શુક્રવારે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમમાં એક કર્મચારીની તપાસમાં તે કોવિડ 19 પોઝિટિવ હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી, ત્યારબાદ તાત્કાલિક શ્રી ગોવિંદરાજ સ્વામી મંદિરમાં ભક્તોનો પ્રવેશ બે દિવસ બંધ કરી દેવાયો છે.
મંદિરના એક અધિકારીએ કહ્યું કે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમમાં કોવિડ 19નો આ પહેલો કેસ છે.
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમમાં આશરે 7000 કર્મચારીઓ, બહારના 12000 કર્મચારીઓની પણ સેવા લેવામાં આવે છે
TTD, જે તિરૂમાલામાં ભગવાન વેંકટેશ્વર મંદિરનું પણ સંચાલન કરે છે ત્યાં લગભગ સાત હજાર કાયમી કર્મચારીઓ નોકરી કરે છે, ઉપરાંત બહારના 12000થી વધુ લોકો સેવા કરે છે. લોકડાઉન બાદ રાજ્યના મંદિરો સોમવારે ખોલવામાં આવ્યા હતા.
અધિકારીએ જણાવ્યું કે મંદિરમાં દરરોજ પૂજા ચાલુ રહેશે. તેમણે કહ્યું કે ચેપગ્રસ્ત કર્મચારી TTDના આરોગ્ય વિભાગમાં કામ કરતો હતો.
તિરૂપતિમાં શ્રદ્ધાળુઓએ કરવી પડશે આ સાવધાનીઓનું પાલન
અગાઉ મંદિર પ્રશાસન દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમામ ભક્તોએ તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમના દર્શન માટે ફરજીયાત માસ્ક પહેરવા પડશે અને લાઈનમાં ઉભા રહેતા સમયે સ્વચ્છતાનું પાલન કરવું પડશે. TTDએ મંદિર સંકુલને ટચ ફ્રી સંકુલમાં પરિવર્તિત કર્યું છે. જ્યારે યાત્રાળુઓ દર્શન માટે લાઈનમાં ઉભા રહેશે ત્યારે તેઓને કંઈપણ માટે ક્યાંય સ્પર્શ કરવાની જરૂર રહેશે નહીં. અને ભક્તોએ દર્શન માટેની લાઇનોમાં ઓછામાં ઓછું 5-6 ફૂટનું અંતર જાળવવું પડશે.
દેશના સૌથી અમીર મંદિરોમાં ગણના થાય છે
કોવિડ 19 મહામારીના પગલે તિરૂપતિ મંદિર 20 માર્ચથી બંધ હતું. નોંધનીય છે કે તિરૂપતિ મંદિરની દેશના સૌથી અમીર મંદિરોમાં ગણના થાય છે. દર મહિને આશરે 200 કરોડ રૂપિયા જેટલી રકમ આ મંદિર પાસે આવે છે. આ મંદિર લોકડાઉનને પગલે ઘણા દિવસો બંધ રહ્યું છે.