અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં બનેલી અગ્નિકાંડની ઘટનાને લઇને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા મેદાને આવ્યા છે. તેમણે અગ્નિકાંડમાં ભોગ બનેલા દર્દીઓ અંગે દુ:ખ વ્યક્ત કરીને સરકારને આડેહાથ લીધી હતી.
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડ
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સરકાર પર પ્રહાર
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ટ્વીટને કરીને જણાવ્યું હતું કે, અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી ફાયર ડિપાર્ટમેન્ટમાં ઉચ્ચ અધિકારીઓની ભરતી નથી થઈ અને જે પરિક્ષા પાસ કરી ચૂક્યા છે તેમની હજુ સુધી નિયુક્તિ નથી થઈ પછી તો રામ ભરોસે જ તંત્ર ચાલેને! મુખ્યમંત્રી અને રાજ્યપાલના કહ્યા છતાં નિયુક્તિ ના કરવામાં આવે તો પછી શું કહેવું? આ સાથે જ એક બાબત એવી પણ સામે આવી છે કે, અમદાવાદમાં 1931 હોસ્પિટલો તો એવી છે કે જેની પાસે ફાયર NOC જ નથી.
ટ્વીટ કરીને વ્યક્ત કર્યો શોક
શંકરસિંહ વાઘેલાએ આ ઘટના પહેલા ટ્વિટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે હોસ્પિટલમાં આગની ઘટના સંદર્ભે દુ:ખ વ્યક્ત કર્યુ છે. એટલું જ નહીં, વાઘેલાએ ટ્વિટ કરી પરીવારજનોને સાંત્વના પણ આપી હતી.
અમદાવાદની માત્ર 91 હોસ્પિટલોમાં જ છે ફાયર NOC
કોઈ પણ ઈમારતમાં ફાયર સેફ્ટી એ સાવ જ પાયાની જરૂરિયાત છે તેમ છતાં કેમ COVID-19ની હોસ્પિટલોમાં આ પાયાની વાતને અવગણવામાં આવી હતી. શું ગમે તે હોસ્પિટલોને કોવિડ -19 માટે એપ્રુવ કરી દેવામાં આવી હતી? આ સવાલો સામાન્ય જનમાનસમાં ઉઠી રહ્યા છે. બીજી બાજુ VTVએ તપાસ કરી તો ચોંકાવનારો ખુલાસો બહાર આવ્યો છે જેમાં અમદાવાદની કુલ 2022 હોસ્પિટલોમાંથી 1931 હોસ્પિટલ પાસે ફાયર NOC નથી. એટલે કે માત્ર 91 હોસ્પિટલ પાસે ફાયર NOC છે.
અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી ફાયર ડિપાર્ટમેન્ટમાં ઉચ્ચ અધિકારીઓની ભરતી નથી થઈ અને જે પરિક્ષા પાસ કરી ચૂક્યા છે તેમની હજુ સુધી નિયુક્તિ નથી થઈ પછી તો રામ ભરોસે જ તંત્ર ચાલેને!
મુખ્યમંત્રી અને રાજ્યપાલના કહ્યા છતાં નિયુક્તિ ના કરવામાં આવે તો પછી શું કહેવું? pic.twitter.com/rLIlaRAk01
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં ગત મોડી રાતે એકાએક આગ ફાટી નીકળતા 8 કોરોના ગ્રસ્ત દર્દીઓ બળીને ભડથું થવાથી મોત નીપજ્યા છે. આ હોનારતને પગલે રાજ્યના આરોગ્ય સચિવ પણ ઘટના સ્થળે દોડી ગયા છે.
PM મોદીએ મુખ્યમંત્રી સાથે કરી ટેલિફોનિક વાતચીત
આ પહેલા પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું કે અમદાવાદની હોસ્પિટલમાં થયેલી આગની દુઃખદ ઘટનાથી મન વ્યથિત થઈ ગયું છે. શોકમાં ગરકાવ પરિવારો સાથે મારી સંવેદના છે. ઘાયલો જલ્દી સ્વસ્થ્ય થઈ જાય તેવી કામના કરુ છું.’તેમણે કહ્યું કે મુખ્યમંત્રી વિજય રુપાણી અને અમદાવાદના મેયર બિજલબેન સાથે આ મુદ્દે તેમણે વાત પણ કરી હતી. અસરગ્રસ્તોને મદદ પહોંચાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 40 કોરોનાગ્રસ્તોને બચાવી દેવાયા છે.
8 લોકોના થયાં છે મોત
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં 8 દર્દીઓના મૃત્યુ મામલે પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો દાખલ કર્યો છે. FSLની ટીમના રિપોર્ટ બાદ વધુ કલમ ઉમેરવામાં આવશે. હોસ્પિટલમાં 3 દર્દીઓના દાઝી જવાથી મૃત્યુ થયા છે. જ્યારે 5 દર્દીઓના ગુંગણામણથી મૃત્યુ થયા છે. સાંકડી જગ્યા હોવાથી દુર્ઘટના સર્જાઇ હતી. તો હાલ પોલીસે ફાયર વિભાગ પાસેથી ફાયર સેફ્ટી અંગે રિપોર્ટ માગ્યો છે. પોલીસને ફાયર સેફ્ટીના કોઈ પુરાવા મળ્યા નથી. ભરત મહંતની બેદરકારીને લઈને પૂછપરછ કરવામાં આવી છે.