છત્તીસગઢના નક્સલ પ્રભાવિત નારાયણપુર જિલ્લામાં તહેનાત ITBP ના જવાનો વચ્ચે કોઇપણ વાતને લઇને અંદરો-અંદર ઝઘડો થઇ જતાં સામ-સામે ફાયરિંગ શરૂ કરી દીધું. જો કે એક મળતી જાણકારી મુજબ અંદરોઅંદર ફાયરિંગના કારણે 6 જવાનોના મોત થઇ ગયા છે અને બે અન્ય જવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત જવાનોને સારવાર માટે રાજપુર ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
સૂત્રોને મળતી જાણકારી મુજબ નારાયણપુર જિલ્લાના મુખ્યાલયથી 60 કિમી દૂર કડેનાર ક્ષેત્રમાં ITBP ના જવાન નક્સલ પ્રભાવિત વિસ્તારમાં તહેનાત હતા. અહીં કેમ્પને લઇને કોઇ વાત પર અંદરોઅંદર વિવાદ એટલો બધો વધી ગયો કે તે લોકોએ સામ-સામે ફાયરિંગ શરૂ કરી દીધું.
આ ઘટનાની પુષ્ટિ નારાયણપુર જિલ્લાના અધિક્ષક મોહિત ગર્ગે કરી છે. મોહિત ગર્ગે જણાવ્યું કે બુધવારના રોજ સવારે કેમ્પમાં જવાનો વચ્ચે અંદરો-અંદર થયેલા ફાયરિંગમાં છ જવાનના મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય બે જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ જવાનોને ઇલાજ માટે રાયપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.