરના પ્લોટમાં 6 વર્ષ પહેલાં 12 હજાર સ્કવેર ફૂટમાં આ બંગલો બનાવ્યો હતો. આ બંગલો બનાવવા સાથે સાથે તેમણે પર્યાવરણનો પણ ખ્યાલ રાખ્યો છે. તેમણે પોતાના પ્રકૃતિપ્રેમને સંતોષવા માટે બંગલાના પરિસરમાં જાણે એક નાનકડું જંગલ ઊભું કરી દીધું.
પર્યાવરણપ્રેમનું પરિણામ
લીલાછમ વૃક્ષો, પક્ષીઓને આર્ષતા આ પાણીના ઝરા,લૂમ ઝૂમ થતી આ લતાઓ અને વેલ, અને પતંગિયાઓ માટે જાણે કાયમી નિવાસસ્થાન બની ગયેલા આ ફૂલછોડનું સામ્રાજ્ય આ સ્નેહભાઈ પટેલની મહેનત અને પર્યાવરણપ્રેમનું પરિણામ છે.
વર્ષોની મહેનત બાદ ઉછરવામાં આવ્યા 500 વૃક્ષ
સ્નેહલભાઈ પટેલે આ નાનકડા જંગલમાં વર્ષોની મહેનત બાદ 500 જાતના વૃક્ષોનો ઉછેર કર્યો છે. એટલું જ નહીં તેઓ ઘરના રસોડા માટે તમામ શાકભાજી અને ફળો અને આયુર્વેદિક ઔષધિઓ પણ ઘરની આજુબાજુ ઉભા કરવામાં આવેલા જંગલમાંથી જ મેળવી લે છે. જો કે આ માટે તેમણે અલાયદી વ્યવસ્થા ઊભી કરી છે.
વરસાદના પાણીનો સંગ્રહ કરી વર્ષભર વાપરવામાં આવે છે
આ ઘરમાં અમુક રૂમોમાં વીજળી કનેક્શન પણ નથી. કારણ કે અહીં ઓરડાઓની વ્યવસ્થા જ એવી રીતે કરવામાં આવી છે જેથી અહીં કુદરતી હવા ઉજાશ ભરપૂર મળી રહે. એટલું જ નહીં જે રૂમમાં લાઈટ પંખા છે તે પણ સોલાર પેનલથી ચાલે છે. ચોમાસા દરમ્યાન જ્યાં સોલરનો સ્ત્રાોત ઓછો મળે તો તેના માટે તેમણે પવનચક્કી બેસાડી છે અને વરસાદના પાણીનો સંગ્રહ કરીને વર્ષભર તે પાણી જ વાપરવામાં આવે છે.
આલીશાન બંગલામાં નથી એક પણ એરકન્ડિશનર
ઘરના દરેકે દરેક ઓરડામાં કુદરતી હવા ઉજાશ કેવી રીતે આવશે તે દિશા અને ઋતુ જોઈને બનાવવામાં આવ્યા છે..ઉનાળામાં જે દિશામાં તડકો વધારે આવે તે દિશામાં કુદરતી વનસ્પતિઓ અને વેલ ઉગાડવામાં આવી છે. શિયાળામાં સવારનો તડકો યોગ્ય મળે તે રીતે તેમણે ગોઠવણ કરી છે. આટલા આલીશાન બંગલામાં એક પણ એરકન્ડિશનર પણ નથી. કારણ કે ઘરની આજુબાજુ તો ખરું જ પણ ઘરના અંદર જ એક નાનકડું તળાવ ઉભું કરાયું છે.
સ્નેહલભાઈએ પોતાના બંગલાના પરિસરમાં દેશી વૃક્ષો ઉછેર્યા છે. ખાસ કરીને ભારતમાં જ જોવા મળતા વૃક્ષો અહી ઉછેરવામાં આવ્યા છે. વડ, પીપળો, ઉમરો, અને ગોરસ આંબલીએ અહીં કુદરતી શોભા વધારી રહ્યા છે. તો લીમડો, મહુડો, બહેડો આરોગ્યનું ધ્યાન રાખી રહ્યા છે.. આ વૃક્ષોના ફૂલ અને ટેટા થાય ત્યારે પક્ષીઓનું આગમન શરૂ થઈ જાય છે..પછી તે કાયમ માટે અહી જ વસવાટ કરવા લાગે છે. કેમકે આખરે દરેકનું ઉદભવ સ્થાન અને અંતિમ વિસામો તો આ પ્રકૃતિ જ છે ને.