શ્રીલંકા સામેની વન-ડે શ્રેણીની ત્રીજી અને આખરી મેચમાં શ્રીલંકાનો વિજય થયો હતો. શ્રીલંકા પોતાની જ ધરતી પર આશરે નવ વર્ષ બાદ ભારત સામે મેચ જીત્યું હતું.
ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી અને આખરી વન-ડેમાં શ્રીલંકાનો વિજય થયો હતો. અગાઉ બે વન-ડે માં ભારત સામે પરાજયનો સામનો કરી ચૂકેલી શ્રીલંકન ટીમ 2012 બાદ ભારત સામે પ્રથમ વખત પોતાની જ ધરતી પર મેચ જીત્યું હતું. ભારત સામે 3 વિકેટે વિજય મેળવીને શ્રીલંકાએ વ્હાઇટ વોશ થતાં અટકાવ્યો હતો.
પાંચ નવા ખેલાડીઓ સાથે ઉતરી ટીમ ઈન્ડિયા
શ્રેણીની શરૂઆતથી જ પ્રભુત્વસભર રમત બતાવનાર ભારતીય ટીમ ત્રીજી વન-ડે મેચમાં ટોસ જીતીને બેટિંગમાં ઉતરી હતી. ભારતીય ટીમે જો કે પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા પ્રતિવર્તનો કર્યા હતા. ભારતીય ટીમે છ ફેરફારો કર્યા હતા અને આજની વનડે મેચમાં પાંચ નવા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપ્યું હતું. પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય વનડે મેચ રમનાર ખેલાડીઓમાં નીતિશ રાણા, કૃષ્ણપ્પા ગૌતમ, સંજુ સેંસન, રાહુલ ચહર અને ચેતન સાકરીયાનો સમાવેશ થાય છે. આ સાથે ટીમમાં ફાસ્ટ બોલર નવદીપ સૈનીની વાપસી થઈ હતી.
આ ઉપરાંત શ્રીલંકાની ટીમે પણ 3 ફેરફારો કર્યા હતા. છેલ્લી મેચમાં ઉત્તમ પ્રદર્શન કરનાર સ્પિન બોલર વનિંદુ હસારંગા ઇજાના કારણે ત્રીજી મેચમાં નથી રમી શક્યો. આ સિવાય ફાસ્ટ બોલર કસૂન રજીતા અને સ્પિનર લક્ષન સંદાકન પણ ટીમમાંથી બહાર રહ્યા હતા. તેમના સ્થાને અકિલા ધનંજય, રમેશ મેન્ડિસ અને પ્રવીણ જયવિક્રમાને સ્થાન આપવામાં આવ્યું હતું.
વરસાદ બન્યો વિલન
ત્રીજી વન-ડેમાં શરૂઆતથી જ વરસાદનું વિધ્ન નડ્યું હતું. ભારતીય બેટિંગ દરમિયાન વરસાદે મજા બગાડી હતી. વરસાદના કારણે મેચને ઘટાડીને 47 ઓવર્સની કરી દેવામાં આવી હતી. ભારતના 225 રન સામે ડકવર્થ લૂઇસના નિયમ મુજબ શ્રીલંકાને 227 રનનું લક્ષ્યાંક આપવામાં આવ્યું હતું.
માત્ર 225 રનમાં સમેટાઇ ટીમ
ભારતીય ટીમના મિડલ ઓર્ડરના બેટ્સમેનોના ખરાબ પ્રદર્શનના કારણે સારી શરૂઆત છતાં આખરે ભારતીય ટીમનો ધબડકો થયો હતો. આખી ભારતીય ટીમ માત્ર 225 રનના સ્કોરે સમેટાઇ ગઈ હતી. શ્રીલંકા તરફથી ધનંજય અને જય વિક્રમાએ ત્રણ-ત્રણ વિકેટો લીધી હતી. એક સમયે માત્ર 18 ઓવરમાં બે વિકેટે 118 રને રમી રહેલી ટીમનાં મિડલ ઓર્ડરે ચાહકોની આશા પર પાણી ફેરવ્યું હતું. ભારત તરફથી ઓપનર પૃથ્વી શો, સંજુ સેમસન અને સુર્યકુમાર યાદવ સેટ થયા બાદ આઉટ થઈ જતાં ચાહકો નિરાશ થયા હતા.
ચેતને જીત્યા ચાહકોના દિલ
કોલંબોમાં કે. આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં શુક્રવારે રમાયેલી મેચમાં ભારતની બેટિંગ નબળી રહી હતી. ત્યાર બાદ બોલિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમમાં ચેતન સાકરીયા અને રાહુલ ચહર સિવાયના બોલરો નિષ્ફળ ગયા હતા. હાર્દિક પંડ્યા અને નવદીપ સૈનીએ પાંચ પાંચ ઓવરો ફેંકી હતી પણ બંને ખર્ચાળ સાબિત થયા હતા. ભારત તરફથી ફાસ્ટ બોલર ચેતન સાકરીયાએ આઠ ઓવરમાં 34 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેની ઈકોનોમી માત્ર 4.20 ની જ રહી હતી. ચેતને શ્રીલંકન બેટ્સમેનો ભાનુકા રાજપક્ષા અને ધનંજય ડી સિલ્વાની વિકેટો ઝડપી હતી. 'ચેતને ભાનુકા રાજપક્ષાને કૃશણપ્પા ગૌતમના હાથે કેચ આઉટ કરાવ્યો હતો અને સિલ્વાને પોતે જ કેચ કરીને આઉટ કર્યો હતો. ભારત મેચ ભલે હારી ગયું હોય પરંતુ પોતાની પ્રથમ મેચમાં જ સારી બોલિંગ કરીને ચેતને ચાહકોનાં દિલ જીતી લીધા હતા.