ઠંડીથી બચવા માટે લોકો ઘણા પેત્રા અજમાવે છે પણ ઘણી વખત તે લોકોના જીવ જોખમ મૂકી દે છે. આવો જ એક કિસ્સો વડોદરામાં બન્યો હતો જેમાં રૂમમાં ફેલાયેલ કાર્બન મોનોકસાઈડને કારણે દંપતીનું મોત નિપજ્યું હતું.
આ ઋતુમાં હીટરનો ઉપયોગ મોટાભાગના લોકો કરતા હોય છે
હીટર ચાલુ રાખીને સૂવાથી કે બંધ રૂમમાં તાપણા સળગાવવાથી જાય છે જીવ
રૂમમાં કાર્બન મોનોક્સાઇડ ગેસ ભરવાના સંકેતો-
હાડથિજાવતી ઠંડીથી બચવા માટે લોકો શું નથી કરતા. આ ઋતુમાં હીટરનો ઉપયોગ મોટાભાગના લોકો કરતા હોય છે. હીટર ઠંડીમાં રાહત તો આપે છે પરંતુ તે સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચાડે છે. જો તમે પણ શરીરમાં ગરમી લાવવા માટે હિટરનો કે તાપણાનો ઉપયોગ કરો છો તો ચેતી જજો..
ઠંડી આવતાની સાથે લોકો આ ભૂલને કારણે ગુમાવી રહ્યા છે જીવ
ગુજરાતમાં પણ ઠંડીનું જોર વધ્યું છે અને એવામાં ઠંડીથી બચવા માટે લોકો ઘણા પેત્રા અજમાવે છે પણ ઘણી વખત તે લોકોના જીવ જોખમ મૂકી દે છે. આવો જ એક કિસ્સો વડોદરામાં બન્યો હતો. વડોદરાના દશરથમાં ઘરમાં તાપણું કરી સુઈ ગયેલા દંપતીનું ધુમાડાથી રૂમમાં ફેલાયેલ કાર્બન મોનોકસાઈડને કારણે મોત નિપજ્યું હતું. આવો જ એક કિસ્સો બિકાનેરમાં પણ બન્યો હતો જેમાં 5 લોકોના મૃત્યુ થયા હતા. એ પહેલા યુપીના સીતાપુરમાં પણ આવી જ એક ઘટનામાં 4 લોકો એ જીવ ગુમાવ્યા હતા. શિયાળો શરૂ થયો ત્યારથી આવા ઘણા સમાચાર સામે આવ્યા છે અને એ બધાની પાછળનું કારણ કાર્બન મોનોકસાઈડને કારણે શ્વાસ રૂંધાવવું છે.
ભૂલથી પણ ન કરવી જોઈએ આ ભૂલ
સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં ઠંડીથી બચવા અને ગરમી મેળવવા માટે લોકો ઘરના બારી-બારણાં બંધ કરીને રૂમ હીટરનો ઉપયોગ કરે છે અને તાપણા સળગાવવા લાગે છે પણ ડોકટરો આ અંગે ચેતવણી આપે છે કે આખી રાત રૂમમાં હીટર ચાલુ રાખીને સૂવાથી કે બંધ રૂમમાં તાપણા સળગાવવાથી તેમાંથી નીકળતા હાનિકારક ગેસને કારણે પણ વ્યક્તિનો શ્વાસ પણ રૂંધાઈ શકે છે અને તેના કારણે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે.
શ્વાસ રૂંધાવવા પાછળનું કારણ શું?
જ્યારે બંધ રૂમમાં હીટર કે તાપણાનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેમાં રહેલ ઈંધણ અને ઑક્સીજન કાર્બન મોનોકસાઇડ નામનો ઝેરી ગેસ ઉત્પન્ન કરે છે. કાર્બન મોનોકસાઇડ એક એવો ઝેરી ગેસ છે જેનો કોઈ રંગ કે ગંધ નથી હોતો પણ એ કાર્બન મોનોક્સાઈડ ગેસ વ્યક્તિના શરીરમાં લોહીનો પુરવઠો અટકાવી દે છે જેના કારણે મગજ સુધી લોહી પહોંચી શકતું નથી અને આ સ્થિતિમાં બ્રેઈન હેમરેજ અને અચાનક મૃત્યુનું જોખમ વધી જાય છે.
હીટર કેમ જોખમી છે?
જણાવી દઈએ કે હીટરમાંથી કાર્બન મોનોક્સાઇડ ગેસ બહાર આવે છે જેને કારણે હૃદય સંબંધિત બિમારીઓથી પીડિત લોકોને છાતીમાં દુખાવોનો સામનો કરવો પડી શકે છે. જો કે હૃદય સંબંધિત રોગો અને ધૂમ્રપાનથી પીડિત લોકો માટે તે સૌથી વધુ જોખમી છે. આ સિવાય બાળકો અને વૃદ્ધો માટે આ ગેસ ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે. જણાવી દઈએ કે ગેસ હીટરનો ઉપયોગ કરવાથી ઊંઘમાં મૃત્યુનું જોખમ ઘણું વધી જાય છે. આ સિવાય રૂમમાં હીટર ચાલુ રાખીને સૂવાથી તમારે શુષ્ક ત્વચા, એલર્જી અને આંખમાં બળતરા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
કેવી રીતે બચવું
આ સમસ્યાથી બચવા માટે હીટર ચાલુ રાખીને તેની પાસે પાણીની એક ડોલ રાખવી જોઈએ. જેના કારણે રૂમમાં ભેજ અકબંધ રહે.
રૂમ હીટરનો ઉપયોગ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
રૂમમાં રૂમ હીટરનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખો કે હીટરની આસપાસ કાગળ, ધાબળો કે ફર્નિચર વગેરે રાખવાનું ટાળવું જોઈએ. આ બધી વસ્તુઓને હીટરથી 2 થી 3 ફૂટ દૂર રાખો. આ સાથે જ હીટરને કાર્પેટ, લાકડા અથવા પ્લાસ્ટિક પર ન રાખવું જોઈએ.