જેતપુરના જેતલસરમાં એક યુવતીની 28 જેટલા છરીના ઘા મારીને રહેંસી નાખનારા કેસમાં આરોપી તો ઝડપાઈ ગયો છે. પરંતુ હવે તે આરોપીને ફાંસીની સજાની માગ થઈ રહી છે. હવે આ મામલે SITની રચના કરાઇ છે.
જેતલસરમાં સગીરાની નિર્મમ હત્યાને લઈને તપાસ
કિશોરીની હત્યાનો મામલે SITની રચના
આરોપીની ફાંસીની સજાની માંગ
જેતલસરની દીકરીને ન્યાય ક્યારે? જેતલસરની દીકરીના ગુનેગારને ફાંસી ક્યારે? એ હેવાનને ફાંસી આપો... યુવતીને ન્યાય આપો.. બસ આજ માગ આખું ગુજરાત કરી રહ્યું છે. કારણ કે, જે રીતે એક તરફી પ્રેમમાં હેવાન બનેલા જયેશ સરવૈયાએ 28 જેટલા છરીના ઘા મારીને યુવતી નામની દીકરીની હત્યા કરી નાખી છે. તેને લઈને આખા ગુજરાતમાં રોષ છે. સૌકોઈ યુવતીના હત્યારાને ફાંસી આપવાની માગ કરી રહ્યા છે. તેવામાં હવે આ મામલે કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ(SIT)ની રચના કરવામાં આવી છે. રાજકોટ SP બલરામ મીણા તપાસનું સુપરવિઝન કરશે.
કિશોરીની હત્યાનો મામલે સ્પેશિયલ ટીમની રચના
હત્યા મામલે ASP સહિત 7 સભ્યોની ટીમ તપાસ કરશે. સજ્જડ પુરાવા અને કેસની ઝડપી તપાસ માટે ટીમ બનાવી છે. હાલ તપાસ સ્થાનિક પોલીસ પાસેથી ક્રાઇમ બ્રાંચ PI અજયસિંહ ગોહિલને સોંપાઇ છે. SITમાં રૂરલ ક્રાઇમ બ્રાંચ પીઆઇ અજયસિંહ ગોહિલ, મહિલા પીએસઆઈ કદાવલા, ક્રાઇમ બ્રાંચના રાઇટર રસીકભાઇ જમોડ, જેતપુર પોલીસના રાઇડર વિજયસિંહ જાડેજા, ગોંડલ પોલીસના રાઇટર હરેન્દ્રસિંહ જાડેજા, ઉપલેટાના પોલીસના રાઇટર ભાવેશભાઇ અને એક મહિલા કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. આ SIT એસ.પી. બલરામ મીણાના સુપરવિઝન હેઠળ તેમજ જેતપુર વિભાગના ASP સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ તપાસ કરશે. તો બીજી તરફ આજે આરોપી જયેશ સરવૈયાના રિમાન્ડ પૂર્ણ થશે. પોલીસ વધુ રિમાન્ડની માગ કરશે.
રાજકોટ રેન્જ IGએ ઝડપી તપાસનું આપ્યું હતું આશ્વાસન
2 દિવસ અગાઉ રાજકોટ જિલ્લા રેન્જ IG સંદીપસિંહ જેતલસર ગામની મુલાકાત લીધી હતી. સગીરાની કરાયેલી નિર્મમ હત્યાને લઈ પરિવારજનોને મળી સાંત્વના આપી હતી. રેન્જ આઈ.જીએ એ ઘટનાસ્થળની પણ મુલાકાત લીધી હતી જ્યાં આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. આરોપીએ કેવી રીતે આ ઘટનાને અંજામ આપ્યો તેની સમગ્ર માહિતી મેળવી હતી. રેન્જ આઈ.જીએ આ સમગ્ર ઘટનાની તપાસ રાજકોટ ગ્રામ્ય LCBને સોંપી છે. જ્યારે દેખરેખ રાજકોટ પોલીસ અને જેતપુર ASP કરશે. તો આ કેસ માટે ખાસ PPની પણ નિમણૂક કરવામાં આવશે. સાથે મૃતક પરિવારને તાત્કાલિક ન્યાય મળે તે માટે પોલીસ દ્વારા તાત્કાલિક ચાર્જ સીટ રજુ કરવા સહિતની કામગીરીમાં ઝડપ લાવવામાં આવશે.
જેતપુરના જેતલસર ગામમાં યુવતીની હત્યા મામલે હવે તેના પિતાએ VTV સાથે વાતચીત કરી હતી. યુવતીના પિતાની માગ છે કે આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવે. ગામમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ગ્રામજનો પણ ઈચ્છી રહ્યા છે કે આરોપીને ફાંસી મળે.
CR પાટીલે આરોપીને કડક સજાની આપી બાંહેધરી
જેતપુરના જેતલસર ગામમાં યુવતીની હત્યાનો મામલો રાજ્યભરમાં ચર્ચાઈ રહ્યો છે. ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ આજે જેતલસર ગામમાં ગયા હતા. જ્યાં પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી. સાથે જ આરોપી વિરુદ્ધ કડકમાં કડક સજા કરવામાં આવશે. સાથે જ ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની બાંહેધરી આપી હતી. મહત્વનું છે કે, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ પીડિત પરિવારની મુલાકાત કરી હતી. તેવામાં જોવાનું એ રહેશે કે, આ કૃર હત્યારાને કેવી સજા મળે છે અને આ પરિવારને ક્યારે ન્યાય મળે છે.
શું બની હતી ઘટના?
16 વર્ષિય યુવતીનો હત્યારો જયેશ સરવૈયા યુવતીની માતાનો પિતરાઈ ભાઈ થાય છે. જેતલસરમાં જ રહીને કડિયા કામ કરતો હતો. માતાનો પિતરાઈ ભાઈ હોવાથી તે વારંવાર તેમના ઘરે આવતો હતો. આ દરમિયાન તેને યુવતી સાથે એક તરફી પ્રેમ થઈ ગયો હતો. ત્યારબાદ તે વારંવાર યુવતીનો પીછો કરી તેને પરેશાન કરતો હતો. યુવતીએ માતા-પિતાને ફરિયાદ કર્યા બાદ, તેના પિતાએ જયેશના પિતાને ફરિયાદ કરી હતી. જે બાદ જયેશને તેના પિતાએ માર મારી ઘરમાંથી કાઢી મુક્યો હતો. બસ આજ બાબતને લઈને ગુસ્સામાં આવેલ જયેશે યુવતીના ઘરે જઈને તેની છરી વળે કૃરતાથી હત્યા કરી નાખી. યુવતીની હત્યા દરમિયાન તેના નાનાભાઈ પર પણ જયેશે છરીના 6 ઘા માર્યા હતા. પરંતુ તે પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો હતો. જ્યારે હેવાને યુવતીને છરીના 28 ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હાલ યુવતીનો હત્યારો ઝડપાય ગયો છે. પરંતુ તેનો પરિવાર અને પિતા આરોપીને ફાંસી આપવાની માગ કરી રહ્યા છે.