જેએનયુમાં વિદ્યાર્થીઓનો સપોર્ટ કરવા પહોંચેલી બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પર તાજેતરમાં જ ભાજપના સાંસદ સાક્ષી મહારાજે આરોપ લગાવ્યો હતો. હવે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ પણ દીપિકા પર નિશાન સાધ્યું છે.
દીપિકા ફરી ફસાઈ વિવાદોમાં
સ્મૃતિ ઈરાનીએ દીપિકા પર સાધ્યું નિશાન
સાક્ષી મહારાજે પણ દીપિકા પર લગાવ્યો હતો આ આરોપ
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, દીપિકા દેશના ભાગલા કરવા માંગે છે. એક કાર્યક્રમમાં સ્પીચ દરમિયાન સ્મૃતિ ઈરાનીએ દીપિકાને આડે હાથ લીધી હતી. સ્મૃતિ ઈરાનીએ કહ્યું, 'જેણે પણ આ સમાચાર (જેએનયુમાં દીપિકાનું જવું) વાંચ્યા હશે, તે અવશ્ય એ જાણવા માંગશે કે તે પ્રદર્શનકારીઓ વચ્ચે શા માટે ગઈ?' જોકે, આ અમારા માટે આશ્ચર્યની વાત નથી કે દીપિકા એ લોકોની વચ્ચે ઊભી હતી, જે ભારતના ભાગલા કરવા માંગે છે અને જેમણે લાઠીઓ વડે છોકરીઓના પ્રાઈવેટ પાર્ટ પર હુમલો કર્યો હતો.
ભાજપના નેતા તેજિંદર પાલ બગ્ગાએ સ્મૃતિ ઈરાનીની આ ટિપ્પણીનો એક વીડિયો ટ્વીટ કર્યો છે. તેમણે દીપિકાના રાજકીય ઈન્ટરસ્ટ અંગે ટિપ્પણી કરી- સ્મૃતિએ કહ્યું, 'વર્ષ 2011માં દીપિકાએ કહ્યું હતું કે, તે કોંગ્રેસને સપોર્ટ કરે છે.' સ્મૃતિએ જેએનયુ એટેક કેસ અંગે નિવેદન આપતાં કહ્યું હતું કે, તપાસ ચાલુ છે. તેમણે કહ્યું કે, પોલીસ દ્વારા જ્યાં સુધી તપાસના તમામ પાસાઓ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી કંઈપણ કહેવું યોગ્ય રહેશે નહીં.
સાક્ષી મહારાજે પણ આરોપ લગાવ્યો છે
તમને જણાવી દઈએ કે, સાક્ષી મહારાજે દીપિકા પાદુકોણ પર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, જેએનયુ ગયા પછી દીપિકાએ પોતાની જાતને લૂટાઈ ગઈ હોય એવું ફીલ કર્યું હશે. વિદ્યાર્થી નેતા કન્હૈયા કુમાર સાથે ઊભા રહીને તેની આત્મા રડી હશે.