અધિકારીનાં પત્ની-બાળકો નણંદના ઘરે રહેવા માટે ગયાં અને ચોરી
તસ્કરો 1.91 લાખની મતાની ચોરી કરી નાસી ગયા
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા જીએસટી વિભાગના સુપરિન્ટેન્ડેન્ટના ઘરમાંથી તસ્કરોએ ચોરી કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. સુપરિન્ટેન્ડેન્ટ ચેન્નઇમાં ફરજ બજાવે છે અને તેમનાં પત્ની અને બાળકો ચાંદખેડા વિસ્તારમાં આવેલા પરમેશ્વર ફ્લેટમાં રહે છે. થોડાક દિવસ પહેલાં સુપરિન્ટેન્ડેન્ટનાં પત્ની અને બાળકો નણંદના ઘરે રહેવા માટે ગયાં હતાં ત્યારે તસ્કરો ત્રાટક્યા હતા.
ચાંદખેડા વિસ્તારમાં આવેલા પરમેશ્વર ફ્લેટમાં રહેતા અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) વિભાગમાં સુપરિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા જીતરામ મોહનલાલ મીણાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. જીતરામ મીણા હાલ ચેન્નઇ ખાતે ફરજ બજાવે છે પરંતુ તેમની પત્ની સીમા અને બે બાળકો ચાંદખેડા ખાતે આવેલા પરમેશ્વર ફ્લેટમાં રહે છે. સીમા એસબીઆઇ બેન્કમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને દર બે મહિને જીતરામ મીણા અમદાવાદ પરિવારને મળવા માટે આવતા હોય છે.
આ ઘટનાની વિગતો મુજબ તારીખ 18 ફેબ્રુઆરીના રોજ સીમા બે બાળકોને લઇને મોટેરા ખાતે આવેલા શ્રીનાથ બંગ્લોઝમાં નણંદના ઘરે ગયાં હતાં. તારીખ ૨૪ ફેબ્રુઆરીના રોજ જીતરામ ચેન્નઇથી અમદાવાદ ફ્લાઇટ મારફતે આવી ગયા હતા અને સીધા શ્રીનાથ બંગ્લોઝમાં પત્ની અને બાળકોને લેવા માટે ગયા હતા. રાતે પરિવાર સાથે જીતરામ પરમેશ્વર ફ્લેટમાં ગયા ત્યારે દરવાજાનું લોક તૂટેલું હતું. જીતરામે ઘરમાં જઇને જોયું તો સામાન અસ્તવ્યસ્ત હતો અને તિજોરીનુ લોક ખુલ્લું હતું. તસ્કરો તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોક્ડ સહિત કુલ 1.91 લાખની મતાની ચોરી કરીને નાસી ગયા હતા.
પોલીસ તપાસ શરૂ
આ તરફ ચોરીની ઘટનાને લઈ જીતરામે તરત જ પોલીસને જાણ કરી દીધી હતી. જેથી ચાંદખેડા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ચોરીનો ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જીતરામનાં પત્ની અને બાળકો નણંદના ઘરે રોકાવા માટે ગયા ત્યારે તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરીનો ગુનો શોધવા માટેના પ્રયત્નો શરૂ કર્યો છે.