નાની નાની બચત માટે સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સને ખાસ ગણવામાં આવે છે. આ સ્કીમ્સ સુરક્ષિત રોકાણ માટે સારી હોય છે અને તેમાંથી સારું રિટર્ન પણ મળે છે. જો તમે પણ સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સમાં રોકાણ કરો છો તો તમારા માટે સારા સમાચાર આવી શકે છે. આવનારા 3 મહિના એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીમાં પીપીએફ, એનએસસી, સુકન્યા જેવી સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સના વ્યાજદરને લઈને નિર્ણય લેવાશે.
માનવામાં આવે છે કે આ વખતે વ્યાજના દરમાં વધારો થઈ શકે છે. એટલે કે વ્યાજના રૂપમાં મળનારો નફો વધારે હોઈ શકે છે. અગાઉ જુલાઇ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વ્યાજ દર સ્થિર રાખવામાં આવ્યા હતા.
સરકાર દ્વારા નક્કી કરાય છે વ્યાજદર
અહીં જણાવી દઈએ કે નાની બચત યોજનાના વ્યાજ દરની સરકાર દ્વારા દર ત્રણ મહિને સમીક્ષા કરવામાં આવે છે. આ સમીક્ષામાં, વ્યાજ દરમાં વધારો અથવા ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે વ્યાજ દર વધે છે, ત્યારે રોકાણ કરનારા લોકોને વધુ નફો મળે છે. તે જ સમયે, વ્યાજને ઘટાડવાની સ્થિતિમાં નફો ઓછો થાય છે.
PPFની વાત કરીએ તો અત્યારે વ્યાજ દર 7.1 ટકા છે. જ્યારે સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ્સને માટે વ્યાજ દર 7.4 ટકા છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરનારાને 7.6 ટકા વ્યાજ મળે છે. આ યોજના ખાસ કરીને દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે શરૂ કરવામાં આવી હતી.