ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ધીરે ધીરે ઘટી રહ્યું છે. જોકે હજુ સુધી કોરોના નાબૂદ નથી થયો. ત્યારે રાજ્યમાં કોરોના ગાઇડલાઇનના ભંગના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સના ભંગના વિવાદમાં આવનાર કિંજલ દવે નિવેદન આપ્યું છે.
હિંમતનગરના ઈડરમાં કિંજલ દવેના કાર્યક્રમનો મામલો
નિયમોના ઉલ્લંઘન મામલે કિંજલ દવેએ લાગણી વ્યક્ત કરી
કલાકારો અને રાજનેતાઓના કાર્યક્રમો કેમ નથી દેખાતા?: કિંજલ દવે
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. આગામી ચૂંટણીઓને લઇને રાજકીય પાર્ટીઓ રેલીઓ અને કાર્યક્રમ કરી રહી છે. બીજી તરફ કલાકારોના કાર્યક્રમમાં પણ સોશિયલ ડિસ્ટન્સ સહિતની કોરોના ગાઇડલાઇનનો ભંગ થઇ રહ્યો છે. તો શહેરોમાં નેતાઓ-કાર્યકર્તાઓ દ્વારા રાત્રિ કર્ફ્યુનો ભંગ થઇ રહ્યો છે. તેવામાં ઇડરના રોઝવિલા બંગ્લોઝમાં મંજુરી વિના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સિંગર કિંજલ દવે સહિતના કલાકારો હાજર હતા. આ કાર્યક્રમમાં હજારો લોકોએ મહામારી સામે નિયમોના લીરેલીરા ઉડાવ્યા. આ કાર્યક્રમની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી. જેમાં સ્ટેજ શો કરનારા 4 લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે હવે નિયમોના ઉલ્લંઘન મામલે કિંજલ દવેએ લાગણી વ્યક્ત કરી છે.
માત્ર કલાકારોને હેરાન કરવાનું બંધ કરોઃ કિંજલ દવે
કોરોના નિયમ ભંગ મુદ્દે કિંજલ દવેએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, 11 મહિના મારા ગ્રુપના 20થી 25 લોકોની રોજગારી બંધ છે, તેઓ બેરોજગાર છે. માત્ર બેથી ત્રણ કલાકારોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. 11 મહિના બાદ પ્રથમ કાર્યક્રમ કર્યો તેમાં પણ ટાર્ગેટ કરવામાં આવ્યા છે. અન્ય કલાકારો અને રાજનેતાઓના કાર્યક્રમો કેમ નથી દેખાતા? નેતાઓ પણ સામાજિક અંતરનું પાલન નથી કરતા. વિરોધ કરવો હોય તો તમામ લોકોનો કરો. માત્ર કલાકારોને હેરાન કરવાનું બંધ કરો. કિંજલ દવેએ આ વાત પોતાના ફેસબુક સ્ટેટ્સમાં લખીને મુકી છે.
ઈડરની રોઝવિલા બંગ્લોઝમાં કિંજલ દવેનો હતો કાર્યક્રમ, જુઓ Video...