હવામાનની જાણકારી આપતી પ્રાઈવેટ એજન્સી સ્કાઈમેટે ((Skymet) ચોમાસાનું અનુમાન જાહેર કર્યું છે.
સ્કાઈમેટે કહ્યું છે કે, જૂન-સપ્ટેમ્બરમાં ચોમાસુ સામાન્યથી ઓછુ રહેવાની આશા છે. સ્કાઈમેટે આ વર્ષે 93 % વરસાદનું અનુમાન દર્શાવ્યું છે. એજન્સીએ કહ્યું કે, લાંબા સમયની એવરેજના મુકાબલે ચોમાસુ 93 % રહેવાનું અનુમાન છે. સ્કાઈમેટે કહ્યું કે, અલનીનોના કારણે ચોમાસુ સામાન્યથી નીચે રહી શકે છે.
સામાન્ય, એવરેજ અથવા પછી સારા ચોમાસાનો મતલબ છે કે, 50 વર્ષના લાંબા સમયની એવરેજનો લગભગ 96 %થી 104 % વરસાદ હોવો. 50 વર્ષનો એવરેજ વરસાદ ચાર મહિનાના ચોમાસા દરમ્યાન 89 સેન્ટીમીટર અથવા 35 ઈંચ વરસાદ છે. સારા ચોમાસાની આ પરિભાષા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. જ્યારે 90 %થી ઓછો વરસાદ થાય તો, દેશમાં થોડી દુકાળની પરિસ્થિતિ રહે છે.
અર્થવ્યવસ્થા પર શું અસર પડે છે?
સામાન્યથી નબળા ચોમાસાની સીધી અસર ગ્રામ્ય વસ્તી પર પડે છે. ચોમાસું સારું રહે છે તે ગ્રામ્ય વિસ્તારોના લોકોની આવકમાં વધારો થાય છે, જેના કારણે માંગમાં વધારો થાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં આવક વધવાની ઉદ્યોગજગત પર પણ સારી અસર પડે છે.
શેર બજાર પર ચોમાસાની અસર:
ચોમાસું અને ખપત આધારિત ક્ષેત્ર વચ્ચે સીધો સંબંધ છે.ચોમાસું સારું રહે છે તો ખપત ક્ષેત્રની માંગ વધશે. જો ચોમાસું નબળું રહે છે તો ખપત ઓછી થાય છે. ગ્રામ્ય વિસ્તારોની માંગ કે ખરીદ શક્તિ ઓછી થવાને કારણે કૃષિ ઉપકરણો, ટૂ-વ્હિલર્સ અને ટ્રેક્ટર્સ નિર્માતા કંપનીઓ, કેમિકલ, ફર્ટિલાઇઝર અને FMCG કંપનીઓમાં આવક ઓછી થાય છે.
- આવક ઘટતા આ ક્ષેત્રનો વેપાર ઘટે છે અને આ ક્ષેત્રની કંપનીઓની શેરની કિંમતોમાં ઘટાડો થાય છે. આની આખા શેરબજાર પર ખરાબ અસર પડે છે.