કોરોના વાયરસના લોકડાઉનને કારણે કેટલાય લોકોની ઘણી બધી વસ્તુઓની ખરીદી અટકી પડી છે. હવે સમાચાર મળી રહ્યા છે કે લોકડાઉન હટ્યા બાદ સંક્રમણના ભયને પગલે લોકોની વધુ પડતી ભીડ એકઠી ન થઇ જાય એ માટે દુકાનદારો ડોક્ટરોની જેમ એપોઇન્ટમેન્ટ સિસ્ટમ ડેવલપ કરી રહ્યા છે.
હવે રિટેલર્સ કોરોનાના વધી ગયેલા ખતરાથી અત્યંત સાવચેત રહેવા માંગે છે. એક સાથે ઘણા બધા ગ્રાહકોની ભીડ થઇ જાય તો સોશ્યલ ડિસ્ટન્સિંગ ન જળવાય અને લોકોમાં સંક્રમણનો ભય વધી જાય આ માટે ગ્રાહકોએ હવેથી ખરીદી કરવા માટે આવતા પહેલા એપોઇન્ટમેન્ટ બુક કરાવવી પડશે અને શોરૂમમાં આવતા પહેલા સુરક્ષાત્મક સાધનોને પહેરીને આવવું પડશે. નોંધનીય છે કે હવે આરોગ્યની ચિંતા વેપારી જ નહીં ગ્રાહકના મનમાં પણ રહેશે જ અને તે માટે જ આ પગલાં લેવામાં આવ્યા છે.
Fab India પ્રેસિડેન્ટ અજય કપૂરે જણાવ્યું હતું કે આ યોજના હવે હકીકતમાં પરિણમશે એવું લાગી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે આ તમામ પ્રકારની વ્યવસ્થા સરકારના સંપર્કમાં રહીને સરકારની ગાઈડલાઇન્સનું પાલન કરીને થશે. નોંધનીય છે કે અત્યારે Fab Indiaના 327 માંથી 10 સ્ટોર ચાલુ છે કે જીવન જરૂરિયાતની વસ્તુઓનું વેચાણ કરે છે.
સ્ટાફની સુરક્ષા માટે તેમને જાહેર પરિવહનને ટાળવામાં સલાહ અપાઈ છે. ગ્રાહકોની સુરક્ષા માટે કેશ ડેસ્ક, દરવાજાના હેન્ડલ, ટ્રાયલ રૂમ વગેરેને સતત સેનિટાઈઝ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. સ્ટાફના સભ્યોને દરરોજ ફોન કરવામાં આવે છે જેથી તેમનું મનોબળ મજબૂત રહે. હવે તેઓ ગ્રાહકે ટ્રાયલમાં લીધેલા કપડાંને થોડા દિવસ માટે બાજુમાં રાખી દેવાની યોજના પણ બનાવી રહ્યા છે જેથી ચેપનો ભય ન રહે. Fossil Indiaના ડાયરેક્ટર સુમિત ઘોષ કહે છે કે અત્યાર મોલ્સ અને સ્ટોર્સમાં લોકોને સુરક્ષિત પર્યાવરણ મળે છે એવી ખાતરી મળે તે જરૂરી છે. ત્યાર બાદ લોકો ફરીથી મોલ્સમાં આવવા માટે પ્રેરાશે.
ભારતની રિટેલ ઇન્ડસ્ટ્રી કોરોનાની ઘાતથી બહાર આવતા ઓછામાં ઓછા 9 થી 12 મહિનાનો સમય લઇ શકે છે એમ લાગી રહ્યું છે. આ ઇન્ડસ્ટ્રીના 20 થી 25% કંપનીઓને ચાલુ રાખવા માટે બહારથી નાણાકીય સહાયની જરૂર પડશે તેમ લાગી રહ્યું છે. આ ઇન્ડસ્ટ્રીની 25% નોકરીઓ ઉપર અસર થશે. અત્યારે ફક્ત 7-8% રિટેલ ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે કારણ કે ફક્ત જીવન જરૂરિયાતની વસ્તુઓ વેચાય છે. જો આ મહામારી શમી જાય તો આ વર્ષના અંતમાં મેરેજ સીઝનમાં અને દિવાળીમાં થોડી ઘણી આશા રાખી શકાય એવું નિષ્ણાતોનું માનવું છે.