આખુ વિશ્વ હાલ કોરોના સામે લડી રહ્યું છે તેવામાં એક તરફ સુરત મહાનગરપાલિકા અને સરકાર મોતના આંકડાઓમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ સુરતની સ્મીમેર હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે.
સુરતમાં સ્મીમેર હોસ્પિટલની ગંભીર બેદરકારી
ઓક્સિજન લાઈન બંધ થઈ જતા 2 દર્દીના મૃત્યુ
કોરોનાના 2 દર્દીનું ઓક્સિજન લાઈન બંધ થતા નિધન
સુરતમાં સ્મીમેર હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં ગંભીર બેદરકારી સામે આવી છે. સ્મીમેર હોસ્પિટલમાં ઓક્સિજન લાઈન બંધ થઈ જતા કોરોના વોર્ડમાં 2 દર્દીના મૃત્યુ થયા છે. પરિવારજનો દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, કોવિડ વોર્ડમાં દર્દીને ઓક્સિજન ન મળતા મૃત્યુ થયા છે. લીંબાભાઈ કાકાળિયાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ હતો અને બીજા પેશન્ટ નરસીભાઈ માગરોળિયાનો રિપોર્ટ નેગેટિવ હતો. સાંજના સમયે ઓક્સિજન બંધ થતાં નિધન થયાનો આરોપ લગાવાયો છે. મૃતકોના પરિવારે હોસ્પિટલ સામે કાર્યવાહી કરવા કરી માગ છે. મહત્વનું છે કે, રાજ્યમાં અમદાવાદ બાદ હવે સુરતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. તેવામાં આ પ્રકારની બેદરકારી બાદ શું જવાબદારો સામે કાર્યવાહી થશે?
કોરોના મહામારીમાં આંકડાનો ખેલ થતો હોય એવું સ્પષ્ટ થયું
તો બીજી તરફ સુરતમાં છેલ્લા 5 દિવસમાં મનપાની યાદીમાં 38 લોકોના મોત થયા છે. જ્યારે રાજ્ય સરકારના આંકડામાં સુરતમાં છેલ્લા 5 દિવસમાં 17નાં મોત બતાવે છે. 27મી જૂને 3 લોકોના સુરતમાં મોત થયા જ્યારે રાજ્ય સરકારની યાદીમાં મૃત્યુઆંક 2 છે. 28મી જૂને મહાનગરપાલિકાની યાદીમાં 5નાં મોત, રાજ્ય સરકાર 2ના મોત કહે છે. 29મી જૂનના મહાનગરપાલિકાના આંકડા અને રાજ્ય સરકારના આંકડામાં પણ મોટો ભેદ જોવા મળી રહ્યો છે. 30મી જૂનની પણ આવી જ સ્થિતિ સામે આવી રહી છે.