શહેરી વિકાસ વિભાગના સચિવને રૂબરૂ હાજર રહેવા HCનો હુકમ
30 જાન્યુઆરીના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે
રાજ્યમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામા આવી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી કામગીરી પર હાઈકોર્ટ નારાજ છે. હાઈકોર્ટ દ્વારા અનેકવાર ટકોર કરી હોવા છતાં ગોકળગાયની ઝડપે થતું કામ યોગ્ય નહી હોય તેમ હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે ગેરકાયદેસર ચાલતા કતલખાના અને મીટ શોપ્સને બંધ કરવાની હાઈકોર્ટ દ્વારા અનેકવાર ટકોર કરી હોવા છતાં સરકાર શા માટે ઢીલાશ દાખવે છે? કાયદેસર કરતા ગેરકાયદેસર મીટ શોપ્સ વધુ છે તેવી હાઈકોર્ટ દ્વારા ટકોર કરી છે.
સબંધીત વિભાગના અધિકારીને પણ હાજર રહેવા ફરમાન
રાજ્યમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના મામલે હાઈકોર્ટે દ્વારા સબંધીત વિભાગના અધિકારીને પણ હાજર રહેવા ફરમાન જારી કર્યું છે. ત્યારે આગામી 30 જાન્યુઆરીના રોજ યોજાનાર વધુ સુનાવણીમાં ફ્રુટ સેફ્ટી કમિશનર તેમજ શહેરી વિકાસ વિભાગના સચિવને રૂબરૂ હાજર રહેવા હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે.
અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં કરાઇ હતી અરજી
ગેરકાયદે ચાલતા કતલખાના વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અગાઉ અરજી કરવામાં આવી હતી. રાજ્યમાં 354 જેટલા કતલખાના અને પોલ્ટ્રી હાઉસના ફૂડ સેફટી હાઉસના ફૂડ સેફટી એકટ અંતર્ગત લાઇસન્સ રજીસ્ટ્રેશન થયા હોવાની કોર્ટમાં મૂકવામાં આવી છે. સામે બાજીએ અત્યાર સુધીમાં માત્રને માત્ર 12 કતલખાનાને જ લાઇસન્સ અપાઈ હોવાનું સામે આવ્યું હતું. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ રાજય સરકાર ગેરકાયદેસર કતલખાના સામે કાર્યવાહી કરતી ન હોવાનો અરજીમાં અરજદારે દાવો કર્યો હતો. આ અરજીમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા સહીતના જિલ્લામાં ગેરકાયદેસ ચાલતા કતલખાનાની જાહેરાત કરાઇ હતી.
કતલખાના સમિતિ પણ માર્ગદર્શિકાનું પાલન ન કરતી હોવાની કરાઇ હતી રજૂઆત
ઉલ્લેખનીય છે કે વર્ષ-૨૦૧૨માં સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યમાં કતલખાના સમિતિ બનાવવા નિર્દેશો આપ્યાં હતાં. જે ગેરકાયદે કતલખાના પર નજર રાખી તેને બંધ કરાવવાની આ સમિતિનું મુખ્યકાર્ય હોવાનો નિર્દેશ કરાયો હતો. આ દરમિયાન અરજદારના આક્ષેપ મુજબ ગુજરાતની કતલખાના સમિતિ દ્વારા પણ સુપ્રીમ કોર્ટના નિર્દેશો અને માર્ગદર્શિકાનું પાલન કરવામાં ન આવતું હોવાનું જણાવાયું હતું.