ગરબાના આયોજનને લઇ સૌ કોઇ મુંઝવણમાં છે. સરકારે પણ ગરબાને લઇ કોઇ સ્પષ્ટતા કરી નથી. કોરોનાના કારણે આ વર્ષે ગરબાનું આયોજન કરવું મુશ્કેલ છે. ઓછા સમયમાં પરવાનગીની પ્રક્રિયા કરવી મુશ્કેલ છે. આયોજન કરવા કરતા ખેલૈયાઓનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. જોકે કલાકારો ઇચ્છી રહ્યાં છે કે ગરબાનું આયોજન થવું જોઇએ. તેવામાં હવે ગાયકો, મ્યુઝિક આર્ટિસ્ટ અને ગરબા એસોશિએશનો નવરાત્રીની મંજૂરીની માંગ કરી રહ્યા છે.
નવરાત્રીની મંજૂરી મેળવવા માટે નવતર કાર્યક્રમ
4 શહેરોમાં અખંડ મંત્ર જાપ
72 ગાયકો, 48 મ્યુઝિક આર્ટિસ્ટ જોડાયા
કોરોનાને લઈને આ વખતે નવરાત્રીની પરમીશન મળશે કે નહીં તે અંગે લોકોમાં ભારે સવાલો થઈ રહ્યા છે. જોકે કોરોના લૉકડાઉન બાદ વિવિધ ક્ષેત્રમાં અનલોક પ્રક્રિયા ચાલુ થઇ છે પરંતુ કલાક્ષેત્ર હજુ પણ છૂટછાટની પ્રતિક્ષામાં જ છે, ત્યારે રાજ્યના સંગીત કલાકારોએ સરકાર પાસેથી નવરાત્રીની મંજૂરી મેળવવા માટે નવતર કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
કલાકારોએ સરકારને આવેદનપત્ર આપવાના બદલે કલાની દેવી સરસ્વતિ માતાની અખંડ મંત્ર સાધનાનો માર્ગ અપનાવ્યો હતો. રાજ્યના ચાર શહેરો અમદાવાદ, વડોદરા, પાટણ અને મહેસાણામાં સતત 12 કલાક સુધી સંગીતમય મંત્રજાપ યોજાયા હતા. અમદાવાદમાં ભવન્સ કોલેજ ખાતે દર કલાકે 6 ગાયકો અને ચાર મ્યુઝિક આર્ટિસ્ટ એટલે કે દિવસમાં કુલ 72 ગાયકો અને 48 મ્યુઝિક આર્ટિસ્ટ દ્વારા મંત્રજાપ કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમને ફેસબુક પર હજારો લોકોએ નિહાળ્યો હતો.
ગરબા ફિટનેસ ક્લાસની માગી પરવાનગી
તો બીજી તરફ ગરબા એસોસિએશને મુખ્યમંત્રીને લખાયો પત્ર લખ્યો હતો. તેમણે ગરબા ક્લાસિસને પરમીશન આપવાની વાત કરી છે. રાજકોટના ગરબા એસોસિએશનનું કહેવું છે કે ગરબા ક્લાસિસમાંથી 5 હજાર લોકોને રોજીરોટી મળે છે. તો ગરબાને લઈને લોકોને ફિટનેસ જળવાશે અને માનસિક તણાવમાંથી પણ મુક્તિ મળશે તેવો દાવો કર્યો છે. ગરબા એસોસિએશન પ્રમુખ રાજ ગઢવીએ પત્ર લખ્યો છે. કોવિડ હોસ્પિટલમાં પણ કોરોનાગ્રસ્તને ગરબા કરાવાય છે. ગરબા કરવાથી સ્વાસ્થ પ્રફુલ્લિત અને ફીટ રહી શકે છે. સામાજિક અંતર સાથે ગરબા ક્લાસને મંજૂરી મળે. તો બીજી તરફ અમદાવાદમાં ચણીયાચોળીના વિક્રેતાઓ સરકારની નિર્ણયની રાહ જોઇ રહ્યા છે.