આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં શ્વેતા બ્રહ્મભટ્ટ અને હાર્દિક પટેલ ભાજપની વિચારધારા સાથે જોડાશે
હાર્દિક પટેલ આજે ભાજપમાં જોડાશે
કમલમ ખાતે જોડાશે ભાજપમાં
કોબા સર્કલથી સમર્થકો સાથે રેલી પણ કાઢશે
હાર્દિક પટેલે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પદેથી રાજીનામું આપીને હવે ભાજપનો કેસરીયો પહેરવાનું નક્કી કરી લીધું છે હાર્દિકને ભાજપમાં જોડવા માટે અલગ પ્રોગ્રામ કરવામાં આવે તેવી હાર્દિક એ જીદ પકડી છે, આ પહેલા શ્વેતા બ્રહ્મભટ્ટ અને હાર્દિક પટેલ બંને જોડે જ ભાજપમાં જોડાવાના હતા, પણ હવે હાર્દિકની જીદના કારણે ભાજપે નમતું જોખ્યું છે અને આજે હવે 11 વાગે શ્વેતા બ્રહ્મભટ્ટ કમલમના હોલમાં ભાજપનો કેસરીયો ધારણ કરશે, જ્યારે 12 વાગે હાર્દિક પટેલ ભાજપમાં એન્ટ્રી લેશે
હાર્દિક પટેલ પહેલ સંતોના આશીર્વાદ લેશે બાદમાં રેલી કાઢશે
બંને નેતાઓએ તાજેતરમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે કેસરિયા કરશે. હાર્દિક પટેલ કોબા સર્કલથી સમર્થકો સાથે રેલી કાઢશે જે પહેલા SGVP ખાતે સંતોના આશીર્વાદ લેવા જશે. તે બાદ 2 હજાર કાર્યકર્તા સાથે ભાજપમાં જોડાશે.
એક મહિનાથી અનેક વખત આપ્યા હતા સંકેત
મહત્વનું છે કે, જે વ્યક્તિએ સત્તાધારી પક્ષ સામે હંમેશા માછલા ધોવાનું કામ કર્યું હોય, જે વ્યક્તિએ અનામત માટે સત્તાધારી પક્ષ સામે જ મહાઆંદોલન કર્યું હોય અને પક્ષ સામે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કર્યા બાદ તે વ્યક્તિ અચાનક જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દે છે અને ત્યારબાદ રામ મંદિર, CAA, NRCનાં વખાણ કરતો હોવાથી તેના આગામીનિર્ણયના સંકેત સ્પષ્ટ થઈ જાય છે. હાર્દિક પટેલ ભાજપમાં જોડાવાના છે તેવી ચર્ચાઓ મહિનાઓથી ચાલી રહી હતી. હવે હાર્દિક આજે કેસરિયો ધારણ કરવા જઈ રહ્યો છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, હાર્દિકના પક્ષપલટાથી ભાજપને કેટલો ફાયદો થાય છે.
ત્યાં અંદરોઅંદર ખૂબ નાનું રાજકારણ હતું: શ્વેતા બ્રહ્મભટ્ટ, પૂર્વ કોંગ્રેસ નેતા
તેમણે પોસ્ટમાં જણાવ્યું હતું કે જો મારો રાજીનામાં આપવાનો નિર્ણય સાચો છે કે કેમ તેની મને થોડીક પણ શંકા બાકી હતી, તો તે વડા પ્રધાન મોદીજી સાથેની મારી મુલાકાત પછી પક્ષના કેટલાક વરિષ્ઠ આગેવાનો (વરિષ્ઠ મહિલા આગેવાન સહિત)ની ટિપ્પણીઓ દ્વારા તે સ્પષ્ટ થઈ ગયું હતું કે હું યોગ્ય નિર્ણય લઈ રહી છું. અસંતોષ વ્યક્ત કરવો એ એક બાબત છે પરંતુ તેને વ્યક્ત કરવા માટે તમે જે ભાષાની પસંદગી કરો છો, તે સામેવાળા કરતા એક વ્યક્તિ તરીકે તમારા વિશે ઘણુંબધું કહી જાય છે. આ એ જ લોકો છે જેમને જ્યારે હું પાર્ટીમાં જોડાઈ ત્યારે મારાથી સમસ્યાઓ હતી, આ એ જ લોકો છે જેઓ જ્યારે પણ મને પાર્ટીમાં કોઈ કામ સોંપવામાં આવે ત્યારે સતત તેમનું નાનું રાજકારણ રમતા હતા, અને હવે એ જ લોકો જે ખરેખર ખૂબ ખુશ છે કે હું છોડી રહી છું. પરંતુ હું તેમને દોષ નથી આપતી, હું લીડરશિપ ને પ્રશ્ન કરું છું જેમણે તેમને ફ્રી પાસ આપ્યા છે. આ ચાલુ રહ્યું, તો તમે ક્યારેય પણ સારા લોકોના પક્ષ સાથે જોડાવા અને કોઈપણ રીતે યોગદાન આપવાની અપેક્ષા ના રાખી શકો. તે સમજવાનો સમય પાકી ગયો છે.
શ્વેતા બ્રહ્મભટ્ટ કોણ છે ?
2017માં વિધાનસભા ચૂંટણીમાં મણિનગર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા
મણિનગર બેઠક પરથી ભાજપ ઉમેદવાર સુરેશ પટેલ સામે દાવેદારી કરી હતી
શ્વેતા યુવા અને શિક્ષિત મહિલા હોવાથી કોંગ્રેસે તેમને સીધી ટિકિટ આપી હતી
શ્વેતાએ હાયર એજ્યુકેશનમાં ઉચ્ચ અભ્યાસ કર્યો છે
વર્ષ 2012માં બેંગાલુરૂ સ્થિત IIMમાંથી પોલિટીકલ લીડરશીપ ફોર વુમનનો કોર્સ પૂર્ણ કર્યો
વર્ષ 2003માં BBA, વર્ષ 2006માં MCAનો કોર્ષ પૂર્ણ કર્યો
વર્ષ 2013માં ફેલો એન્ટરપ્રેન્યોરશીપનો અભ્યાસ કર્યો
વર્ષ 2016માં એન્ટરપ્રેન્યોરશીપ ડેવલોપમેન્ટ પ્રોગ્રામનો અભ્યાસ કરેલો છે
શ્વેતા બ્રહ્મભટ્ટ AMCના પૂર્વ હેલ્થ કમિટીના ચેરમેન નરેન્દ્ર ભ્રહ્મભટ્ટના દીકરી છે
નરેન્દ્ર બ્રહ્મભટ્ટ AMCમાં કોંગ્રેસના વર્ષ 2000થી 2005ના શાસનમાં હેલ્થ કમિટીના ચેરમેન હતા