ગુજરાતમાં સતત કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે જેમાં પહેલા અમદાવાદ પછી સુરતમાં કોરોનાએ કહેર વર્તવાનું શરુ કરી દીધું છે. રાજ્યમાં સુરતમાં જાણે શહેર કોરોના હોટ સ્પોટ બની રહ્યું હોય તેમ કેસ સામે આવી રહ્યા છે. એવામાં વાયરસ સામે લડવા માટે તંત્ર દ્વારા નવો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
સુરતમાં કોરોના નાથવા માટે મનપાની કવાયત
122 જેટલી કમિટીનું કરવામાં આવ્યું ગઠન
સુરક્ષા કવચ કમિટી કરશે લોકોને જાગૃત
122 જેટલી કમિટીનું ગઠન
કોરોના વાયરસે સુરતને જાણે બાનમાં લીધું છે. વધતાં કેસને જોતા તંત્રની ઊંઘ હરામ થઇ ગઈ છે. એવામાં વધતા કોરોના વાયરસના કેસને જોતા મનપાએ કવાયત હાથ ધરી છે. મહાનગરપાલિકા દ્વારા સુરક્ષા કવચ કમિટીની રચના કરવામાં આવી છે. મનપાએ કોરોના સામે લડવા માટે 122 જેટલી કમિટીનું ગઠન કર્યું છે.
લોકોને કોરોનાથી બચવાના ઉપાયો વિષે સમજાવશે
કોરોના વાયરસ અત્યારે શહેરમાં પિક પર છે ત્યારે આ સુરક્ષા કમિટી ક્લસ્ટર ઝોનમાં જઈને કામ કરશે જ્યાં લોકોને કોરોના વાયરસને લઈને જાગૃત કરવાનું કામ કરવામાં આવશે. નોંધનીય છે કે એક તરફ જ્યાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યાં બીજી તરફ અનલોક-3 લાગુ કરી દેવામાં આવ્યું છે. એવામાં અનલોકને ધ્યાનમાં રાખીને લોકો કોરોનાને ભૂલીને નિયમો પાળવાનું બંધ ન કરે તે ઉદ્દેશથી લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરવામાં આવશે.
સુરત શહેરમાં જુલાઈ મહિનો બન્યો કોરોના ઘાતક
ગુજરાતમાં કોરોના મહામારી દિવસે ને દિવસે વકરતી જોવા મળી રહી છે. ત્યારે રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા પણ સતત વધી રહી છે. ત્યારે રાજ્યમાં જુલાઇ મહિનો કોરોનાને લઇને ઘાતક જોવા મળ્યો હતો. રાજ્યના સુરત શહેરમાં કોરોના સૌથી વધારે ઘાતક બન્યો છે. આ મહિનામાં કોરોનાના કુલ 6263 કેસ નોંધાયાં છે. આ સાથે કોરોનાના મૃત્યુદરમાં પણ જુલાઇ માસમાં વધારો જોવા મળ્યો છે.સુરત શહેરમાં જુલાઈ મહિનામાં કોરોનાએ કહેર મચાવ્યો છે. શહેરમાં જુલાઇમાં 6 હજાર 263 કોરોનાના કેસ નોંધાયા છે. શહેરમાં હાલ કુલ 10 હજાર 976 કેસ છે. જેમાંથી 58 ટકા કેસ જુલાઇમાં નોંધાયા છે.
આ ઉપરાંત મૃત્યુદરમાં પણ જુલાઇ મહિનામાં વધારો થયો છે. જુલાઈમાં 311 દર્દીના મૃત્યુ સરકારી ચોપડે નોંધાયા છે. જુલાઇમાં કોરોનાથી મૃત્યુદર 4.06 ટકાએ પહોંચ્યો છે. જ્યારે એપ્રિલમાં 3.93 ટકા, મે માસમાં 4.54 ટકા મૃત્યુદર રહ્યો છે. જ્યારે સુરતમાં જૂન માસમાં 3.44 ટકા મૃત્યુદર નોંધાયો છે.
CM રૂપાણી અને DYCM નીતિન પટેલે યોજી હતી બેઠક
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે જ સુરતની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે, સુરતમાં કોરોનાના ટેસ્ટ 10 ગણા વધારી દીધા છે. અગાઉ લેબોરેટરીની કેપેસિટી મર્યાદિત હોવાને લઇને 5-7 હજાર ટેસ્ટ કરતા હતા પરંતુ હવે 26 હજાર જેટલા ટેસ્ટ કરી રહ્યા છીએ. સુરતમાં અત્યારે પર મિલિયન 1200 ટેસ્ટ થાય છે.સીએમએ કહ્યું કે, સુરતમાં રિકવરી રેટ 60 ટકા હતો અને હાલ 70 ટકા પર પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં 73 ટકા પર પહોંચ્યો છે. જ્યારે પોઝિટિવ કેસ વધારના દરનો ગ્રોથ રેટ 4 ટકાથી ઘટીને 2 ટકા થયો છે.
સીએમએ કહ્યું કે, સુરતમાં 121 ધનવંતરી રથ કાર્યરત થયા છે. જેમાં 35-40 હજારની ઓપીડી કરી રહ્યા છીએ. તો બેડની કેપેસિટી 4856 બેડ હતી તે વધારીને 7030 બેડ કરવામાં આવી છે. હજુ પણ આવરનારા દિવસોમાં તેમાં વધારો કરીશું. હાલ સુરતમાં ગમે એટલું કોરોનાનું સંક્રમણ વધે તે માટે આપણે બેડની વ્યવસ્થા કરી ચૂક્યા છીએ.