જાણીતા ગાયક કલાકાર વિજય સુવાળા આમ આદમી પાર્ટીથી છેડો ફાડ્યો છે. રાજીનામા મુદ્દે વિજય સુવાળાએ VTV સાથેની વાતચીતમાં મોટું નિવેદન આપ્યું છે.
AAPમાંથી વિજય સુવાળાનું રાજીનામું
ગાયકીમાં સમય ન આપી શકાતા નિર્ણય
ગીતો અને આલ્બમોમાં થશે વ્યસ્ત
ગુજરાતમાં વિધાનસભા ચુંટણી 2022 પહેલા રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને(AAP) એક મોટો આંચકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીમાં જોડાયેલા જાણીતા ગાયક કલાકાર વિજય સુંવાળાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. વિજય સુંવાળા છેલ્લા કેટલાક સમયથી આંતરિક વિખવાદના પગલે નારાજ હતાં જેને લઈને આમ આદમી પાર્ટીમાં ઘણા સમયથી નિષ્ક્રિય થઈ ગયા હતાં. તેવામાં હવે રાજીનામા મુદ્દે વિજય સુંવાળાએ VTV સાથેની વાતચીતમાં મોટું નિવેદન આપ્યું છે.
AAP નેતા વિજય સુવાળાનું AAPમાંથી રાજીનામુ
AAPમાંથી રાજીનામા મુદ્દે વિજય સુવાળાએ VTV સાથે વાત કરતા જણાવ્યું કે, નવા પક્ષને ખૂબ જ સફળતા મળી છે. હું AAPમાંથી રાજીનામું આપુ છું. હું શાંતિથી મારા કાર્ય કરવાનો છું. લોકોએ મને ગીતોમાં પ્રેમ આપ્યો છે. કોઇપણ પક્ષ મહેનત કરશે તો સફળતા મળશે. મને કોઇ રાજનૈતિક દબાણ નથી. ગુજરાતના દરેક પક્ષ મને પ્રમે આપશે.
ઇસુદાન ગઢવી સાથે બેઠક બાદ વિજય સુવાળાએ કહ્યું કે, નિર્ણય અંગે પુનઃ વિચાર કરીશ
લોકગીત ગાયક વિજય સુવાળાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામાની જાહેરાત કરતાની સાથે જ આપ નેતાઓ તેમને મનાવવાના પ્રયાસોમાં લાગી ગયા હતા. આપ નેતા ઈશુદાન ગઢવી વિજય સુવાળાને અમદાવાદ સ્થિત તેમના નિવાસસ્થાને મનાવવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે સુવાળા સાથે 45 મિનિટ બંધબારણે બેઠક યોજી હતી, અહીં તેમને મનાવવાના પ્રયત્નો કર્યા. બેઠક બાદ સુવાળાએ જણાવ્યું કે તેઓ પોતાના નિર્ણય અંગે પુનઃર્વિચાર કરશે.
તો ઇસુદાને પણ જણાવ્યું કે માલધારી સમાજના અગ્રણી વિજયભાઈને આપે ઉત્તર ગુજરાતની જવાબદારી સોંપી હતી. તેઓ વ્યસ્તતાને કારણે યોગ્ય સમય ના આપી શકતા હોવાથી રાજીનામાંની વાત કરી હતી. જો કે અમને વિશ્વાસ છે કે તેઓ આપ નો સાથ નહીં છોડે.
વિજય સુવાળા છેલ્લા ઘણા સમયથી નારાજ
ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી નેતા વિજય સુંવાળા ગાંધીનગર મહાનગર પાલિકાની યોજાયેલી ચુંટણીમાં મતદાન કુટીરની અંદરના EVMનો ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. જેમાં આપને વોટ આપતો હોય તેવો ફોટો પોસ્ટ કરતા વિવાદ ઉભો થયો હતો. જેમાં આપ નેતા વિજય સુંવાળા પર ચૂંટણી આચારસંહિતાનો ભંગની ફરિયાદ પણ કરવામાં આવી હતી.