અમદાવાદ: વિશ્વભરમાં સુપ્રસિદ્ધ સંપ્રદાય સ્વામિનારાયણની SMVS સંસ્થાનાં સંસ્થાપક પ.પૂ. બાપજી (પ.પૂ.દેવનંદનદાસજી સ્વામી) 87 વર્ષની વયે મનુષ્ય દેહનો ત્યાગ કરીને તા. 22/08/2019નાં રોજ ગઇ કાલનાં રાત્રે 10:10 વાગ્યે અક્ષરનિવાસી થયાં છે. તેઓ છેલ્લાં કેટલાંય સમયથી વાસણા મંદિર મુકામે જ રહેતા અને સર્વે હરિભક્તોને દર્શન આપતા ને સર્વેનાં મનોરથો પૂર્ણ કરતાં. જો કે આ સમાચારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં હરિભક્તોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.
CM વિજય રૂપાણીએ શ્રદ્ધાંજલિ અર્પીઃ
સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા SMVSનાં સંસ્થાપક પૂજ્ય શ્રી દેવનંદનદાસજી ગુરૂવર્ય પૂજ્ય બાપજી અક્ષરનિવાસી થતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ શોકની લાગણી વ્યકત કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. CM રૂપાણીએ સદ્દગત પૂજ્ય બાપજીને શોકાંજલિ આપતા જણાવ્યું હતું કે, 'સત્સંગ પ્રવૃત્તિઓનાં વ્યાપ અને ભારતીય સંસ્કૃતિનાં પ્રસાર માટે તેમનું યોગદાન સદાકાળ ચિરંજીવ અને માર્ગદર્શક રહેશે. રૂપાણીએ પૂજ્ય બાપજીનાં આત્માની પરમ શાંતિ માટે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં પ્રાર્થના કરી હતી.'
ભાગવદી દીક્ષા ગ્રહણ કરી ઓળખાયા દેવનંદનદાસજી સ્વામીઃ
પ.પૂ.બાપજી બાળપણથી સ્વામિનારાયણ ભગવાનમાં અનન્ય શ્રદ્ધા ધરાવતા હતા. 23 વર્ષની યુવાન વયે સંસાર ત્યાગી અનેકને ભગવાનના રંગે રંગવા ઈ.સ. 1956, 3 જી ઓગષ્ટના રોજ ભાગવદી દીક્ષા ગ્રહણ કરી અને દેવનંદન દાસજી સ્વામી તરીકે ઓળખાયા. દેશ-વિદેશમાં સંસ્કૃતિ, ધર્મ, સામાજિક તથા આદિવાસી ઉત્થાનના કાર્ય માટે પ.પૂ.બાપજીએ અથાક વિચરણ કર્યું અને વિદેશમાં પણ મંદિરોની સ્થાપના કરી.
પ.પૂ.બાપજી બાળપણથી જ સ્વામિનારાયણ ભગવાનમાં અનન્ય શ્રદ્ધા ધરાવતા હતાં. તેઓ 23 વર્ષની યુવાન વયે જ સંસાર ત્યાગી અનેકને ભગવાનનાં રંગે રંગવા ઈ.સ. 1956ની 3જી ઓગસ્ટનાં રોજ તેમણે ભાગવદી દીક્ષા ગ્રહણ કરી હતી અને દેવનંદન દાસજી સ્વામી તરીકે તેઓ ઓળખાયાં. પ.પૂ.બાપજીએ દેશ-વિદેશમાં સંસ્કૃતિ, ધર્મ, સામાજિક તથા પંચમહાલનાં આદિવાસી લોકોનાં ઉત્થાનનાં કાર્ય માટે અથાગ વિચરણ કર્યું અને વિદેશમાં પણ ભગવાનનાં મંદિરોની તેમણે સ્થાપના કરી હતી.
અંતિમ સંસ્કાર વિધિઃ તારીખ 24-08-2019નાં શનિવારનાં રોજ લગભગ સવારથી જ સૌ હરિભક્તોનાં વ્હાલા એવાં ગુરુવર્ય પ.પૂ.બાપજીની પાલખીયાત્રા તથા અંતિમ સંસ્કારવિધિનાં દર્શન થઇ શકશે.