આણંદ જિલ્લાના બોરસદમાં શુક્રવારે આભ ફાટતાં બાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને લઈ ઠેરઠેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. બોરસદના સિસ્વા ગામે તારાજી સર્જાઈ છે.
આણંદના બોરસદમાં આકાશી આફત
બોરસદમાં 12 ઈંચ વરસાદે તારાજી સર્જી
બેટમાં ફેરવાયું સિસ્વા ગામ, 300 લોકોનું રેસ્ક્યૂ
વરસાદની રાહ તો સૌ કોઈ જોઈ રહ્યા હતા પણ આણંદ જિલ્લામાં વરસાદ આફત સ્વરૂપે વરસ્યો. વરસાદે સમગ્ર આણંદ જિલ્લાને બાનમાં લીધું છે. તેમાં પણ સૌથી વધુ વરસાદ જો ક્યાંય થયો હોય તો તે બોરસદ છે. બોરસદમાં 12 ઈંચથી વધુ વરસાદ થતાં સિસ્વા ગામ બેટમાં ફેરવાયું હતું. બોરસદ તાલુકામાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સમગ્ર બોરસદ તાલુકો પાણી-પાણી થઈ ગયો છે. વરસાદે સિસ્વા ગામના લોકોનો આશરો પણ છીનવી લીધો. અહીં અંદાજે 300થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું. વરસાદના કારણે આણંદ જિલ્લાના 300થી વધુ ગામ પ્રભાવિત થયાં છે. જેમાં સૌથી વધુ સિસ્વા ગામમાં અસર થઇ છે. ભારે વરસાદથી ખેતરોમાં પણ પાણી ભરાયા છે. આથી હાલ NDRFની ટીમને કામમાં લગાડવામાં આવી છે.
સિસ્વા ગામનું એક પણ મકાન એવું નથી રહ્યું જ્યાં પાણી ન ભરાયું હોય
સિસ્વા ગામની સ્થિતિ વર્ણવી શકાય તેમ નથી. 12 ઈંચ વરસાદ બાદ બોરસદનું તળાવ ઓવરફ્લો થયું અને સિસ્વા ગામમાં પાણીનો ભરાવો થઈ ગયો. સિસ્વા ગામ સમુદ્રમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્ય દેખાઈ રહ્યા છે. ગામમાં ક્યાંક કેડ સમા તો ક્યાંક છાતિ સમા પાણી ભરાયા છે. સિસ્વા ગામનુ એક પણ મકાન એવું બાકી નહીં રહ્યું હોય જ્યાં પાણી નહીં ભરાયા હોય. લોકો પાસે બે દિવસથી ખાવા માટે અનાજ નથી.
જોકે, શનિવારે બીજા દિવસે પણ પણ ગામમાં 15 થી 18 ફૂટ પાણી ભરાયેલું છે, જેથી ગામલોકો પોતાના ઘરમાં પણ જઈ શકતા નથી. લોકો ઘરવખરી છોડીને જીવ બચાવા માટે આમ તેમ ભાગી રહ્યા છે. તો કેટલાક લોકો જરૂરી સામાનને પોતાની સાથે લઈને પોતાનો આસરો છોડીને ચાલી નિકળ્યા છે.
લોકો રોડ પર ઝૂંપડા બાંધીને રહેવા મજબૂર
રોડની સાઈડમાં બાંધેલા આ ઝૂંપડા દર્શાવે છે કે લોકો બેઘર થઈ ગયા છે. વરસાદ એવી તો આફત લઈને આવ્યો કે લોકોને પોતાનો આસરો છોડીને ઉંચાણવાળા વિસ્તારમાં રોડની સાઈડમાં ઝૂંપડા બાંધીને રહેવાનો વારો આવ્યો. આ ગરીબ પરિવારનું પાણીમાં બધુ જ છીનવાઈ ગયું.
તંત્રએ કાંસની સફાઈ ન કરતા પાણી ગામમાં ફરી વળ્યુંઃ સ્થાનિક
બોરસદમાં આભ ફાટ્યા બાદ સિસ્વા ગામ બેટમાં ફેરવાયું છે. બોરસદમાં 12 ઈંચ વરસાદ પડતાં જ આસપાસના ગામડાઓના પાણી સિસ્વા ગામમાં ભરાઈ ગયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રએ કાંસની સફાઈ ન કરતા પાણી ગામમાં ફરી વળ્યું છે. જો તંત્રએ કાંસ સાફ કર્યો હોત તો પાણી કાંસ મારફતે સમુદ્ર સુધી વહી ગયું હોત. જોકે તેમ ન થયું અને ખેતરમાં ડાંગર, બાજરી અને તમાકુના પાક ધોવાઈ ગયા હતા. સ્થાનિકોનો આક્ષેપ છે કે જો કાંસ સાફ કરેલો હોત તો આ પાણી ગામમાં ન ભરાયું હોત. જેથી તંત્ર પર આંગળી ચિંધાઈ રહી છે. તો ગ્રામજનો પણ સિસ્વા ગામમાંથી પાણી ઝડપથી ઓસરે તેવી આશા રાખીને બેઠા છે.
સિસ્વા ગામે પૂરમાં એક યુવકનું મૃત્યુ, ગરીબ લોકોને આપવા જોતો હતો ભોજન
સિસ્વા ગામમાં ભારે વરસાદ અને પૂર સમયે એક યુવક પણ તણાઈ ગયો હતો. 23 વર્ષના કિશન બારીયા નામના યુવાનનું પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું. કિશન બારીયા ગરીબ લોકોને જમવાનુ આપવા જતા સમયે પાણીમાં ડૂબી ગયો હતો. બોરસદમાં વનતલાવડી વિસ્તારમાં મોત થયેલ યુવાનને 4 લાખની સહાય ચૂકવાશે.
સિસ્વા ગામમાંથી 300 પરિવાર થયા અસરગ્રસ્ત
સિસ્વા ગામમાંથી 300 જેટલા પરિવાર પ્રભાવિત થયા છે. આ તમામ લોકોને પટેલ વાડી સમાજની વાડી અને હાઈસ્કુલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તંત્ર દ્વારા જમવા અને ફૂડ પેકેટની વ્યવસ્થા કરી આપી હતી. કેટલાક સ્થળોએ બચાવ કામગીરી માટે NDRFની ટીમોની મદદ લેવી પડી હતી. લોકોની મદદ માટે NDRF ની ટીમ સિસ્વા ગામે સ્ટેન્ડ બાય રહેશે.
મામલતદારની મમતા સામે આવી, બાળકીને ઉંચકીને સુરક્ષિત સ્થળે લાવ્યા
આણંદના બોરસદના સિસ્વા ગામની પટેલ વાડીમાં લોકોનું સ્થળાંતરણ કરાયું હતું. રેસ્કયૂ દરમિયાન મામલતદારની મમતા સામે આવી હતી. મામલતદાર આરતી ગોસ્વામીએ બાળકીને ઉંચકી લીધી હતી. બાળકીને ગોદમાં ઉંચકી સુરક્ષિત સ્થળે લાવ્યા હતા.
શનિવારે કલેક્ટર અને ધારાસભ્યે અસરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત
શનિવારે કલેક્ટર વાય.એમ દક્ષિણી અને ધારાસભ્ય રાજેન્દ્ર પરમારે સિસ્વા ગામે પહોંચ્યા હતા. જ્યાં કલેક્ટરે સ્થળાંતર કરાયેલા લોકોની મુલાકાત લીધી હતી. અસરગ્રસ્તો માટે કરાયેલી વ્યવસ્થાની સમીક્ષા કરી. કલેક્ટરે સરપંચ અને ગામ લોકોની મુલાકાત લીધી.
CM ભુપેન્દ્ર પટેલે વર્તમાન સ્થિતિની વિગતો મેળવી
રાહતકાર્ય, પશુ મૃત્યુ સહાય, સ્થળાંતર વિશે કર્યા સુચન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ જિલ્લામાં બોરસદ અને આસપાસના ગામોમાં વરસાદને કારણે પાણી ભરાવાની સ્થિતીમાં ઘરોમાં ફસાયેલા લોકોની મદદ માટે NDRFની એક ટુકડી વડોદરાથી આવી છે અને બચાવ રાહત કાર્યોમાં જોડાઇ છે તેની પણ વિસ્તૃત માહિતી મેળવી હતી. તેમણે આ ભારે વરસાદથી બોરસદ તાલુકામાં એક માનવ મૃત્યુ તેમજ 90 જેટલા પશુઓના મૃત્યુ થયા છે. તેની જાણકારી જિલ્લા કલેક્ટર પાસેથી મેળવી હતી. આ સંદર્ભમાં ભૂપેન્દ્ર પટેલે નિયમાનુસારની મૃત્યુ સહાય ઝડપથી ચુકવાઇ જાય તે માટેની સુચનાઓ આપી હતી.
ભોજન, આરોગ્ય સુરક્ષા, વીજ-પાણી પુરવઠા અંગે આપ્યુ માર્ગદર્શન
મુખ્યમંત્રીએ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાઓ સાથોસાથ રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય તંત્રને પણ દવા છંટકાવ સહિતની આરોગ્યલક્ષી કામગીરી માટે તૈનાત રહેવા સુચનો કર્યા હતા. તો કાચા-પાકા ઝૂંપડા, મકાનોને નુકશાન તથા વધુ હાનિના કિસ્સાઓમાં પ્રાથમિક સર્વે સત્વરે હાથ ધરવા અને કેશડોલ્સ ચુકવણી વગેરે માટે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જે ગ્રામજનો પોતાની ઘરવખરી અન્યત્ર સલામત સ્થળે લઇ જવા ઇચ્છતા હોય તેમને જિલ્લા વહિવટી તંત્ર તરફથી શ્રમિકો વાહન વગેરેનો પ્રબંધ કરી આપવા પણ જિલ્લા કલેકટરને મુખ્યમંત્રીએ સૂચવ્યું હતું. તેમણે જે લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે તેમને ભોજન વગેરેની વ્યવસ્થાનો પણ જાયજો મેળવ્યો હતો.