રાતની ઊંઘ ખરાબ કરનાર નસકોરાં ગંભીર બીમારીઓની ચેતવણી પણ હોઈ શકે છે તેને ઓએસએ (ઓબ્સ્ટ્રેક્ટિવ સ્લીપ એપ્નિયા) કહેવાય છે.
સૂતી વખતે અચાનક શ્વાસ રોકાય તેને ઓએસએ કહેવાય છે. શ્વાસમાં સમસ્યા થાય તો વ્યક્તિ નસકોરાં બોલાવે છે. હાલના અભ્યાસ મુજબ આ પરેશાની હૃદયની બીમારીઓ, સ્ટ્રોક, ડાયાબિટીસ અને કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું કારણ બની શકે છે.
અમેરિકન એકેડેમી ઓફ સ્લીપ મેડિસિનના જણાવ્યા મુજબ લગભગ ૯ ટકા મહિલાઓ અને ૨૪ ટકા પુરુષો ઓએસએથી પીડાય છે. મોટા ભાગે પ્રૌઢ અને મોટી ઉંમરના લોકો તેનો શિકાર થાય છે. સમય સમયે તેની તપાસ ન કરાવવી તે પણ મોટી સમસ્યા છે. લગભગ ૧૦માંથી ૯ લોકોની બીમારીનો ઈલાજ કરી શકાય તેવી હોય છે, પરંતુ તપાસ ન થવાના કારણે આવા લોકો ઈલાજથી વંચિત રહી જાય છે.
ઓએસએની બાબતમાં નસકોરાં સૌથી મહત્ત્વનું લક્ષણ છે. નસકોરાં ભલે હળવાં હોય કે બહુ તેજ તેની અવગણના ન કરવી જોઈએ. સમય સમયે તપાસ કરાવવાથી ગંભીર સમસ્યાઓથી બચવું શક્ય બની શકે છે. આ ઉપરાંત રાતમાં પૂરતી ઊંઘ લીધા બાદ પણ સવારે જાગવાથી થાક અનુભવાય છે, તે પણ ઓએસએનાં લક્ષણોમાં સામેલ છે.
વજનને નિયંત્રણમાં રાખવું તે સ્લીપ એપ્નિયાથી બચવાની અસરકારક રીત છે. અભ્યાસ કહે છે કે અડધાથી વધુ જાડા લોકોને વજન ઘટાડવાથી સ્લીપ એપ્નિયાની પરેશાનીથી રાહત મળે છે. કેટલીક બાબતોમાં માત્ર વજન ઘટાડવાથી પરેશાની દૂર થતી નથી. આ પરેશાની માટે બજારમાં કેટલાંક ડિવાઈસ પણ ઉપલબ્ધ છે.