ગુજરાતના કેટલાંક બંદરો પર તંત્રએ 3 નંબરનું સિગ્નલ આપતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. સાથે 40થી 60 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની પણ આગાહી કરી છે.
ગુજરાતના કેટલાંક બંદરો પર તંત્રએ આપ્યું 3 નંબરનું સિગ્નલ
તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઇ
ગુજરાતમાં ધીર-ધીરે ચોમાસું જામી રહ્યું છે. એમાંય રાજ્યમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં વધારે માત્રામાં પડી રહ્યો છે. ત્યારે હવે દરિયાઇ કાંઠાના વિસ્તારોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે. રાજ્યમાં વેરાવળ બંદર, દમણના દરિયા કિનારે તેમજ મુંદ્રા, નવલખી, બેડી, દ્વારકા, ઓખા, પોરબંદર, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, ભાવનગર, ભરૂચ અને દહેજ સહિતના બંદરો પર એલર્ટ પર હોવાથી બંદરો પર 3 નંબરના સિગ્નલ આપી દેવાયા છે. સાથે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના અપાઇ છે.
રાજ્યમાં સૌરાષ્ટ્રના કેટલાંક બંદરો પર 3 નંબરનું સિગ્નલ અપાયું
તમને જણાવી દઇએ કે, રાજ્યમાં વરસાદનું આગમન થઇ ગયું છે. રાજ્યના કેટલાંક વિસ્તારોના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. એવામાં રાજ્યમાં સૌરાષ્ટ્રના કેટલાંક બંદરો પર 3 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. અરબી સમુદ્ર (Arabian Sea) માં લો-પ્રેશર સર્જાયું છે જેના લીધે વેરાવળ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. લો-પ્રેશરના પગલે દરિયો તોફાની બન્યો છે. આથી, 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની આગાહી કરવામાં આવી.
બીજી બાજુ વલસાડ જીલ્લામાં પણ વરસાદી માહોલ જામતા જિલ્લાના 70 કિલોમીટરના દરિયાકાંઠામાં માછીમારોને દરિયો ન ખેડવા તંત્રએ સૂચના આપી છે. દમણના દરિયાકિનારે ત્રણ નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. તંત્રએ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઇ છે. પર્યટકોને પણ દરિયાકિનારે નજીક જવાની મનાઇ ફરમાવી છે. આગામી 4 દિવસ સુધી દમણનો દરિયો પણ તોફાની રહેવાની શક્યતા સેવાઇ રહી છે. મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા માછીમારોને એલર્ટ આપવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આગામી 48 કલાક સુધીમાં 40થી 60 કિ.મીની ઝડપે પવન ફુંકાઇ શકે છે
બીજી બાજુ ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશના કારણે દરિયો તોફાની બન્યો છે. આથી, દરિયામાં કરંટ વધતા વહીવટી તંત્રએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આગામી 48 કલાક સુધીમાં 40થી 60 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઇ શકે છે. આ સાથે જામનગર સહિત સૌરાષ્ટ્રભરના બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે.
1લી જૂનથી જામનગરના બંદરો પર માછીમારી માટે પ્રતિબંધ લગાવી દેવાયો હતો. 1 જૂન બાદ માત્ર નાની બોટ અને તરાપાવાળાને જ મંજૂરી હતી. જો કે, હવે નાની બોટને પણ દરિયામાંથી બહાર આવી જવાની સૂચના અપાઇ છે. સૌરાષ્ટ્રના મુંદ્રા, નવલખી, બેડી, દ્વારકા, ઓખા, પોરબંદર, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, ભાવનગર તેમજ દહેજ અને ભરૂચ, સહિતના બંદરો એલર્ટ પર છે.
જાણો3 નંબરનું સિગ્નલ કયારે લગાડાય છે ?
વિષમ હવામાન તથા ઝડપી પવનોના કારણે દરિયો તોફાની બને અને દરિયામાં મોજા ઉછળવાની શક્યતા રહેલી હોય ત્યારે બંદર ભયમાં હોવાનું દર્શાવવા માટે 3 નંબરનું સિગ્નલ અપાય છે. સ્થાનિક સચેતક સપાટીવાળી હવાના કારણે બંદર ભયમાં હોવાની માહિતી આપવા માટે બંદરે આ સિગ્નલ લગાડવામાં આવે છે.
જાણો કયા-કયા સિગ્નલ ક્યારે અપાય છે?
સિગ્નલ નંબર-01
પવનની ગતિ 1 થી 5 કિલોમીટરની હોય ત્યારે આ એક નંબરનું સિગ્નલ લગાવાય છે બહુ ગંભીર નથી હોતો પવન
સિગ્નલ નંબર-02
પવનની ગતિ 6થી 12 કિલોમીટરની ઝડપે ફુકાતો હોય ત્યારે, બંદર ઉપર 2 નંબરનું સિગ્નલ લગાવાય છે.
સિગ્નલ નંબર-03
આ પ્રકારનુ સિગ્નલ ત્યારે લગાવાય છે, જ્યારે પવનની ઝડપ 13 થી 20 કિલોમીટરની ઝડપે ફુકાતો હોય.
સિગ્નલ નંબર-04
ચાર નંબરનું સિગ્નલ, દરિયાકાંઠે 21 થી 29 કિલોમીટરની ઝડપે પવન ફુકાતો હોય ત્યારે લગાવાય છે.
સિગ્નલ નંબર-05
બંદર ઉપર પાંચ નંબરનું સિગ્નલ ત્યારે લગાવાય છે, જ્યારે ફુંકાતા પવનની ગતી 30 થી 39 કિલોમીટરની હોય છે.
સિગ્નલ નંબર-06
જ્યારે દરિયામાં પવનની ઝડપ 40થી 49 કિલોમીટરની હોય ત્યારે બંદર ઉપર ભયસુચક 6 નંબરનું સિગ્નલ લગાવાય છે.
સિગ્નલ નંબર-07
જ્યારે વહેતા પવનની ઝડપી 50 થી 61 કિલોમીટરની હોય ત્યારે બંદર ઉપર સાત નંબરનું સિગ્નલ લગાવવામાં આવે છે.
સિગ્નલ નંબર-08
દરિયામાં કે દરિયાકાંઠે ફુકાઈ રહેલા પવનની ઝડપ જ્યારે 62થી 74 કિલોમીટરની વચ્ચે હોય ત્યારે બંદર ઉપર આઠ નંબરનું ભયસુચક સિગ્નલ લગાવાય છે.
સિગ્નલ નંબર-09
જ્યારે પવનની ઝડપ 75 થી 88 કિલોમીટર સુધીની હોય ત્યારે બંદર ઉપર ભયસૂચક 09 નંબરનું સિગ્નલ લગાવાય છે.
સિગ્નલ નંબર-10
જ્યારે દરિયામાં ફુકાતા પવનની ગતી, 89 થી વધુ પરંતુ 102 કિલોમીટર સુધીની હોય ત્યારે બંદર ઉપર 10 નંબરનું સિગ્નલ લગાવાય છે.
સિગ્નલ નંબર -11
સમુદ્રમાં ફુકાતા તોફાની પવનની ઝડપ 103 થી 118 કિલોમીટર સુધીની હોય છે. જ્યારે આટલી ઝડપે પવન ફુકાઈ રહ્યો હોય ત્યારે બંદર ઉપર 11 નંબરનું સિગ્નલ લગાવાય છે.
સિગ્નલ નંબર-12
જ્યારે તોફાની પવનની ઝડપ 119થી 220 કિલોમીટર ની હોય ત્યારે બંદર ઉપર 12 નંબરનું સિગ્નલ લગાડવામાં આવે છે. મોટાભાગે 11 નંબર સુધીના જ સિગ્નલ ભારતમાં લગાવાય છે. ક્યારેક જ 12 નંબરનું સિગ્નલ લગાવાય છે. અગાઉ પવનની ગતીને ધ્યાને લઈને કુલ 17 નંબર સુધીના સિગ્નલો રાખવાનું નક્કી કરાયુ હતું. પરંતુ મોટે ભાગે ભય સુચક સિગ્નલનો વપરાશ 12 નંબર સુધીનો કરવામાં આવે છે. ભારતમાં સામાન્ય રીતે 11 નંબર સુધીના જ સિગ્નલનો ઉપયોગમાં લેવામાં આવે છે.