અમદાવાદના BPCL અને HPCL કંપનીના પંપ પર ડીઝલની શોર્ટેજ જોવા મળી છે. જેના કારણે અમદાવાદના કેટલાંક પેટ્રોલ પંપ પર ડીઝલ લિમિટમાં આપવામાં આવી રહ્યું છે.
અમદાવાદના કેટલાંક પંપો પર લિમિટમાં મળી રહ્યું છે ડીઝલ
BPCL અને HPCLમાં જરૂરિયાત કરતાં અપાય છે 50 ટકા ઓછો જથ્થો
કન્ઝ્યુમર પંપ સંચાલકોએ ખરીદી બંધ કરતા કંપનીઓએ નાક દબાવ્યું
ડીઝલની શોર્ટેજના કારણે BPCL અને HPCLમાં જરૂરિયાત કરતાં 50 ટકા ઓછો જથ્થો આપવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, બલ્ક યુઝર્સે ઊંચા ભાવે સીધી ખરીદી બંધ કરતા સપ્લાયમાં 50 ટકા કાપ મૂકવામાં આવ્યો છે. જેને કારણે ડીઝલમાં શોર્ટેજ જોવા મળી છે. મહત્વનું છે કે, કન્ઝ્યુમર પંપના સંચાલકોએ ખરીદી બંધ કરતા કંપનીઓએ નાક દબાવ્યું છે. હાલમાં અમદાવાદમાં અત્યારે ડીઝલનો ભાવ રૂપિયા 92.17 છે જ્યારે કન્ઝ્યુમર પંપ પર ડીઝલનો ભાવ રૂપિયા 100ને પાર છે.
સોશિયલ મીડિયામાં ફેક મેસેજના કારણે અમદાવાદના પેટ્રોલપંપો પર લાઇનો લાગી હતી
અત્રે તમને જણાવી દઇએ કે, સોશિયલ મીડિયામાં એક ફેક મેસેજના કારણે શનિવારે રાત્રિના રોજ અમદાવાદના પેટ્રોલપંપો પર પેટ્રોલ પુરાવવા માટે લોકોની પડાપડી થઇ હતી. મોડી રાત્રે પેટ્રોલ પંપ પર લોકોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. ચાર દિવસ સુધી પેટ્રોલ પંપ પર પેટ્રોલની સપ્લાય અટકી જવા અંગેનો ફેક મેસેજ વાયરલ થતા શહેરના અલગ-અલગ વિસ્તારોના પેટ્રોલ પંપ ખૂબ મોટી સંખ્યામાં પેટ્રોલ પુરાવવા વાહનોની લાંબી કતારો લાગી હતી. જેના લીધે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતાં. અફવાના કારણે પેટ્રોલ પંપ પર અફરાતફરીની સ્થિતિ સર્જાઈ હતી.
રાજ્યમાં પેટ્રોલનો જથ્થો પૂરતો છે: પેટ્રોલિયમ અને ઉર્જામંત્રી
નોંધનીય છે કે, આ અંગે ખુદ રાજ્યના પેટ્રોલિયમ અને ઉર્જામંત્રી મુકેશ પટેલે પણ મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે, 'રાજ્યમાં પેટ્રોલનો જથ્થો પૂરતો છે, અફવાઓથી સાવધાન રહો સમજદાર બનો, સોશિયલ મીડિયા પર પેટ્રોલ પંપ બંધ છે કે પેટ્રોલ ખૂટી ગયું છે તેવી કોઈ પણ પોસ્ટ પર ભરમાશો નહીં'
ભારતને પેટ્રોલ નહીં મળેની અફવાના કારણે અમદાવાદના પેટ્રોલપંપ પર સર્જાયા હતા ટ્રાફિકના દ્રશ્યો
તમને જણાવી દઇએ કે, શનિવારે મોડી સાંજે સોશિયલ મીડિયામાં એવો મેસેજ ફરતો થયો હતો કે, 'આગામી ચાર દિવસ સુધી અમદાવાદમાં પેટ્રોલનો સપ્લાય થઇ શકે તેમ ન હોવાથી પેટ્રોલ મળી શકશે નહીં.' જે મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થવાની સાથે મોડી રાતથી જ લોકો પેટ્રોલ પંપ પર ટુ-વ્હીલર અને કાર લઇને પહોંચી ગયા હતા. પેટ્રોલની સપ્લાય અટકી જશે તેવા બનાવટી મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ ગઇકાલે મોડી રાત્રે આશ્રમ રોડના નહેરૂ બ્રીજ, પાલડી અને APMC પાસેના પેટ્રોલ પંર ખૂબ મોટા પ્રમાણમાં લોકોએ વાહનો લઇને લાંબી કતારો કરી દીધી હતી.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 12, 2022
પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગતા રસ્તા પર સર્જાયા હતા ટ્રાફિક જામના દ્રશ્યો
અમુક પ્રકારની અફવાના કારણે મોડી રાત્રે પેટ્રોલ પંપ પર લોકોની લાંબી કતારો લાગી ગઇ હતી. સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ વાયરલ થતાની સાથે જ મોડી રાતથી લોકો પેટ્રોલ પંપ પર ટુ વ્હીલર અને કાર લઇને એકઠા થવા લાગ્યા હતા અને મોડેકથી એવી સ્થિતિ સર્જાઇ હતી કે રસ્તા પર ટ્રાફિક જામ થાય તે રીતે વાહનોની લાંબી લાઇનો લાગી ગઇ હતી. જો કે, પેટ્રોલ પંપના સંચાલકોએ જણાવ્યું હતું કે, 'પેટ્રોલનો પુરવઠો યથાવત છે.'
મહીસાગરમાં પણ અફવાના કારણે મોડી રાત્રે પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગી હતી
મહીસાગરમાં પણ પેટ્રોલ નથી તેવી ખોટી અફવાના કારણે મોડી રાત્રે પેટ્રોલ પંપ પર લોકોની લાંબી કતારો લાગી ગઇ હતી. સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ વાયરલ થતાની સાથે જ મોડી રાતથી લોકો પેટ્રોલ પંપ પર ટુ વ્હીલર અને કાર લઇને એકઠા થવા લાગ્યા હતા. જોકે લુણાવાડા નગરમાં હાલ ડીઝલની અછત સર્જાઇ હોવાનું સામે આવ્યું છે.