જયંતિ ભાનુશાળી હત્યાનાં મામલે રેલવે SITનાં બે વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. જીગર પટેલ અને નિતેન પટેલ નામનાં બે વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. મહત્વનાં સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે બન્ને ઇસમો ભાનુશાળીનાં ભાગીદાર હોવાનું સામે આવ્યું છે. કચ્છની જમીનમાં બન્ને વ્યક્તિઓની ભાગીદારી હતી. બન્ને વ્યક્તિઓની શંકાનાં આધારે ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ભાજપનાં પૂર્વ ધારાસભ્ય જ્યંતિ ભાનુશાળી હત્યા કેસમાં 2 નામો બહાર આવ્યાં બાદ પણ વધુ એક નામ બહાર આવ્યું હતું. આ હત્યા કેસમાં વધુ એક વ્યક્તિની અટકાયત કરાઈ છે.
સિકંદર નામનાં વ્યક્તિની અટકાયત કરીને પોલીસે પૂછપરછ કરી હતી. પોલીસ ખાસ કરીને અંગત અદાવત જમીન વિવાદ અને પૈસાની લેતી-દેતીનાં મુદ્દાઓને તપાસી રહી છે. પોલીસે અત્યાર સુધી ભાનુશાલી મર્ડર કેસમાં કુલ 5 લોકોની અટકાયત કરી છે.
નોંધનીય છે કે અગાઉ આ કેસમાં 2 વ્યક્તિઓનાં નામ પણ સામે આવ્યાં હતાં. પોલીસની તપાસમાં શેખર મોરે અને સુરજીત નામનાં વ્યક્તિનાં નામ સામે આવ્યાં હતાં. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસે ઉત્તરપ્રદેશથી એક શખ્સની અટકાયત પણ કરી હતી.
બીજી બાજુ ભાજપનાં પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યામાં ઉમેશ પરમાર પર શંકા સેવાઈ હતી. એટલું જ નહીં પરંતુ ઉમેશ પરમાર સામે ભાનુશાળીનાં પરિવારજનોએ ફરિયાદ પણ નોંધાવી છે ત્યારે આ મામલે VTV સાથે વાત કરતા ઉમેશ પરમારે જણાવ્યું હતું કે મારા પર લગાવવામાં આવી રહેલાં તમામ આરોપ ખોટાં છે હું નિર્દોષ છું અને મને ખોટી રીતે ફસાવવામાં આવી રહેલ છે. જો કે ઉમેશ પરમારે પણ જયંતિ ભાનુશાળીનાં ભત્રીજા સામે ફરિયાદ નોંધાવી છે.
આ ઉપરાંત મળતી માહિતી અનુસાર જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં તપાસ એજન્સીઓમાં પણ ખેંચતાણ ચાલી રહી છે. કેસને ઉકેલવા માટે તપાસ એજન્સીઓમાં અંદરો અંદર ખેંચતાણ થઈ રહી છે. SIT સહિતની તપાસ એજન્સીઓ ડિટેક્શનને લઈને અંદરોઅંદર ઈર્ષ્યાની ભાવના ફેલાઈ છે તો કેસમાં નિવેદન લેવા સિવાય SITની કોઈ કામગીરી રહી નથી. જ્યારે અધિકારીઓ પણ આરોપીઓ બાબતે એકબીજાને ખો આપી રહ્યાં છે.