કૌન બનેગા કરોડપતિ 11માં શુક્રવારે કર્મવીર સ્પેશ્યલ એપિસોડમાં સમાજ સેવિકા સિંધુતાઈ સપકાલે ભાગ લીધો. શોમાં અમિતાભ બચ્ચને પોતે ઉભા થઈને તેમનું સ્વાગત કર્યું. અમિતાભ તેમને પગે લાગ્યા અને તેમને હોટ સીટ પર બેસાડ્યા.
સિંધુતાઈનું જીવન ઘણી મુશ્કેલીઓથી ભરેલું રહ્યું છે. કેબીસીમાં સિંધુતાઈએ પોતાની વાર્તા સંભળાવી અને સાથે દરેકના રૂંવાડા ઊભા કરી દીધા. તેઓએ કહ્યું 'હું 20 વર્ષની હતી અને મારી દીકરી મમતા 10 દિવસની. તે સમયે મારા સાસરીવાળાઓએ મને ઘરમાંથી કાઢી મૂકી, મારી માએ પણ મને ઘરમાંથી કાઢી મૂકી. તે મને પ્રેમ કરતા ન હતા. મને સમજાયું નહીં કે હું શું કરું, આટલી નાની છોકરીને લઈને ક્યાં જઉં? મારી પાસે કોઈ જગ્યા ન હતી જ્યાં હું રહી શકું અને ખાઈ શકું. ત્યારે હું ટ્રેનમાં ફરતી અને પેટ ભરવા માટે મેં ટ્રેનમાં ગાવાનું શરૂ કર્યું.'
'મારી પાસે ઘર ન હતું. હું ભિખારીઓની સાથે ખાવાનું ખાતી હતી. દિવસ નીકળી જતો પણ રાતનો સવાલ આવતો. હું 20 વર્ષની હતી. પુરુષોથી મને ડર લાગતો હતો. સમજાતું ન હતું કે ક્યાં જાઉં. હું શ્મશાનમાં જઈને સૂતી. કારણ કે રાતે ત્યાં કોઈ આવતું નહીં. કોઈ મને રાતે ત્યાં જોતું તો ભૂત -ભૂત કરીને ભાગી જતું.'
પોતાના અનુભવો વર્ણવતા તેઓએ કહ્યું -'શ્મશાનમાં રહેનારી બાઈ શું કરી શકે? હું ભૂખી રહેતી એટલે અન્યની ભૂખનો અંદાજ મને હતો. મેં હળી મળીને ખાધું અને અનાથોની મા બની ગઈ. જેનું કોઈ ન હતું તેને માટે હું મા હતી.'
સિંધુતાઈએ દરેક અનાથ બાળકોની દેખરેખનું કામ શરૂ કર્યું. પણ જ્યારે તેઓએ કામ શરૂ કર્યું તો સૌ પહેલાં તેમને લાગ્યું કે પોતાની દીકરી સાથે રહેશે તો અન્ય બાળકોને એમ ન લાગે કે તેમની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. માટે તેઓએ સૌથી પહેલાં દીકરી મમતાને પોતાનાથી દૂર કરી.
સિંધુતાઈને અનાથોની માતા કહેવામાં આવે છે. સિંધુતાઈ જ્યારે કોઈ બાળકને સડકના કિનારે રડતા કે અનાથ જુએ છે તો તેને પોતાનું બનાવી લે છે. તેમના પરિવારમાં 207 જમાઈ, 36 વહૂઓ અને 450થી પણ વધારે પરપોત્રો અને પરપૌત્રીઓ છે. અને સૌથી વધારે 1200થી વધારે બાળકો છે.