રક્તપિત્ત (કૃષ્ટ રોગ) રોગનું નામ આવે એટલે ચિત્ર,વિચિત્ર ચહેરા વાળા, હાથ પગની આંગળીઓ વળી ગઇ હોય અને તેમાંથી રક્ત વહેતુ હોય તેવા અનેક ચહેરાઓ નજર સામે આવી જાય છે. આ રોગથી પિડાતા લોકોને બહારના તો ઠીક પરંતુ ઘરના પણ અપનાવતા નથી. ત્યારે વર્ષોથી આવા રોગમાં પિડાતી વ્યક્તિની સેવા માટે શ્રમ મંદિર આજે પણ પોતાનું કાર્ય નિરંતર ચલાવી રહ્યુ છે.
એક અનોખું નગર
રક્તપિત્ત ધરાવતા દર્દીઓ કરે છે વસવાટ
1972માં વડોદરા નજીક આકાર પામી આ જગ્યા
આ રોગ ઘીમે ઘીમે ઓછો થતો ગયો છે, પરંતુ હજુ સુધી નાબુદ થયો નથી. ત્યારે આવા દર્દીઓ કેવી રીતે જીવી રહ્યા છે, હાલમાં તેમની સ્થિતી કેવી છે, ઉપરાંત સમાજમાં ચાલી રહેલા આવા ઉમદા કામને બિરદાવવા શ્રમ મંદિરની મુલાકાત જરૂરી બની.
રક્ત્તપિતિયાના દર્દીઓ માટે એક આખુ નગર
ભાગદોડથી ભરેલા જીવનમાં થોડી શાંતિ મેળવવા મોટા ભાગના લોકો સવારમાં મોર્નિંગ વોકનો સહારો લેતા હોય છે. ત્યારે રવિવારની એ સવારે પણ રોજના જેમ જ વડોદરાની એ નિરવતા વચ્ચે કમાટી બાગમાં લોકો દોડી રહ્યા હતા. તો વળી કોઇ લીલા છમ ગાસમાં ખુલ્લા પગે ચાલી આંખોને ઠંકક આપવાના પ્રયત્ન કરી રહ્યુ હતુ. ત્યારે બાગની બહાર ઘટાદાર વૃક્ષ અને તેને અડકીને બેઠેલી વૃદ્ધા પર સૌ કોઇની નજર જતી અને એક જ સેકન્ડમાં પરત ફરતી. વૃદ્ધાની આંગળીઓ વળી ગઇ હતી, ચહેરાનો આકાર પણ બદલાયેલો હતો, પગમાં બાંધેલા ચીથરામાંથી લોહી ટપકી રહ્યું હતુ.
ત્યાંથી પસાર થતા લગભગ દરેક વ્યક્તિ તેની ઉપેક્ષા કરતી. ત્યારે પોતાના નિત્યક્રમ પ્રમાણે એક ૪૦ થી ૪૫ વર્ષીય વ્યક્તિ ત્યાંથી પસાર થઇ, તેના પગને જાણે શોર્ટ બ્રેક લાગી હોય તેમ તે વૃક્ષ આગળ સ્થિર થઇ. પેલા વૃદ્ધાને જાઇને તેમને પુછ્યું મા તમે કોણ છો, આમ અહીં કેમ બેઠા છો અને તમને શુ થયુ છે. વૃદ્ધા ગભરાઇ અને રાડ પાડી બેઠી કે મને કૃષ્ટ રોગ છે, ચાલ્યો જા ઘરનાએ તો હાંકી કાઢી જા તુ નજીક આવીશ તો તને પણ.. એટલુ બોલતા બોલતા તો વૃદ્ધા ચાલવા લાગી.
ત્યારે જ તે વ્યક્તિએ નિર્ઘાર કર્યો કે આજથી મારૂં સમગ્ર જીવન રક્તપિત્તિયાની સેવામાં સર્મપિત. આ વ્યક્તિ એટલે મૂળ ધર્મજના અને વડોદરાના રહેવાસી ઉદ્યોગપતિ ઇન્દુભાઇ પટેલ. જે આજે હયાત તો નથી પરંતુ પોતાની પાછળ મુકી ગયા છે રક્ત્તપિતિયાના દર્દીઓ માટે એક આખુ નગર શ્રમ મંદિર.
શ્રમ મંદિરનું સ્થાપન
વડોદરાથી લગભગ ૧૮ કિ.મી.ના અંતરે સીંધરોટ ગામ છે. અને ત્યાંની કોતરોમાં ૧૫૦ એકરની જમીનમાં ફેલાયેલુ છે રક્તપિત્તિયાઓનું નાનકડું ગામ જે શ્રમ મંદિર તરીકે ઓળખાય છે. 1972માં આ શ્રમ મંદિર બનાવવામાં આવ્યુ જ્યાં શરૂઆતમાં ૫૦ પથારીની હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. ઘીમે ઘીમે ૩૦૦ જેટલા દર્દીઓને પુર્નવસન કરવામાં આવ્યાં જેમાંથી મોટા
ભાગની દર્દીઓ સારવાર લઇને પગભર બની ગયા છે.
જ્યારે હાલમાં ૪૦૦ જેટલા અંતવાસીઓ શ્રમ મંદિરમાં રહે છે. આ નગર એક નાનકડા ગામ જેવું છે. જેમાં બાળકો માટેની બે છાત્રાલય, વૃદ્ધ અને અપંગ અંતેવાસીઓ માટે ૬ ડોરમેટ્રીસ તથા ૧૨૦ જેટલા ક્વાર્ટસ છે. આ ઉપરાંત સ્ટાફ ક્વાર્ટસની અલગથી વ્યવસ્થા છે.
દરેક તહેવાર અહીં ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પ્રવાસનું પણ અવાર નવાર આયોજન કરવામાં આવે છે. કોઇ નવા બાળકનો જ્ન્મ થાય તો એ એક અનેરો અવસર હોય તેમ ઉજવણી કરવામાં આવે છે.તો વળી વૃદ્ધ અંતેવાસીઓનું મૃત્યુ થાય ત્યારે સૌ કોઇ સાથે મળી દુઃખની વહેંચણી કરે છે.
દરેક વ્યવસ્થા ઉપલબ્ધ
આ શ્રમ મંદિરમાં દરેક પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ છે. અહીં હોસ્પિટલને એક ઉત્તમ આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાત ડોક્ટરો માટેની કન્સલ્ટિંગ રૂમો, લેબોરેટરી,મેડિસિન સ્ટોર અને નવા વોર્ડ પણ શરૂ કરવામાં આવ્યા છે. ઓપરેશન થિયેટરમાં પણ અત્યંત આધુનિક ઉપકરણો ઉપયોગ કરવામાં આવે છે. પુનર્વસન થયેલા દર્દીઓ સ્વમાનભેર જીવી શકે તે હેતુથી વિવિધ પ્રવુતિ ચલાવવામાં આવે છે.
જેમાં કુટિર ઉદ્યોગ અંતર્ગત હેન્ડલૂમ,વણાટકામ, કરવામાં આવે છે. જેમાં વિવિધ ડિઝાઇનનાં અને રંગબેરંગી બેડશિટ, ટુવાલ, નેપકિન, ડસ્ટર, આસન વગેરે બનાવી તાણાવાણા ના નામે ચાલતા ઉદ્યોગની બનાવટોનું દેશ-વિદેશમાં વેચાણ કરવામાં આવે છે. આ ઉપરાંત અહીં સુથારી કામ, સીવણકામ, દર્દીઓ માટે ખાસ પ્રકારના એમસીઆર સીટના ચંપલ બનાવવામાં
આવે છે.
દર્દીઓના બાળકો માટે છાત્રાલય
જ્યારે ખેતી ઉપરાંત ગૌશાળા પણ આ નગરનો એક ભાગ છે. અહીં ચાલતી ગૌશાળા આધુનિક ઢબની છે. ગાયો વાછરડા-વાછરડી મળીને લગભગ ૬૫ જેટલા પશુઘન છે. ઋતુ અનુસાર શાકભાજીના પાક લેવામાં આવે છે. જમીનમાં ગાયો માટે વિવિધ પ્રકારના ઘાસ ઉગાડવામાં આવે છે. સીત્તેરથી એસી એકર જમીનમાં જંગલી વુક્ષો રોપી જંગલ બનાવવામાં આવ્યું છે. રક્તપિત્તના દર્દીઓના બાળકો ભણીને પગબર બને તે માટે છોકરા અને છોકરીઓનું અલગ છાત્રાલય બનાવવામાં આવ્યું છે.
ધોરણ એક થી સાતની શાળા વડોદરા જિલ્લા પંચાયત તરફથી શ્રમ મંદિરના પ્રાંગણમાં ચલાવવામાં આવે છે. અને ધોરણ ૮ થી૧૨ ના વિદ્યર્થીઓ વડોદરા જાય છે જેમની માટે મંદિર તરફથી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. ઘણા દર્દીઓ સાજા થતા એક બીજા સાથે લગ્ન કરવાની વાતચ કરે છે. ત્યારે આ મંદિરમાં જ તેમના લગ્ન પણ ધામધૂમથી કરીઆપવામાં આવે છે.
પુત્રવધુએ વારસો સાચવ્યો
શ્રમ મંદિરની શરૂઆત કરનાર ઇન્દુભાઇ તો દુનિયાને અલવિદા કહી ચાલ્યા ગયા. હવે વાત હતી તેમના આ વરસાની. બધાની નજર તેમના પુત્ર પર ઠરે પણ પુત્ર તો તેમના પહેલા પ્રભુને પ્યારા થઇ ગયા હતા. હવે શ્રમ મંદિરને સીંચે કોણ.. આવા સમયે તેમના પુત્રવધુ આગળ આવ્યા. સામાન્ય રીતે પિતા બાદ પુત્ર વારસો સાચવે પણ ઇન્દુભાઇનો આ સેવાકીય વારસાને બરોબર જીવંત રાખવામાં તેમની પુત્રવધુ મૌનાબેન પટેલનો ફાળો છે. ટ્રસ્ટી અને ઇન્દુભાઇના મિત્ર અતુલભાઇ પણ સેવાકીય પ્રવુતિમાં સહભાગી બન્યા.
લગભગ ૩૬ વર્ષથી દેવી બહેન અહીં સેવા આપી રહ્યા છે. અહીં જ રહેવુ અને આ લોકોનું જ વિચારવું તેમના માટે જીવનનો ધ્યેય બની ગયો છે. માત્રને માત્ર રક્તપિત્તિયાની સેવામાં જ પોતાનું જીવન સમર્પીત કરનાર દેવીબેનને કોઇ પુછે કે તમને ક્યારેય એકલવાયુ નથી લાગતુ.
ત્યારે તે કહે કે જેના ઘરમાં 400 થી પણ વધુ સભ્ય હોય તેને વળી એકલતા શુ તે જ ખબર ના હોય. આ ઉપરાંત છેલ્લા ૨૬ વર્ષથી ડો ઇન્દિરાબેન પટેલ પણ અહીં સેવા આપી રહ્યા છે. સેવાભાવના કારણે પોતાનું જીવન તેમને આ દર્દીઓ માટે સમર્પિત કર્યુ છે. શ્રમ મંદિર આ રીતના ઉમદા વ્યક્તિત્વને કારણે જ સદાય લોકો માટે શ્રેષ્ઠ મંદિર સાબિત થયું છે.