આમ આદમી પાર્ટીના મનીષ સિસોદિયાની ધરપકડ પાછળ ષડયંત્ર હોવાના ધગધગતા આરોપ સાથે આપએ હત્યાની આશંકા વ્યક્ત કરી રાજનીતિમાં ભૂકંપ સર્જી દીધો છે.
દારૂ કાંડમાં આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની ધરપકડ મામલો
આપના નિવેદનથી રાજનીતિમાં ભૂકંપ
દિલ્હી દારૂ કાંડમાં આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની 26 ફેબ્રુઆરીના રોજ ધરપકડ કરવામાં આવી છે. જેની લાંબી પૂછપરછ બાદ તેઓને જેલ હવાલે કરાયા હતા. જે હાલ તિહાડ જેલમાં બંધ છે. ત્યારે આ મામલે આમ આદમી પાર્ટી સરકારને બરાબરાની ઘેરી રહી છે. આ દરમિયાન ભાજપ સિસોદિયાની હત્યા કરી શકે તેવી AAPના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે આશંકા વ્યક્ત કરતા હાલ આ મુદ્દો દેશભરમાં ગાજી રહ્યો છે અને રાજનીતિક ભૂકંપ સર્જાયો છે.
સિસોદિયાની ધરપકડને મોટું ષડયંત્ર
સૌરભ ભારદ્વાજે સિસોદિયાની ધરપકડને મોટું મોટું ષડયંત્ર ગણાવ્યું છે. હોળીના દિવસે પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે મનીષ સિસોદિયાને કોઈ ષડયંત્ર હેઠળ તિહારની જેલ નંબર એકમાં ધકેલાયા છે. જોકે પ્રથમ ટ્રાયલ લોકોને આવી જેલમાં રખાતા નથી. વધુમાં તેમણે દાવા સાથે કહ્યું કે આ જેલમાં ખૂંખાર અને ખતરનાક ગુનેગારો જેલવાસ ભોગવી રહ્યા છે.તેમણે વધુમાં જણાવ્યું કે સિસોદિયાને એવા ખૂંખાર આરોપીઓની વચ્ચે રાખવામાં આવ્યા છે જે એક નાનકડા ઈશારા પર હત્યા કરવામાં પણ ખાંચખાતા નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ પ્રહાર
વધુમાં તેમણે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ પ્રહારો કરતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મામલે કેમ મૌન ધરીને બેઠા છે? રાજનીતિમાં નુકસાન ન પહોંચાડી શકતા હોવાથી જેલ મોકલવાનો કારસો રચી અને હત્યાનું ષડયંત્ર ચાલી રહ્યું હોય તેવા આરોપ લગાવ્યા છે.બીજી તરફ બીજેપી નેતા હરીશ ખુરાનાએ નિવેદન આપીને કહ્યું કે આ આરોપ તમારી વિચારશેલી દર્શાવે છે. તિહાર જેલ દિલ્હી સરકાર હેઠળ આવે છે. તે બધા જાણે જ છે તો આવા આરોપ પહેલા વિચારવું જોઈએ અને કોર્ટના નિર્ણયનું માન જાળવવું જોઈએ.
20 માર્ચ સુધી સિસોદિયા ન્યાયિક કસ્ટડીમાં
નોંધનીય છે કે, સોમવારે જ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સિસોદિયાને 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. સિસોદિયાની ગયા મહિને 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. સોમવારે થયેલી સુનાવણીમાં સીબીઆઈના વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલે સિસોદિયાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. સીબીઆઈના વકીલે કહ્યું હતું કે સિસોદિયાના વધુ રિમાન્ડની માંગ કરવામાં આવી રહી નથી, પરંતુ આગામી 15 દિવસમાં જો જરૂર પડશે તો ફરીથી કસ્ટડીની માંગ કરી શકાય છે.