વિશ્વમાં ફરીવાર હાહાકાર મચાવનાર કોરોના વાયરસને લઈને ભારત સરકાર એલર્ટ થઈ ગઈ છે. કેટલાક રાજ્યોએ માસ્ક પહેરવાનું ફરજિયાત કરી દીધું છે. ત્યારે ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસે 12 લાખ વેક્સિનના ડોઝની માંગણી કરી છે.
રાજ્યમાં વેક્સિનનો જથ્થો ખૂટ્યો?
કેન્દ્ર સરકાર પાસે વેક્સિનની માંગણી
12 લાખ વેક્સિનના ડોઝની માંગણી
કેટલાક દેશોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. દેશમાં કોરોનાની વધુ એક લહેર આવી શકે છે. આવી સ્થિતિમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્વાસ્થ્ય સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. ત્યારે સંભવિત કોરોનાના ખતરા વચ્ચે ગુજરાતમાં વેક્સિનની અછત સર્જાઈ હોવાનું મીડિયામાં પ્રકાશિત થઈ રહેલા અહેવાલો પરથી લાગી રહ્યું છે. જેના પગલે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે વેક્સિનની માંગ કરી છે.
કેન્દ્ર સરકાર પાસેથી વેક્સિનની કરી માંગ
ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસે 12 લાખ વેક્સિનના ડોઝની માંગણી કરી છે. રાજ્યના આરોગ્ય વિભાગે 12 લાખ વેક્સિનના ડોઝ માંગ્યા છે. રાજ્યમાં 10 લાખ કોવિશિલ્ડ અને 2 લાખ કો-વેક્સિનના ડોઝની માંગણી કરી છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને 2 લાખ કો-વેક્સિનનો જથ્થો મંજૂર કર્યો હતો, 2 લાખ કો-વેક્સિન પૈકી 1 લાખ કોવેક્સિનના ડોઝ રાજ્ય સરકારને મળ્યા હતા.
12 લાખ વેક્સિનના ડોઝની માંગણી
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, લોકોએ રસી લેવાની બંધ કરી હતી એટલે નવા ડોઝ મંગાવ્યા નહોતા. હાલ અચાનક લોકો રસી લેવામાં વધારો થયો છે. કોવિશિલ્ડ અને કો વેક્સિનની માંગણી ભારત સરકાર પાસે કરી છે, કોરોના વિરોધી રસીના 12 લાખ ડોઝ ભારત સરકાર પાસે માગ્યા છે.
વેક્સિન પ્રત્યે લોકોમાં જાગૃતતા આવી
છેલ્લા કેટલાક દિવસથી એવા પણ સમાચાર આવી રહ્યા છે કે અમદાવાદમાં કોરોનાના ખતરા વચ્ચે વેક્સિનનો જથ્થો ખૂટી પડ્યો છે. અમદાવાદમાં અર્બન હેલ્થ સેન્ટરમાં વેક્સિનનો જથ્થો જ નથી. અર્બન હેલ્થ સેન્ટરમાં બુસ્ટર ડોઝ લેવા માટે લોકો ધક્કા ખાઈ રહ્યા છે. વધતા કેસને લઇ વેક્સિન પ્રત્યે લોકોમાં જાગૃતતા આવી છે. પરંતુ હેલ્થ સેન્ટરો પર વેક્સિન હોવાથી લોકો વેક્સિન લીધા વિના જ પાછા જઈ રહ્યા છે. નોંધનીય છે કે કોરોના સામે વેક્સિન જ રામ બાણ ઈલાજ છે. છેલ્લા એક સપ્તાહથી લોકો બુસ્ટર ડોઝ લેવા માટે જાગૃત બન્યા છે.