તંત્રના વાંકે આણંદ જિલ્લાના આંકલાવના બીલપાડ તાબેના સંતપુરા પ્રા. શાળાના નવા ઓરડાનું કામ છેલ્લા દોઢ વર્ષથી ખોરંભે ચડ્યુ છે.જેને લઇને એક વર્ગમાં બે ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે.
આણંદ જિલ્લામાં પ્રાથમિક શાળાઓની દયનીય હાલત સામે આવી
સંતપુરા પ્રા. શાળામાં ઓરડાનો અભાવ
એક વર્ગમાં બે ધોરણના વિદ્યાર્થીઓ ભણવા મજબૂર
સ્માર્ટ વર્ગ ખંડની વાતો વચ્ચે આંકલાવ તાલુકાના બીલપાડની સંતપુરા પ્રાથમિક શાળામાં સરકારના દાવાની પોલ ખૂલી રહી છે. સંતપુરાની આ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5નો અભ્યાસ કરાવવામાં આવે છે અહીં કુલ 92 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને તમામ વિદ્યાર્થીઓ માટે શાળામાં માત્ર એક જ ઓરડો હાલ ઉપલબ્ધ છે જેને લઈ ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓને ઘર આંગણે આવેલ આ શાળાથી અન્યત્ર દૂર આવેલ શાળામાં ખસેડવામાં આવ્યા છે જ્યારે એક જ વર્ગમાં ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓને સામુહિક રીતે અભ્યાસ કરવા મજબુર બનવું પડ્યું છે.
કોન્ટ્રાક્ટરનું મૃત્યું થતા શાળાનું અધુરું કામ અટક્યું
આમ તો આ શાળા માટે નવા ઓરડાની મંજૂરી દોઢ વર્ષ પહેલાં જ મળી હતી અને તેનું કામ પણ શરૂ થઈ ગયું હતું પરંતુ નવા ઓરડાનું કામ પ્લીન્થ લેવલ સુધી આવ્યા બાદ કોન્ટ્રાકટરનું અચાનક મૃત્યુ થતા આ નવા બની રહેલ ઓરડાનું કામ અટકી પડ્યું છે. એક તરફ તંત્ર સ્માર્ટ વર્ગોની વાત કરે છે ત્યારે બીજી તરફ અધૂરા આ કામને પૂર્ણ કરવા તંત્ર પાસે સમય નથી જેને લઈ બાળકોને અભ્યાસ માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે અહીં મધ્યાહન ભોજન યોજના માટે પણ કોઈ વ્યવવસ્થાના હોય સંચાલકોને નજીકના ઘરમાં મધ્યાહન ભોજન બનાવી શાળા સુધી પહોંચાડવું પડી રહ્યું છે ત્યારે અહીંના લોકોની એકજ માંગ છે કે વહેલી તકે અધૂરી આ શાળાનું કામ પૂર્ણ કરવામાં આવે.
સળગતા સવાલો
આંકલાવના બીલપાડ તાબેના સંતપુરા પ્રા. શાળાની કેમ આવી હાલત?
ધો-1થી 5ના 90થી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કેમ થઇ રહ્યા છે ચેડા?
છેલ્લા દોઢ વર્ષથી તંત્રને કેમ નથી ઓરડાનું કામ પૂર્ણ કરવામાં રસ?
સંતપુરા પ્રા. શાળામાં ઓરડાનું અધુરું કામ ક્યારે થશે પૂર્ણ?
મધ્યાહન ભોજન યોજના માટે પણ કેમ શાળામાં નથી કોઇ વ્યવવસ્થા?
AC ચેમ્બરમાં બેસતા અધિકારીઓ-નેતાઓ ક્યા?રે સમજશે વિદ્યાર્થીઓની મુશ્કેલી?
એક વર્ગમાં બે ધોરણના વિદ્યાર્થીઓ ભણવા કેમ બન્યા મજબૂર