ભાજપે અમેઠીથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીને ફરી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જેના કારણે ફરી એક વખત ચૂંટણીને લઇને બે દિગ્ગજ નેતાઓ વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળશે. ભાજપ દ્વારા ગુરૂવારે પ્રથમ 184 ઉમેદવારોની યાદી બહાર પાડી હતી.
જેમાં અમેઠીથી સ્મૃતિ ઇરાનીને ટીકીટ આપવામાં આવી છે. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની 2014માં પણ અમેઠીથી લોકસભા ચૂંટણી લડ્યા હતા. જો કે એક રોમાંચક જોવા મળેલ ચૂંટણીમાં રાહુલ ગાંધી સામે સ્મૃતિ ઇરાની હારી ગયા હતા.
લોકસભા ચૂંટણી 2014માં રાહુલ ગાંધીને 4,08,651 મત મળ્યાં હતા જ્યારે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીને 3,00,748 મત મળ્યા હતા. આમ સ્મૃતિ ઇરાનીએ 1,07,903 મતથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
ઉત્તર પ્રદેશમાં આવી જ રીતે બીજી મુઝફફરનગર લોકસભા બેઠક પર રોમાંચક મુકાબલો જોવા મળશે. ભાજપે મુઝફફરનગર બેઠક પર પૂર્વ કેન્દ્રીય પ્રધાન સંજીવ બાલિયાનને સપા-બસપા-રાલોદ ગઠબંધનના ઉમેદવાર અજીત સિંહ સામે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. અજિત સિંહ આરએલડીના પ્રમુખ છે.
રાહુલ ગાંધી સામે અમેઠી લોકસભાની બેઠક સામે ટીકિટ મળતાં સ્મૃતિ ઇરાનીએ ટ્વિટ કરી જણાવ્યું કે, 'અમેઠીનું પ્રતિનિધિત્વ કરવાનું સન્માન મળ્યું, અમેઠીના કાર્યકર્તાઓનો પ્રેમ મળ્યો, હવે કમળનું ફુલ ખીલશે, નવો ઇતિહાસ બનશે. જ્યારે મથુરા બેઠક પરથી ફરીથી ટિકીટ મળતાં હેમા માલિનીએ પાર્ટીનો આભાર માન્યો. મથુરાની સાંસદ હેમા માલિનીને ભાજપ દ્વારા એકવાર ફરી ઉમેદવાર જાહેર કર્યા છે.